1 લી સપ્ટેમ્બરથી ભાવનગર જિલ્લામાં 21 મી પશુધન વસતી ગણતરી હાથ ધરાશે

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
1 લી સપ્ટેમ્બરથી ભાવનગર જિલ્લામાં 21 મી પશુધન વસતી ગણતરી હાથ ધરાશે 1 - image


- શહેર અને જિલ્લામાં મોબાઈલ એપ્સથી પશુધન વસતી ગણતરી કરાશે 

- જિલ્લા પંચાયત કચેરી ખાતે 154 પશુ  વસતી ગણતરીદાર અને 12 સુપરવાઈઝરને તાલીમ અપાઈ 

ભાવનગર : ભાવનગર જિલ્લામાં આગામી તા. ૧ સપ્ટેમ્બરથી મોબાઈલ એપ્સ દ્વારા ૨૧મી પશુધન વસતી ગણતરી હાથ ધરવામાં આવશે. જિલ્લાના તમામ ગણતરીદાર અને સુપરવાઈઝરની તાલીમ ગત તા. ૨૧ ઓગષ્ટના રોજ જિલ્લા પંચાયત કચેરીના સભાખંડ ખાતે યોજાય હતી. આગામી ડીસેમ્બર-ર૦ર૪ સુધીમાં આ વસતી ગણતરી ઘરે-ઘરે જઇ પુર્ણ કરવામાં આવશે. 

પશુપાલન અને કૃષિ ક્ષેત્રે અગ્રેસર ભાવનગર જિલ્લામાં સમગ્ર દેશની સાથે પ્રત્યેક પાંચ વર્ષે પશુ-પક્ષીઓની વસતી ગણતરી હાથ ધરાય છે. ગત વર્ષ ૨૦૧૯ દરમિયાન કરાયેલી પશુધન ગણતરીમાં ગાય, ભેસ, ઘેટા-બકરા તેમજ જુદી જુદી પ્રજાતીના કુલ ૭,૬૨,૨૯૮ પશુ નોંધાયા હતાં. હાલ ભાવનગર જિલ્લામાં મોબાઈલ એપ્સના માધ્યમથી આગામી સપ્ટેમ્બરથી ડિસેમ્બર-ર૦૨૪ સુધી ગ્રામ્ય/શહેરી વિસ્તારમાં ૨૧મી પશુધન વસતી ગણતરી હાથ ધરવામાં આવશે. ભારત સરકાર દ્વારા વિવિધ નીતીઓના આયોજન દ્વારા પશુપાલન ક્ષેત્ર વધુ સુદ્રઢ અને આર્થિક ઉપાર્જન આપતુ થાય તે હેતુને ધ્યાને લઈને પશુઓના ડેટા બેઝની અનિવાર્યતા અને ધ્યાને લેતા પશુધન વસતી ગણતરીનું આયોજન કરવામાં આવેલ છે, જેમા પશુપાલન અને ખેતી ક્ષેત્રે અગ્રેસર ગણાતા ભાવનગર જિલ્લામાં ૨૧મી પશુધન વસતી ગણતરીમાં કુલ ૧૫૪ પશુ વસતી ગણતરીદાર અને ૧૨ સુપરવાઈઝર મળી આગામી તા. ૧ સપ્ટેમ્બરથી ડીસેમ્બર માસના અંત સુધી કુલ ચાર માસમાં કામગીરી પુર્ણ કરવામાં આવશે. 

ગણતરીદાર ગ્રામ્ય/શહેરી વિસ્તારમાં ૨૧મી પશુધન વસ્તી ગણતરી માટે આવે ત્યારે જે તે પશુપાલકોએ માહિતી અને સહકાર આપવા ભાવનગર જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામકે અનુરોધ કર્યો છે. 


Google NewsGoogle News