પ્રાચીન મુરલી મનોહર મંદિરને તંત્રની ઉપેક્ષાનો લાગ્યો લુણો
- સુપેડી સ્થિત બેનમૂન શિલ્પ સ્થાપત્ય ધરાવતા
- મંદિર અને ઉતારાની ક્ષતિગ્રસ્ત ઇમારતથી દર્શનાર્થીઓ ઉપર તોળાતું નિરંતર જોખમ
ધોરાજી,તા. 18 ઓગષ્ટ 2020, મંગળવાર
ધોરાજીથી નવ કિલોમીટર દૂર આવેલ સુપેડી ખાતે ઉતાવળી નદી કાંઠે સુપ્રસિદ્ધ અને એૈતહાસિક વારસો ધરાવતા શ્રી મુરલી મનોહર મંદિરને સરકારી ઉપેક્ષાનો લૂણો લાગતા પ્રાચીન સાંસ્કૃતિક કલા સ્થાપત્યના બેનમૂન નમુના સમાન મંદિર હવે ખઢેરમાં ફેરવાઈ જાય તે પૂર્વે પુનઃ જીણોધ્ધર કરવા લોક માગણી પ્રબળ બની છે.
સુપેડી ખાતે હજાર વર્ષ પૂર્વે સ્થપાયેલ મુરલી મનોહર મંદિર જેને પુરાતત્વ વિભાગ દ્વારા ૭૫૦ વર્ષ જૂનં મંદિર ગણાય છે. તે ભારતીય અને મુગલ સામ્રાજ્ય સમયનું અદભુત શિલ્પ કામ ધરાવે છે. મંદિરમાં હાથી, સિંહ, નર્તકી, દ્વારપાળ, અને વિવિધ પ્રતિમાઓ સાથે ઝીણી નકશી કામં અદભુત છે. આ પરિસરમાં મુરલી મનોહર ભગવાન, વિષ્ણુ નારાયણ માતા લક્ષ્મીજી નું મંદિર દ્વારિકાની જેમ પશ્ચિમ દિશા મુખે રહેલ છે. જ્યારે રામજી મંદિર અને રેવનાથ મહાદેવ પૂર્વ મુખે બિરાજે છે. મુરલી મનોહર મંદિર દ્વારિકાની જેમ ઉતાવળી નદીના ઘાટેથી પગથિયા ચડી પ્રવેશી શકાય છે.મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના બાર જેટલા બાળ સ્વરૂપ અને પંચજન્ય શંખ સાથે લક્ષ્મી નારાયણ અને ગરુડજીની મૂતઓ બિરાજીત છે.
મંદિર સાથે પાંડવ કાળના ઇતિહાસની કેટલીક લોક વાયકાઓ પ્રચલિત છે. સને ૧૯૬૫માં સરકાર દ્વારા પુરાતત્વ વિભાગ દ્વારા મંદિરને રક્ષિત સ્મારક જાહેર કરાયુ હતું. પરંતુ પુરાતત્વ વિભાગ દ્વારા મંદિરની કોઈ પણ પ્રકારની જાળવણી થતી નથી. મંદિરની નકશીદાર કોતરણીને લૂણો લાગી રહ્યો છે. મંદિર શિખર પર ડાળીઓ ફૂટી રહી છે. પ્રતિમાઓ ખંડિત થઈ ગઈ છે. તેમજ મંદિરના અંદરના ભાગે અને ઉતારા વિભાગમાં છતમાંથી પાણી ટપકવા સાથે પોપડા પડી રહ્યા છે. જેને લીધે દર્શનાર્થીઓ અને મંદિરના પૂજારી પરિવાર પર જોખમ જળુંબી રહ્યું છે. સરકાર દ્વારા મંદિરનું સમારકામ થાય તેવી માંગ કરાઈ છે.