ગારિયાધાર શહેરનો આશ્રમ રોડ મરામતના અભાવે ખખડધજ બન્યો
- 24 કલાક વાહન વ્યવહારથી સતત ધમધમતો
- રીપેરીંગના વાંકે અત્યંત મહત્વનો માર્ગ દિન પ્રતિદિન વધુ ને વધુ બિસ્માર બની રહ્યો હોવા છતાં તંત્રની ચૂપકીદી
હાલ ચોમાસાના અંતિમ તબકકામાં ગારિયાધાર શહેરમાં આવેલ અને વાહન વ્યવહારથી અવિરતપણે ધમધમતા આ મહત્વના માર્ગ પર ઠેર-ઠેર મસમોટા ખાડાઓ પડી જવાથી રાહદારીઓ તથા વાહનચાલકો માટે તે માથાના દુખાવારૂપ સમસ્યાઓ સર્જાય છે. એકબાજુ તહેવારોના દિવસો ચાલી રહ્યા છે અને ટૂંક સમયમાં રોશનીના મહાપર્વ દિપોત્સવીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે તે તહેવારોમાં તો આ અગત્યના રોડ પર વાહનચાલકોનો સારો એવો ધસારો રહેશે તેથી સત્તાતંત્ર દ્વારા આ શિરદર્દ સમાન સમસ્યાનું કાયમી નિવારણ લાવવામાં આવે તેવી લોકોમાં પ્રબળ માંગ ઉઠવા પામેલ છે. એક બાજુ સરકાર ગતીશીલ ગુજરાતનો નારો લગાવે છે ત્યારે પાછલા બારણેથી ગારિયાધારના ખખડધજ રસ્તાઓ રીપેરીંગના વાંકે દિન પ્રતિદિન વધુ ને વધુ ખરાબ થતા જાય છે. તેથી આ સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવી મરામતનું કાર્ય યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવે તો જ ભવિષ્યમાં મોટી સમસ્યા સર્જાશે નહિ તેવુ લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે.