GMT : રેલવેની મૂંઝવણ દૂર કરવા થયો અદભૂત આવિષ્કાર, એવું ગામ જેના સમય સાથે દુનિયા તેની ઘડિયાળનો ટાઈમ કરે છે સેટ!
શું તમે જાણો છો કે દુનિયાભરમાં ઘડિયાળોમાં 24 પ્રકારનો સમય એક સાથે ચાલે છે
એવા ઘણા દેશો છે જેમાં વિવિધ ક્ષેત્રના લોકોની ઘડિયાળ અલગ અલગ સમય દર્શાવે છે
History of Time Zone: ઘડિયાળ અને આપણું જીવનના એકબીજા સાથે સંપૂર્ણપણે જોડાયેલું છે. એવી વિચાર ક્યારેય આવ્યો છે કે દુનિયાની બધી ઘડિયાળમાં જો એક જ ટાઇમ સેટ કરવામાં આવે તો શું થાય? તો બહુ મોટી ગરબડ થશે ને? કેમકે પૃથ્વી એટલી મોટી છે કે આપણા દેશમાં જો સવાર હોય તો આ પૃથ્વી પર ક્યાંક રાત, ક્યાંક સાંજ, ક્યાંક બપોર અને ક્યાંક કઈક અલગ ટાઈમ હશે. એટલ માટે એક એક એવી જગ્યા નિશ્ચિત કરવામાં આવી કે જ્યાંથી આખું વિશ્વ તેની ઘડિયાળનો ટાઈમ સેટ કરી શકે. આ સિવાય એ પણ જાણીએ કે શા માટે સમગ્ર વિશ્વનો સમય GMT સાથે સેટ કરવામાં આવે છે? GMT એટલે કે ગ્રિનવીચ મીન ટાઈમનો અર્થ શું થાય છે? આ ટાઈમ ઝોન કઈ રીતે નક્કી થયો અને તે પહેલા વિશ્વએ તેનો દિવસ કેવી રીતે નક્કી કર્યો?
ઘડિયાળની શરુઆત ક્યારે થઇ?
ઘડિયાળોની શોધ 16મી સદીની શરૂઆતમાં થઈ હતી અને 18મી સદી સુધી સમગ્ર વિશ્વમાં સમયને સૂર્યના આધારે જોવામાં અને માપવામાં આવતો હતો. પરંતુ 18મી સદીમાં યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી વિશ્વને ટાઈમ ઝોન મળ્યો. 19મી સદીની શરૂઆતમાં, શહેરોમાં સ્થાનિક સમય સૂર્ય અનુસાર નક્કી કરવામાં આવતો હતો. જેથી બસો માઈલના અંતરે આવેલા બે શહેરો વચ્ચે પણ અલગ-અલગ ટાઈમ જોવા મળતો. જેથી આ મુજબ ટ્રેનનું ટાઈમટેબલ સેટ કરવું પણ જટિલ બની જતું હતું. જેથી આ કામ સરળ કરવાના પ્રયાસો શરૂ થયા.
કેવી રીતે થઇ ટાઈમ ઝોનની શરૂઆત?
આ વાત ખૂબ જ રોચક છે. ફેમસ બુક સેપિયન્સના લેખક તેમજ માનવશાસ્ત્રી યુવલ નોહ હરારી, તે સમયગાળા સમજાવતા કહે છે કે, વર્ષ 1830માં બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિના આગમન સાથે, લિવરપૂલ અને માન્ચેસ્ટર વચ્ચે પહેલી વ્યાવસાયિક રેલ સેવા શરૂ થઈ. દસ વર્ષ પછી પ્રથમ ટાઈમટેબલ બહાર પાડવામાં આવ્યું. તે સમયે ટ્રેનોની ગતિ જૂની ઘોડાગાડીઓ કરતાં વધુ ઝડપી હતી. તેથી સ્થાનિક સમય વચ્ચેનો તફાવત એક ગંભીર સમસ્યા બની ગઈ. આ ટ્રેન ઘણા વિસ્તારોમાં જતી પણ દરેક જગ્યાએ ટાઈમ કારખાના પ્રમાણે તેમજ અંધારા અને અંજવાળા પ્રમાણે કામ થતું. જરથી ખુબ જ સમસ્યા સર્જાતી હતી.
