નોકિયાએ યુપીઆઈ સાથેના ફીચર ફોન લોન્ચ કર્યા
એક તરફ સૌ કોઈ સાદા ફીચર ફોન બાજુએ મૂકીને સ્માર્ટફોન ખરીદવા તરફ વળી રહ્યા છે
ત્યારે એક સમયે સાદા ફીચર ફોનમાં રીતસર રાજ કરનાર નોકિયા કંપનીએ નવા ફીચર ફોન
લોન્ચ કર્યા છે. આમ તો હજી ઘણી કંપની ફીચર ફોન લોન્ચ કરે છે એટલે આ કોઈ નવી વાત
નથી, પણ નોકિયાના ફોનનો અહીં ઉલ્લેખ
કરવાનું કારણ એ કે આ ફોન ફીચર ફોન હોવા છતાં તેમાં યુપીઆઈ સર્વિસ સાંકળી લેવામાં
આવી છે!
અગાઉ આપણે વાત કરી છે તેમ સાદા ફીચર
ફોનમાં યુપીઆઈ ૧૨૩પે નામે ઓળખાતી સર્વિસનો ઉપયોગ કરી શકાય છે. નોકિયાએ લોન્ચ કરેલા ૧૦૫ અને ૧૦૬ ૪જી
ફીચર ફોન મોડેલમાં આ સગવડ પ્રી-ઇન્સ્ટોલ્ડ હશે. તેમાં ઇન્ટરએક્ટિવ વોઇસ રિસ્પોન્સ
(આઇવીઆર) નંબર પર કોલ કરીને, મિસ્ડકોલ આધારિત સગવડનો લાભ
લઇને અથવા અન્ય રીતે જુદા જુદા પ્રકારના યુપીઆઈ ટ્રાન્ઝેકશન કરી શકાય છે.
સ્માર્ટફોનમાં પ્રાઇવસીની ગંભીર સમસ્યાઓ હોવાથી ઘણા લોકો હવે ફક્ત એ એક હેતુથી
ફીચર ફોન તરફ વળી રહ્યા છે એ પણ ધ્યાને રાખવા જેવું છે!