આજે ઋુષિપાંચમના પર્વે ગોહિલવાડમાં ઠેર-ઠેર પરંપરાગત લોકમેળા યોજાશે

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News
આજે ઋુષિપાંચમના પર્વે ગોહિલવાડમાં ઠેર-ઠેર પરંપરાગત લોકમેળા યોજાશે 1 - image


- ઋુષિગણ પ્રત્યે કૃતજ્ઞાતા વ્યકત કરવામાં આવશે

- પૌરાણિક ધર્મસ્થાનકોમાં અને કોળીયાક સહિતના સમુદ્રતટે માનવમહેરામણ ઉમટી પડશે

ભાવનગર : પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ગોહિલવાડમાં આવતીકાલ તા.૨૦ સપ્ટેમ્બરને બુધવારે પરંપરાગત રીતે પાવનકારી ઋુષિપાંચમના મહિમાવંતા મહાપર્વની ભકિતમય માહોલમાં આસ્થાભેર ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે ભાવનગર શહેર અને જિલ્લાના પૌરાણિક ધર્મસ્થાનકોમાં દર્શનાર્થે અને કોળીયાક સહિતના સમુદ્રતટે શ્રધ્ધાળુઓ ઉમટી પડશે.

દેવાધિદેવ મહાદેવની આરાધનાના અંતિમ દિવસ ભાદરવી અમાસ બાદ ભાદરવા સુદ પાંચમે ઋુષિપાંચમના પાવનકારી અવસરે દેવદર્શન, પુજન અર્ચન બાદ સમુદ્રસ્નાનનો અનન્ય મહાત્મ્ય હોય આ બંને દિવસોમાં કોળીયાક પાસેના પાંડવકાલીન પૌરાણિક શ્રધ્ધેય નિષ્કલંક મહાદેવ સહિતના ધર્મસ્થાનકોમાં આબાલવૃધ્ધ શ્રધ્ધાળુઓ ઉમટી પડશે. આ પ્રસંગે ચોમેર હિન્દુ ધર્મના શ્રધ્ધા અને આસ્થાના કેન્દ્ર સમાન ઋુષિઓ કશ્યપ, અત્રિ, ગૌતમ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, જમદગ્નિ અને વશિષ્ઠનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવશે. ઉપરોકત ઋુષિગણ પ્રત્યે કૃતજ્ઞાતા વ્યકત કરવાના આ મહાપર્વે ઋુષિપાંચમનું વ્રત કરવાથી વર્ષ દરમિયાન જાણ્યે અજાણ્યે થયેેલા અનેક પ્રકારના દોષો નાશ પામે છે અને સર્વ દોષોનું નિવારણ થતા સુખ અને શાંતિ પ્રાપ્ત થતી હોય મોટા ભાગના લોકો ઋુષિપાંચમે ધર્મસ્થાનકે દીવો અને ધુપ કરી ફળનો નૈવેદ્ય ધરી ઉપવાસ અને ફળાહાર કરાશે. આ સાથે ઋુષિપાંચમના પર્વે પૌરાણિક અગત્યતા ધરાવતા આખલોલ મહાદેવ, તળાજાના મોટા ગોપનાથ, બ્રહ્મકુંડ, નવનાથ (સિહોર), સમઢિયાળા તેમજ ગઢડાના સહસ્ત્રધારા સહિતના સ્થળોએ પણ પરંપરાગત રીતે ભાતીગળ લોકમેળાની રંગત જામશે. જયા સમગ્ર ભાવનગર શહેર અને જિલ્લાભરમાંથી વ્રતધારી મહિલાઓ દેવદર્શન અને સ્નાન માટે ઉમટી પડશે.

અનન્ય મહિમાવંતી ઋુષિપાંચમ

મહિલાથી માસિક ધર્મ, રજોદર્શન સમયે જાણ્યે અજાણ્યે લાગેલા દોષોના નિવારણ માટે ઋુષિપાંચમનું વ્રત મહિલાઓ દ્વારા મહત્તમ સંખ્યામાં કરાશે.સામો (મોરૈયા)ખાઈને મહાદેવની શ્રધ્ધાભેર પૂજા કરાશે. પાંચ વર્ષ સુધી આ વ્રત કરી ત્યારબાદ તેનું ઉજવણુ કરાશે. આ વખતે અરૂંધતી સહિતના સપ્તઋુષિઓની  પુજાવિધિ કરાશે. આ સાથે બ્રાહ્મણોને ભોજન કરાવી યથાશકિત દાન,દક્ષિણા આપી નવા કોરા વસ્ત્રોની ભેટ અપાશે તેમ ધર્મશાસ્ત્રોમાં દર્શાવાયુ છે.


Google NewsGoogle News