આથી 1847 માં, બ્રિટિશ ટ્રેન કંપનીઓએ મીટીંગ કરી અને સંમત થયા કે હવેથી તમામ ટ્રેનના ટાઈમટેબલ લિવરપૂલ, માન્ચેસ્ટર અથવા ગ્લાસગોના ટાઈમને બદલે ગ્રિનવીચ ઓબ્ઝર્વેટરીના ટાઈમ પર નક્કી કરવામાં આવશે. જેથી 1980 માં, બ્રિટિશ સરકારે એક કાયદો બનાવ્યો કે બ્રિટનમાં તમામ ટાઈમટેબલ ગ્રિનવીચ ઓબ્ઝર્વેટરીની ઘડિયાળને અનુસરશે. બાદમાં, અંગ્રેજોએ તેમના સામ્રાજ્યના દેશોમાં પણ તેનો અમલ કર્યો અને તે જ રીતે વિશ્વને ગ્રિનવીચ ઓબ્ઝર્વેટરીનો ટાઈમ એટલે કે ગ્રિનવીચ મીન ટાઇમ (GMT) મળ્યો.
શું છે ગ્રિનવીચ?
ગ્રિનવીચ એ દક્ષિણ-પૂર્વ લંડનનો એક ભાગ છે, જે એક સમયે ગામ હતું અને તેની વેધશાળા માટે પ્રખ્યાત હતું. જે હવે 'રોયલ ઓબ્ઝર્વેટરી' તરીકે ઓળખાય છે. મધ્યયુગથી અહીં ખગોળીય ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવતો હતો. બ્રિટને જ્યારે આ ટાઈમ ઝોન બનાવ્યો ત્યારે તેણે તેને પૃથ્વીના નકશાનું કેન્દ્ર ગણ્યું. આનાથી વિશ્વની મોટી વસ્તીને ફાયદો થશે એવી દલીલ સાથે ગ્રિનવીચને નકશામાં 0 ડિગ્રી પર મૂકીને તેને સમય ધોરણ બનાવવામાં આવ્યું હતું. જે બાબતે કાયદો બનાવીને સમગ્ર દેશમાં ગ્રિનવીચ ઓબ્ઝર્વેટરીનો સમય લાગુ કરવામાં આવ્યો હતો અને સમય જતા વિશ્વએ પણ તેના સમયના ધોરણ તરીકે ગ્રિનવીચ મીન ટાઇમ (GMT)ને અપનાવ્યો હતો.
GMT પરથી કઈ રીતે સેટ કરવામાં આવે છે દુનિયાની ટાઈમ?
હાલ દરેક દેશનો ટાઈમ ગ્રિનવીચ ટાઈમઝોન સાથે સેટ કરવામાં આવે છે. જ્યારે તમે ગ્લોબ અથવા વિશ્વના નકશાને ધ્યાનથી જોશો, ત્યારે તમને દેખાશે કે તેમાં બે પ્રકારની રેખાઓ દેખાય છે. એક હોરીઝોન્ટલ અને બીજી વર્ટીકલ રેખા દેખાય છે. વિશ્વનો આ ગોળાકાર ભાગ 360 ડિગ્રીમાં જોવા મળે છે અને રેખાંશની દરેક ડિગ્રીમાં 4 મિનિટનું અંતર જોવા મળે છે. તેનો અર્થ એ થાય કે જો તમારું સ્થાન GMT થી 15 ડિગ્રી દૂર હોય તો ટાઈમ ઝોનમાં 15X4 = 60 મિનિટ તફાવત જોવા મળશે. જો થી GMT પૂર્વ તરફ આગળ વધીએ તો ઘડિયાળનો સમય વધી જશે. ભારત ગ્રિનવીચથી 82.5 ડિગ્રી પૂર્વમાં આવેલું છે અને આમ આપણા ટાઈમ ઝોન અને ગ્રિનવીચ વચ્ચે સાડા પાંચ કલાકનો તફાવત છે. એટલે કે આપણો સમય બ્રિટનના સમય કરતાં સાડા પાંચ કલાક આગળ છે.
સમગ્ર વિશ્વમાં કેટલા ટાઈમ ઝોન છે?
વર્તમાનમાં દુનિયામાં 24 ટાઈમ ઝોન છે. દરેક દેશ તેની રાજનૈતિક અને ભૌગોલિક જરૂરિયાત મુજબ પોતાનો ટાઈમ ઝોન નક્કી કરે છે. જેમાં દુનિયાના સૌથી વધુ ટાઈમ ઝોન ફ્રાંસમાં છે જે 12, રશિયામાં 11, એન્ટાર્કટિકામાં 10, અમેરિકામાં 9, બ્રિટનમાં 9, ઓસ્ટ્રેલિયામાં 8, ડેન્માર્કમાં 5 ટાઈમ ઝોન જોવા મળે છે.
ભારતમાં કેટલા ટાઈમ ઝોન?
