ટંકારાનાં વિરપર ગામે તળાવમાં ડૂબી જતાં બે યુવાનોનાં મોત
મોરબી ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ કરી મૃતદેહો બહાર કાઢ્યા
સામા કાંઠે રિક્ષા લેવા જતા હતા ત્યારે કોઝ-વે પરથી પગ લપસી જતાં બનેલી દુર્ઘટનાના પગલે ગામમાં અરેરાટી
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ટંકારાના વીરપર ગામના તળાવના
સામાકાંઠે રીક્ષા પડી હોય જે લેવા માટે પ્રવીણભાઈ નરશીભાઈ સનારીયા (ઉ.વ.૪૨) અને
પ્રેમજીભાઈ ભગવાનજીભાઈ સનારીયા (ઉ.વ.૩૨) બંને કોઝ-વે પરથી સામાકાંઠે જતા હતા
ત્યારે પગ લપસી જતા બંને તળાવના પાણીમાં ગરક થયા હતા જેને પગલે મોરબી ફાયર ટીમને
જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી અને શોધખોળ ચલાવી હતી જોકે ફાયર
બ્રિગેડની ટીમને બંનેના મૃતદેહ જ હાથ લાગ્યા હતા.
આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બંને યુવાનોના
મૃતદેહ પીએમ અર્થે ખસેડી બનાવની વધુ તપાસ હાથ ધરી છે. વીરપર જેવા નાના ગામમાં બે
વ્યક્તિના ડૂબી જતા મોત થતા સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.