Get The App

દેશના આઈટી હબમાં સૌથી વધુ લોકો સાયબરફ્રોડનો શિકાર !

Updated: Sep 20th, 2022


Google NewsGoogle News
દેશના આઈટી હબમાં સૌથી વધુ લોકો સાયબરફ્રોડનો શિકાર ! 1 - image


સાયબર ફ્રોડની વાત નીકળે ત્યારે આપણા સૌના મનમાં પહેલું નામ ઝબકે નાઇજિરિયા અથવા જામતાડા! આખી દુનિયામાં નાઇજિરિયા સાયબરક્રાઇમ કેપિટલ તરીકે પંકાયેલ છે. એ જ રીતે ઝારખંડનું જામતાડા ગામ વિવિધ પ્રકારના મની ફ્રોડ માટે કુખ્યાત છે. પરંતુ આવા ક્રાઇમનો ભોગ બનવામાં દેશનાં આઇટી હબ્સમાંનું એક હૈદ્રાબાદ પહેલા નંબરે છે!

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડા અનુસાર વર્ષ ૨૦૨૦માં આખા દેશમાં જેટલા સાયબર ફ્રોડ કેસ નોંધાયા એમાંથી ૧૦ ટકા કેસ માત્ર તેલંગણામાં નોંધાયા છે. હૈદ્રાબાદમાં દેશવિદેશની અનેક આઇટી કંપનીની વિશાળ હાજરી હોવા છતાં ત્યાંના સામાન્ય નાગરિકોમાં સાયબરસેફ્ટી વિશે જાગૃતિ ઓછી હોય તેવું લાગે છે. અહીંના લોકો કસ્ટમર કેર ફ્રોડ, જોબ ફ્રોડ, લોન ફ્રોડ કે બેંક સંબંધિત ફ્રોડમાં બહુ સહેલાઈથી ફસાઈ જાય છે. પોલીસના આંકડા અનુસાર મોટા ભાગના કેસ યુપીઆઇ સંબંધિત હોય છે. જેમાં છેતરપિંડી કરનારા લોકો તેમના શિકારને ક્યૂઆર કોડ મોકલે છે, શિકાર બનતી વ્યક્તિ એવું માને છે કે પોતે રકમ મેળવી રહી છે પરંતુ હકીકતમાં રકમ મોકલી બેસે છે.

હૈદ્રાબાદ પોલીસના આંકડા અનુસાર શહેરમાં નોંધાતી દર પાંચમાંથી એક એફઆઇઆર સાયબર ક્રાઇમને સંબંધિત હોય છે. તેમાંથી યુપીઆઇ સ્કેમનું પ્રમાણ લગભગ ૪૫ ટકા જેટલું ઊંચું છે. તેલંગણાના લોકોની સાયબરસેફ્ટી અવેરનેસ ભલે ઓછી હોય આપણે એટલું યાદ રાખીએ કે યુપીઆઇ પેમેન્ટ સિસ્ટમથી રકમ મેળવવાની હોય ત્યારે આપણે પોતાનો પિન આપવાની ક્યારેય જરૂર હોતી નથી. આપણે બીજાને રકમ ચૂકવી રહ્યા હોઇએ માત્ર ત્યારે જ પિન આપવાનો હોય છે. ફક્ત આટલું યાદ રાખવાથી પણ સાયબરફ્રોડથી ઘણે અંશે બચી શકાશે.


Google NewsGoogle News