ન લડવું હોય તો વિચારી લો: સોમવારે ઉમેદવારી પરત લેવાનો અંતિમ દિવસ
ભાવનગર, તા. 06 એપ્રિલ 2019, શનિવાર
ભાવનગરમાં લોકસભાની સામાન્ય ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારી પત્ર ચકાસણી પણ થઈ ગઈ છે અને કેટલા ઉમેદવારી અમાન્ય પણ રહ્યા છે. આગામી સોમવારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ છે તેથી કેટલા ઉમેદવાર લોકસભાની ચૂંટણી જંગમાં રહેશે? તેનો ફેંસલો થઈ જશે. લોકસભાની ચૂંટણીમાં કેટલા ઉમેદવાર ચૂંટણી લડશે? તે જાણવા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ભાવનગર સહિત રાજ્યભરમાં આગામી તા. 23 એપ્રિલે લોકસભાની ચૂંટણી યોજાશે. ઉમેદવારી ફોર્મ ભરવાની અને ઉમેદવારી પત્રની ચકાસણીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. લોકસભાની ચૂંટણી લડવા માટે કુલ 19 ઉમેદવારે ફોર્મ ભર્યા હતા પરંતુ ગઈકાલે શુક્રવારે ચકાસણી દરમિયાન ડમી ઉમેદવાર તેમજ અધૂરી માહિતી હોય તેવા પ ઉમેદવારી પત્ર અમાન્ય રહ્યા હતા તેથી હવે 14 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. આગામી સોમવારે ઉમેદવારી પત્ર ખેંચવાનો અંતિમ દિવસ છે અને બપોરના ૩ કલાક સુધી ઉમેદવારી પરત ખેંચી શકાશે ત્યારે કેટલા ઉમેદવાર ફોર્મ પરત ખેંચે છે અને કેટલા ઉમેદવાર ચૂંટણી લડે છે? તેની રાહ જોવી જ રહી.
આગામી સોમવારે બપોરના 3 કલાક સુધીમાં ભાવનગરની લોકસભા બેઠકના ઉમેદવારનુ ચિત્ર સ્પષ્ટ થઈ જશે તેમ જણાય રહ્યુ છે. ભાજપ-કોંગ્રેસ સહિતના કેટલા ઉમેદવાર ચૂંટણી લડશે? તેની લોકોમાં ચર્ચા ચાલી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારો જોરશોરથી પ્રચારમાં લાગી જશે અને રાજકીય માહોલ ગરમાશે. આગામી તા. 21 એપ્રિલે સાંજે આચારસંહિતાના પગલે પ્રચાર પડઘમ શાંત થઈ જશે અને ત્યારબાદ ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર હાથ ધરશે. ચૂંટણીના કામગીરીના પગલે સરકારી અધિકારી-કર્મચારીઓ વ્યસ્ત જોવા મળી રહ્યા છે.