વલ્લભીપુર પાસે અકસ્માતમાં બે સાધ્વીજી મ.સા. ઈજાગ્રસ્ત

Updated: Jun 27th, 2024


Google NewsGoogle News
વલ્લભીપુર પાસે અકસ્માતમાં બે સાધ્વીજી મ.સા. ઈજાગ્રસ્ત 1 - image


વિહાર કરી રહ્યા હતા ત્યારે બનેલો બનાવ

બન્ને સારવાર અર્થે ભાવનગર દવાખાને ખસેડાયા

ભાવનગર: વલ્લભીપુર પાસે થયેલા વાહન અકસ્માતમાં બે સાધ્વીજી મહારાજ સાહેબને ઈજા થતા બન્નેને સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા છે. 

આ અંગેની પ્રાપ્ય વિગત અનુસાર પૂજ્ય સાધ્વીજી ધર્મપ્રિયાશ્રીજી મહારાજ અને સાથે નૂતન દીક્ષિત પૂજ્ય સાધ્વીજી અર્હમપ્રિયાશ્રીજી મહારાજ વિહાર કરી રહ્યા હતા અને પવિત્ર જૈન મહાતીર્થ પાલિતાણા જઈ રહ્યા હતા ત્યારે વલ્લભીપુર પાસે આજે સવારે ૮.૩૦થી ૯ વાગ્યાના અરસામાં વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર અર્થે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું હતું. 

 અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ મધ્યપ્રદેશથી પાલિતાણા તરફ વ્હીલચેરમાં વિહાર કરી રહેલ પૂજ્ય આચાર્ય દેવશ્રી દેવચંદ્રસાગરસૂરિશ્વરજી મ.સા.ને બાવળિયારીથી સનેસ માર્ગ પર લક્ઝરી બસે ટક્કર મારતા તેમને પણ ગંભીર ઈજા થઈ હતી અને સારવાર અર્થે ભાવનગર ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યા હતા અને અહીંથી વધુ સારવાર અર્થે અમદાવાદ રીફર કરવામાં આવ્યા હતા. 

 આ અગાઉ પણ આ પ્રકારના ગમખ્વાર અકસ્માતના બનાવો બન્યા છે. તેથી વિહાર કરતા પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોની સલામતી માટે પગદંડી બનાવવા સહિતના વિવિધ પ્રબંધ કરવાની પ્રબળ માગ પ્રવર્તી રહી છે.



Google NewsGoogle News