મંગળ પર મળી આવેલા 'ક્રેટર' ને દેવેન્દ્ર લાલનું નામ અપાયું, જાણો તેમની સિદ્ધિઓ વિશે

Updated: Jul 3rd, 2024


Google NewsGoogle News
Devendra Lal
Image Twitter 

Indian Space Research:  મંગળ પરના એક ક્રેટર એટલે કે ખાડાને અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) ના ભૂતપૂર્વ ડિરેકટર દેવેન્દ્ર લાલનું નામ આપવામાં આવ્યું છે. વર્ષ 1971ના ડીસેમ્બરમાં ડૉ. વિક્રમ સારાભાઈનું આકસ્મિક નિધન થયા પછી પીઆરએલના ડિરેકટર બનેલા દેવેન્દ્ર લાલને ડૉ. સારાભાઈના વિઝનને આગળ ધપાવીને ભારતમાં સ્પેસ રિસર્ચનો નવો યુગ શરૂ કરવાનું શ્રેય અપાય છે.

દેવેન્દ્ર લાલના સમયમાં પીઆરએલે માઉન્ટ આબુમાં ઈન્ફ્રારેડ ઓબ્ઝર્વેટરી સ્થાપી. ગુરૂ શિખર પાસેની ઈન્ફ્રારેડ ઓબ્ઝર્વેટરી અવકાશમાં ચાલી રહેલી ગ્રહો, તારા વગેરેની હિલચાલ નોંધવા માટેની પહેલી સંસ્થા હતી. દેવેન્દ્ર લાલે રાજકોટ, સુરત અને અમદાવાદના થલતેજમાં સોલર વિન્ડન ઝડપ માપવા માટે રેડિયો ટેલીસ્કોપ પણ લગાવ્યાં. પીઆરએલમાં અર્થ સાયન્સ, લ્યુનાર મેટરોઈસ અને પ્લાઝામા રિસર્ચ શરૂ કરાવવાનું શ્રેય પણ લાલને જાય છે.

ભારતમાં સ્પેસ રીચર્સના પ્રણેતા મનાતા બે મહાન વિજ્ઞાનીઓ હોમી ભાભા અને ડૉ. વિક્રમ સારાભાઈ બંનેના વિઝનને લાલે સાકાર કર્યું છે. પીઆરએલમાં જોડાતાં પહેલાં દેવેન્દ્ર લાલ હોમી ભાભાએ સ્થાપેલી તાતા ઈન્સ્ટિટ્યુટ ઓફ રિસર્ચમાં કામ કરતા હતા.

નાસાએ વર્ષ 2005માં મંગળ પર માર્સ અવકાશ યાન મોકલ્યું પછી આ ઓર્બિટરમાં ફીટ થઈ શકે તેવું રડાર 2006માં મોકલ્યું હતું, મંગળની જમીન અંગેનો ડેટા મોકલતું આ રડાર મંગળ ગ્રહ પરના જજ્વાળામુખી, બરફ, પાણી, ખાડા વગેરેનો ડેટા મોકલે છે. પીઆરએલના વિજ્ઞાનીઓને આ  ડેટાના સંશોધનમાં મંગળ પર જવાળામુખીના વિસ્તારમાં ત્રણ મોટા ખાડા (ક્રેટર) દેખાયેલા. આ પૈકી બે ક્રેટરનો વ્યાસ 10 કિ.મી. છે, જ્યારે એકનો વ્યાસ 50 કિ.મી. છે. મંગળના પશ્ચિમ ગોળાર્ધમાં વિષુવવૃત્તની પાસે થાર્સિસ નામે જ્વાળામુખીનો મોટો વિસ્તાર છે કે જેને થાર્સિસ નામ અપાયેલું છે. સૌરમંડળમાં અહીં સૌથી મોટો જજ્વાળામુખી હોવાનું મનાય છે.

ભારતીય વિજ્ઞાનીઓએ આ ક્રેટર શોધ્યાં હોવાની નાસાએ ભારતીય વિજ્ઞાનીઓને તેમનાં નામ પાડવા કહેલું. પીઆરએલએ એક ક્રેટરનું નામ દેવેન્દ્ર લાલનું જ્યારે બીજાં બે ક્રેટરને “મુરસાન' અને “હિલ્સા' ક્રેટર નામ આપવાનું સૂચન કરેલું. નાસાએ આ દરખાસ્તને મંજૂરી આપતાં ક્રેટરને દેવેન્દ્ર લાલનું નામ અપાયું છે.



Google NewsGoogle News