કોણ હતો એ માણસ, જેની ચિતાની રાખ ચંદ્ર પર મોકલીને નાસાએ શ્રદ્ધાંજલિ આપી હતી?

માત્ર ત્રણ વર્ષમાં ભૂ-વિજ્ઞાનમાં બેચલર અને માસ્ટર્સ, બંને ડિગ્રી મેળવી બધાને ચોંકાવી દીધા

છેલ્લી ઘડીએ ખબર પડી કે શૂમેકરને એડિસન નામની બીમારી હતી, જેથી તેઓ ચંદ્ર પર ન જઈ શક્યા

Updated: Mar 9th, 2024


Google NewsGoogle News
કોણ હતો એ માણસ, જેની ચિતાની રાખ ચંદ્ર પર મોકલીને નાસાએ શ્રદ્ધાંજલિ આપી હતી? 1 - image

અમેરિકન અવકાશ વિજ્ઞાની નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર પગ મૂકનાર પહેલી વ્યક્તિ હતી. પરંતુ શું તમને ખબર છે કે, એક એવો પણ અમેરિકન છે, જે જીવતેજીવ તો ચંદ્ર પર ન જઈ શક્યો પરંતુ તેના મોત પછી તેની રાખ ચંદ્ર પર મોકલવામાં આવી હતી. આ શખસ હતો અમેરિકન એસ્ટ્રોનોટ યૂજીન મર્લે શૂમેકર કે જેમની રાખ ચંદ્ર પર મોકલવામાં આવી હતી. 

ત્રણ વર્ષમાં ભૂ-વિજ્ઞાનમાં બેચલર-માસ્ટર્સ, બંને ડિગ્રી લઈને બધાને ચોંકાવ્યા 

અમેરિકાના લોસ એન્જલસમાં વર્ષ 1928માં જન્મેલા શૂમેકર બાળપણથી ભણવામાં હોશિયાર હતા. સ્કૂલ અભ્યાસ પછી કેલિફોર્નિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં એડમિશન મેળવ્યું અને ત્યાં માત્ર 3 વર્ષની અંદર ભૂ-વિજ્ઞાનમાં બેચલર અને માસ્ટર્સ, બંને ડિગ્રી મેળવી બધાને ચોંકાવી દીધા. શૂમેકરને શરુઆતમાં અંતરિક્ષ વિજ્ઞાન ગમતું હતું. ઉલ્કાપિંડ અને તેના રહસ્ય તેમને આકર્ષિત કરતું હતું. જો કે તે પછી તેમણે ઉલ્કાપિંડ પર પીએચડી કર્યું હતું.

તો નીલ આર્મસ્ટ્રોંગ નહીં, શૂમેકર ચંદ્ર પર પહેલો પગ મૂકનાર વ્યક્તિ હોત!

મોર્ડન એસ્ટ્રોજીઓલોજીના જનક કહેવાતા શૂમેકરએ અમેરિકન એસ્ટ્રોજિયોલોજી રીસર્ચ પ્રોગ્રામની શરુઆત કરી અને તે તેના પ્રથમ ડિરેક્ટર હતા. એ પછી તેઓ અમેરિકાના મહત્ત્વકાંક્ષી મિશન મુન સાથે જોડાઈ ગયા હતા. જો કે તે પછી આ વાત એટલી આગળ વધી કે અમેરિકાએ શૂમેકરને ચંદ્ર પર મોકલવાનો નિર્ણય કર્યો. પરંતુ દરેક જગ્યાએ જો આપણું ધાર્યું થતું હોત તો નીલ આર્મસ્ટ્રોંગ નહીં, શૂમેકર ચંદ્ર પર પહેલો પગ મૂકનાર વ્યક્તિ હોત. 

જો કે છેલ્લી ઘડીએ ખબર પડી કે શૂમેકરને એડિસન નામની બીમારી હતી. તેના કારણે તેઓ ચંદ્ર પર ન જઈ શક્યા.  તે પછી તેઓ એપોલો 11 મિશનના એસ્ટ્રોનોટ્સમાં ટ્રેનિંગ આપવા જોડાયા. તેમણે નાનામાં નાની દરેક બાબત સમજાવી. એપોલો 11 મિશન હેઠળ નીલ આર્મસ્ટ્રોંગ અને અન્ય અમેરિકન અવકાશી વિજ્ઞાની ચંદ્ર પર પહોંચ્યાં હતા. 

નાસાએ શૂમેકરને અનોખી શ્રદ્ધાંજલિ આપી

વર્ષ 1997ના જુલાઈમાં શૂમેકર અને તેમની પત્ની કેરોલિનનું ઓસ્ટ્રેલિયામાં ભયાનક અકસ્માત થયો. જેમા 69 વર્ષની ઉંમરે શૂમેકરનું નિધન થયું. શૂમેકર જ્યાં સુધી જીવતા રહ્યા ત્યા સુધી, તેમને તેમની બીમારીના કારણે ચંદ્ર પર ન જઈ શકવાનો અફસોસ સતાવતો રહ્યો. જો કે, તે પછી અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ શૂમેકરને અનોખી શ્રદ્ધાંજલિ આપી, તે અંતર્ગત જાન્યુઆરી 1998માં નાસાએ જ્યારે Lunar Prospector Mission મોકલ્યું તેની સાથે શૂમેકરની રાખની એક ખાસ કેપ્સ્યુલ તૈયાર કરી રવાના કરવામાં આવી હતી. 

And, when he shall die...

આ કેપ્સ્યુલમાં શૂમેકરના પાર્થિવ દેહની રાખ હતી. તેની ઉપર તેમના જન્મ અને મૃત્યુની તારીખ લખવામાં આવી હતી. આ સાથે રોમિયો અને જુલિયટના મશહૂર ક્વૉટ ‘And, when he shall die...’ લખવામાં આવ્યું હતું, જેનો શૂમેકર વારંવાર ઉલ્લેખ કરતાં હતા. 


Google NewsGoogle News