શહેરના સુભાષનગરની સાગર ટાઉનશીપમાં પાણીના ધાંધીયા
- તહેવારના દિવસોમાં પણ પ્રેસરથી પાણી નહી મળતા રહીશોમાં રોષ
- નિયમીત અને પ્રેસરથી પાણી આપવા સ્થાનિક રહીશોએ માંગણી ઉઠાવી
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલ સાગર ટાઉનશિપ સોસાયટીમાં ઘર વપરાશના પાણીનો જથ્થો અપૂરતો મળતો હોય જેથી સોસાયટીના તમામ પરિવારને પાણીની મુશ્કેલી કાયમી વેઠવી પડે છે તેમજ સ્વખર્ચે પાણીના ટેન્કરો મંગાવવા પડે છે. ઘર વપરાશના પાણી પ્રશ્ન સામે જજુમાવવાની નોબત આવેલ છે. સોસાયટીના મધ્યમ વર્ગીય પરિવારોને આવકની બચતની રકમ પાણીની મુશ્કેલીને પહોંચી વળવા ઉપયોગમાં લેવાની ફરજ પડેલ છે. તહેવારોનો સમય ચાલી રહેલ છે પણ પાણીના પ્રશ્ને પરિવારોને ખુબ જ હાલાકી સહન કરવી પડી રહી છે.
પાણી સમસ્યા અંગે સંબંધિત તંત્રને અવાર નવાર ફરિયાદો કરવા છતાં આ પરેશાનીનો કોઈ અંત આવી રહ્યો નથી. આ બાબતે આજે બુધવારે મહિલા મંડળ દ્વારા મનપાના કમિશનરને રૂબરૂ મળી લેખીત રજુઆત કરવામાં આવી હતી અને પાણી પ્રશ્ન તત્કાલ હલ થાય તેવી માંગણી ઉઠાવી હતી. પાણી પ્રેસરથી નહી આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે મનપાએ તત્કાલ યોગ્ય પગલા લેવા જરૂરી છે.