Get The App

પ્રેમ લગ્નનો કરૂણ અંજામ : પત્નિની હત્યા કરી પતિનો આપધાતનો પ્રયાસ

Updated: Nov 4th, 2021


Google News
Google News
પ્રેમ લગ્નનો કરૂણ અંજામ : પત્નિની હત્યા કરી પતિનો આપધાતનો પ્રયાસ 1 - image


- દિવાળીના દિવસે જ હોળી : સરીતા સોસાયટીમાં સરાજાહેર યુવતીની હત્યા

- 10 માસ પુર્વે પ્રેમ લગ્ન કર્યા બાદ ઘરકંકાસના કારણે યુવતીએ સાસરી છોડી પિયરમાં રહેતી હતી : યુવકે જાતેથી ગળા, પેટ અને પડખામાં છરીના ઘા ઝીંકી દેતા ગંભીર હાલતે સારવારમાં ખસેડાયો

- યુવક સાથે ગયેલા મિત્રને પોલીસે ઉઠાવી લીધો : અગાઉ પણ મૃતક પરિણીતાએ પોલીસ સમક્ષ અરજી આપી હતી

ભાવનગર : દિવાળીના મહાપર્વ ટાણે જ આજે ધોળા દિવસે રક્તરંજીત ઘટના ઘટવા પામી હતી. ભાવનગરના સરીતા સોસાયટીમાં રીસામણે રહેતી પરિણીતાને પતિએ ધસી આવી ઉપરા-છાપરી છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખી પોતે જાતેથી ગળાના ભાગે, પેટ અને પડખામાં છરીના ઘા ઝીંકી દઇ આત્મઘાતનો પ્રયાસ કરતા યુવકને ગંભીર હાલતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવને લઇ પોલીસ કાફલો દોડી ગયો હતો અને યુવક સાથે રહેલ એક શખ્સને ડિટેઇન કરી લીધો હતો.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારના પ્રેસ ક્વાર્ટરમાં સાસરી ધરાવતા ચાર્મીબેન પ્રવિણભાઇ નાવડીયા (ઉ.વ.૨૦)એ દોઢ વર્ષ પૂર્વે વિશાલ ભુપતભાઇ વાઘેલા (ઉ.વ.૨૩) સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. લગ્નજીવન દરમિયાન પારિવારીક ઝઘડાઓ ચાલતા હોય જેને લઇ ચાર્મીબેને થોડા સમય પૂર્વે પોલીસ મથકમાં અરજી પણ આપી હતી. દરમિયાન સાસરીયુ છોડી તેઓ સરીતા સોસાયટી શેરી નં.૬ પિયરમાં રીસામણે રહેતા હતાં. દરમિયાન આજે ગુરૂવારે સવારે ૧૧.૩૦ કલાકના અરસા દરમિયાન પતિ વિશાલ વાઘેલાએ તેની સાસરી સરીતા સોસાયટીમાં ધસી જઇ ચાર્મીબેન સાથે દિવાળીના દિવસે જ ઝઘડો કરી ઉપરા-છાપરી છરીના ઘા ઝીંકી દઇ કરપીણ હત્યા કરી નાખી હતી. ત્યારબાદ વિશાલે પોતાની જાતે જ ગળાના ભાગે, પેટ અને પડખાના ભાગે છરીના આડેધડ ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કરતા તેને ગંભીર હાલતે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. રક્તરંજીત ઘટનાની જાણ થતા બોરતળાવ પો.સ્ટે.ના પી.આઇ. સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને વિશાલ વાઘેલા સાથે રહેલ તેના મિત્રને ડિટેઇન કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

બનાવને લઇ ભારે અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી હતી. જાણવા મળ્યા મુજબ ચાર્મીબેન પોતાના પિયરમાં ચાલ્યા ગયા બાદ વિશાલ ડિપ્રેશનમાં રહેતો હોવાનું અને અગાઉ પણ આત્મઘાતનો પ્રયાસ કર્યો હોવાનું તેના મિત્ર વર્તુળમાંથી જાણવા મળ્યું હતું. જ્યારે વિશાલે પણ ગાંધીનગર સુધી અરજીઓ અને રજૂઆત કરી હોવાનું સામે આવ્યું હતું. રક્તરંજીત ઘટનાના પગલે બોરતળાવ પોલીસે હત્યાની કલમ તળે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

ચાર્મીબેનના મૃતદેહનો કબ્જો સંભાળવા પરિવારનો ઇન્કાર

પ્રેસ ક્વાર્ટરમાં સાસરી ધરાવતા ચાર્મીબેન પારિવારીક ઝઘડાઓને લઇ થોડા સમય પૂર્વે પોતાના પિયર રિસામણે આવી પહોંચતા તેનો પતિ વિશાલ વાઘેલા, તેના મિત્ર કુલદિપ અને અન્ય યુવતી સહિતના સાથે ધસી ગયો હતો અને ઘરમાં ઘુસી ઝઘડો કર્યો હતો જે ઘટના સીસીટીવી ફુટેજમાં કેદ થતા પરિવારજનોએ ફુટેજ પોલીસને સોંપી અરજી આપી હતી. અગાઉ પણ ચાર્મીબેને તેને સાસરીયામાં દબાણ કરાતા અને ધાક-ધમકી અપાતા પોલીસમાં એફ.આઇ.આર. નોંધાવવા પહોંચ્યા હતા પરંતુ પોલીસે અરજી લીધી હતી ત્યારબાદ આજે ગુરૂવારે ચાર્મીબેનની હત્યા કરાતા તેના દાદા છગનભાઇ નાવડીયાએ વિશાલના મિત્રો અને યુવતીને હાજર કર્યાં પછી જ ચાર્મીબેનના મૃતદેહનો કબ્જો સંભાળાશે ત્યાં સુધી કબ્જો સંભાળવાનો ઇન્કાર કર્યો હતો.

Tags :
Bhavnagarattempted-suicidekilling-his-wife

Google News
Google News