બ્રિટિશ શાસન દરમિયાન, ભારત બે ટાઈમ ઝોનમાં વહેંચાયેલું હતું. 1948 સુધી, કોલકાતાનો ટાઈમ અલગથી નક્કી કરવામાં આવતો. પરંતુ આઝાદી દરમ્યાન માત્ર એક જ ટાઈમ ઝોન લાગુ કરવામાં આવ્યો હતો. આજે ભારતના પશ્ચિમ અને પૂર્વ ભાગોમાં સૂર્યોદયના સમયમાં 90 મિનિટનો તફાવત છે, પરંતુ ઘડિયાળ બંને જગ્યાએ એક જ ટાઈમ દર્શાવે છે. ભારતનો ટાઈમ ઝોન UTC/GMT (યુનાઇટેડ યુનિવર્સલ ટાઈમ/ગ્રિનવીચ મીન ટાઈમ) +5.5 છે. કલાક છે. સમગ્ર ભારતમાં માત્ર એક જ ટાઇમ ઝોન છે. મિર્ઝાપુરના (ઉત્તર પ્રદેશના અલાહાબાદ જિલ્લામાં) શંકરગઢમાં 82.5° E.ના રેખાંશ અનુસાર ટાઇમ ઝોનની ગણતરી કરવામાં આવે છે
આસામમાં ચાના બગીચા ભારતીય માનક સમય (IST)ને અનુસરતા નથી, તેઓ સ્થાનિક સમય, જેને "ટી ગાર્ડન ટાઈમ" અથવા "ચાહ બાગાન સમય" તરીકે ઓળખવામાં આવે છે, તેને જ અનુસરે છે. તે ભારતીય માનક સમય (IST) કરતા એક કલાક આગળ છે. કારણ કે દેશના આ ભાગમાં વહેલા સૂર્યોદયને ધ્યાનમાં રાખીને બ્રિટિશકાળમાં આ સિસ્ટમ દાખલ કરવામાં આવી હતી. બગીચાઓમાં ચાના મજૂરો માટે કામ કરવાનો સમય સામાન્ય રીતે સવારે 9 વાગ્યાની વચ્ચે હોય છે. (IST સવારે 8 am) થી સાંજે 5 વાગ્યા સુધી (IST 4 pm) હોય છે. શિયાળા દરમિયાન સૂર્ય સાંજે 4 વાગ્યા સુધીમાં આથમી જાય છે. આથી ચાના ઉત્પાદકોએ તેમના મજૂરો માટે સ્થાનિક સમય અપનાવવાનું વિચાર્યું, કારણ કે તેઓને સૂર્ય પ્રકાશમાં કામ કરવામાં સરળતા રહે છે.
દુનિયાની આ જગ્યા એ 69 દિવસ સુધી સૂર્ય અસ્ત થતો નથી
દુનિયામાં સોમરોય આઇલેન્ડમાં ઘણા મહિનાઓ સુધી રાત તેમજ ઘણા મહિનાઓ સુધી દિવસ જ થતો નથી. નોર્વેના પશ્ચિમ વિસ્તારમાં આવેલા આ આઇલેન્ડ પર આ દ્રશ્ય જોવા માટે દુનિયાભરથી પ્રવાસીઓ આવે છે. અહીંના લોકોનું જીવન આપણા કરતાં તદ્દન અલગ છે. ભૌગોલિક સ્થાન આપણાથી અલગ હોવાને કારણે અહીં 18મી મે થી 26મી જુલાઈ વચ્ચેના સમગ્ર 69 દિવસ સુધી સુર્યાસ્ત થતો નથી. એ જ રીતે અહીંના લોકોને પણ નવેમ્બરથી જાન્યુઆરી વચ્ચે 90 દિવસ સુધી લોંગ પોલર નાઈટનો સામનો કરવો પડે છે. એટલે કે આ દરમ્યાન સૂર્ય ઉગતો નથી.
અહીં નવેમ્બર અને જાન્યુઆરી વચ્ચે માત્ર 24 કલાકની રાત જોવા મળે છે, જે લોકો અહીં મુલાકાત લેવા આવે છે તેઓ પણ આઇલેન્ડમાં પ્રવેશતા પહેલા તેમની ઘડિયાળો પુલ પર બાંધે છે અને ટાઈમ સાથે બંધાયેલ જીવન જીવવાથી થોડા દિવસો માટે સ્વતંત્રતા અનુભવે છે. આ દુનિયામાં વિવિધ સ્થળોના લોકો માટે ટાઈમ ઝોનનો અર્થ કેટલો અલગ છે. કોઈ દેશને સરખા દિવસ-રાત મળે છે તો કોઈને છ-છ મહિના માત્ર અંજવાળા કે માત્ર અંધારામાં વિતાવવા પડે છે.