UPI માટે જાહેર થયેલા નવા નિયમો: 31 માર્ચ સુધી અમલ કરો, નહીંતર સર્વિસ બંધ થઈ જશે
UPI New Rule: યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) જ્યારથી આવ્યું છે ત્યારથી લોકો માટે પૈસા ચૂકવવું ખૂબ જ સરળ બની ગયું છે. આ પેમેન્ટ ખૂબ જ ઝડપથી થાય છે અને છૂટા પૈસાની પણ તકલીફ ન પડે છે. મોટાભાગના લોકો એનો ઉપયોગ કરે છે અને એની સાથે કેશ રાખવું બંધ કરી દીધું છે. જોકે, હવે તેમને UPIના ઉપયોગમાં તકલીફ પડી શકે છે. આ માટેનું કારણ છે નવા નિયમો. નવા નિયમો અનુસાર ઘણા UPI બંધ થઈ શકે છે, આથી આ નિયમો જાણી એને અમલમાં મૂકવા જરૂરી છે.
શું છે નવા નિયમો?
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI) દ્વારા નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે. આ નિયમો તેમના પોર્ટલ પર જાહેર કરવામાં આવ્યા છે. એ અનુસાર, 31 માર્ચ સુધી દરેક વ્યક્તિ અને સર્વિસ પ્રોવાઇડર દ્વારા આ નિયમોનો અમલ કરવો જરૂરી છે. આ નિયમો એ છે કે બૅંક અને સર્વિસ પ્રોવાઇડર દ્વારા એ તમામ નંબરને બંધ કરવાના છે જે સર્વિસમાં નથી અથવા તો સરેન્ડર કરી દેવાયા હોય.
નિયમનો અમલ કરવો જરૂરી
બૅંક અને Google Pay અને PhonePe જેવા સર્વિસ પ્રોવાઇડર હવે યુઝર્સના નંબર ચેક કરશે. આ નંબર જો સર્વિસમાં હશે અને બૅંક સાથે કનેક્ટેડ હશે તો જ તેને ચાલુ કરવામાં આવશે. જો બૅંકમાં એ નંબર અલગ હોય અને બંધ થઈ ગયો હોય અને યુઝર નવા નંબરનો ઉપયોગ કરી રહ્યો હોય તો આ સર્વિસને બંધ કરી દેવામાં આવશે.
ક્યારે કરવામાં આવશે નંબર બંધ?
આ નિયમ માટે 31 માર્ચ સુધીની મર્યાદા આપવામાં આવી છે. જો નંબર બંધ હોય તો તેને શરુ કરાવી દેવો અથવા તો બૅંકમાં તેને બદલાવી લેવો. નંબર ચાલુ હોય ત્યારે જ તમામ સર્વિસ ચાલુ હોવી જોઈએ. 1 એપ્રિલથી આ તમામ નંબરને બંધ કરવાની સૂચના આપવામાં આવી છે. દરેક બૅંક અને સર્વિસ પ્રોવાઇડર દ્વારા અઠવાડિયામાં આ નંબરને અપડેટ કરવાં પડશે, એટલે કે એક જ વાર નંબર ચેક કરાશે એવું નહીં. નંબર જ્યારે પણ બંધ થઈ જશે, તેને બીજા અઠવાડિયે બંધ કરી દેવામાં આવશે. આથી, મોબાઇલ નંબર હવે સતત ચાલુ રાખવો જરૂરી છે.
નવા નિયમની જરૂર કેમ પડી?
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI) UPIને સુરક્ષિત બનાવવા માગે છે. હવે જો કોઈ નંબર બંધ થઈ ગયો હોય તો પણ એના આધારે પેમેન્ટ થઈ શકે છે. બૅંકમાં નંબર હોય પરંતુ એ બંધ થઈ ગયો હોય અને કોઈ રીતે એ વ્યક્તિનો કોન્ટેક્ટ ન કરી શકાતો હોય તો તે મુશ્કેલ બની જાય છે. છેતરપિંડીને અટકાવવા માટે આ નવા નિયમોને લાગુ કરવામાં આવી રહ્યા છે. ગયા વર્ષે જુલાઈમાં આ વિશે મિટિંગ કરવામાં આવી હતી અને તેમાં UPIને વધુ સુરક્ષિત અને યૂઝર્સના અનુભવને વધુ સારો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ઓપન ટેલિકોમ AI પ્લેટફોર્મ લઈને આવી રહ્યું છે જિયો, સિસ્કો, નોકિયા અને AMD, જાણો શું છે?
યૂઝર્સની પરવાનગીની જરૂર
આ નવા નિયમો હેઠળ, 1 એપ્રિલથી જે નંબર બંધ હશે એને બંધ કરી દેવામાં આવશે. નંબર વેરિફાઇ કરવા માટે યૂઝરની પરવાનગી લેવી પડશે. આ માટે યૂઝરએ જે તે UPI અપ્લિકેશનમાં જઈને ઓપ્ટ-ઇન વિકલ્પ પસંદ કરવો પડશે. એ પસંદ કરતાં મોબાઇલ અપડેટ લિસ્ટમાં એ વેરિફાઇ થતો રહેશે. UPIને રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા દ્વારા રેગ્યુલેટ કરવામાં આવે છે. UPI ભારતની શોધ છે અને હવે એને દુનિયાભરના દેશોમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.