કાર અને રિક્ષાની ટક્કરમાં શાપુરના ત્રણ યુવાનનાં ઘટનાસ્થળ પર જ મોત
વંથલી પાસે નવા બાયપાસ પર ગોઝારો અકસ્માત
ત્રણેય મિત્રો રિક્ષામાં જૂનાગઢ તરફ જતા હતા ત્યારે માર્ગમાં કાળનો ભેટોઃ ગામમાં ભારે ગમગીનીનો માહોલ
મળતી પ્રાથમિક વિગતો મુજબ, વંથલી તાલુકાના શાપુર ગામના પ્રવિણ દેવશીભાઈ મકવાણા(ઉ.વ.૪૦), સમીર અલીભાઈ
પલેજા(ઉ.વ.ર૬) અને રમણ બોઘાભાઈ વખેસા ત્રણેય મિત્રો રવિવારે સાંજના પઃ૩૦ વાગ્યાના
અરસામાં પિયાગો રિક્ષામાં જૂનાગઢ તરફ જઈ રહ્યા હતા એ દરમ્યાન વંથલીના નવા બાયપાસ
પર ધંધુસર ગામના સર્વિસ રોડ પર વળાંકમાં કાર સાથે રિક્ષાની જોરદાર ટક્કર થતા
ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માત એટલો ભયંકર હતો કે, રિક્ષાનો બુકડો બોલી ગયો હતો. આ અકસ્માતમાં ત્રણેય યુવાનોના
ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. ત્રણેય યુવાનોના મૃતદેહોને ૧૦૮
મારફત હોસ્પિટલે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા હતા.
જન્માષ્ટમી પર્વની પૂર્વ સંધ્યાએ જ હૃદયદ્રાવક ઘટના બનતા
શાપુર ગામમાં ગમગીનીનો માહોલ પ્રસરી ગયો હતો. આ બનાવમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી
છે.