ઉપલેટામાં છ કારખાનાઓ સીલ કરાયા, રાજકોટમાં 44 કિ.અખાદ્ય ચીજોના નાશ
Updated: Jun 26th, 2024
ચોમાસામાં પાણીજન્ય રોગનો ખતરો,સૌરાષ્ટ્રમાં ફૂડ ચેકીંગ જરૂરી
ચાર બાળકોના મોત પછી ૧૦ કિ.મી.ના એરિયામાં પગલા લેવાયા,રાજકોટમાં ઝાડાઉલ્ટીના કેસો વધતા ૨૨ વિક્રેતાઓ સામે કાર્યવાહી
રાજકોટ: ઉપલેટા પંથકમાં ચાર બાળકોને ઝાડાઉલ્ટી થયા બાદ મૃત્યુ નીપજ્યા હતા અને કોલેરાની શંકા અન્વયે તંત્ર હરકતમાં આવ્યું છે. ઉપલેટાના તણસવા રોડ પર ગણોદ અને મેરવદર વચ્ચે આવેલા છ કારખાનાઓને આ ઘટના પછી સીલ કરી કરી ઉત્પાદન સ્થગિત કરી દેવાયું છે. તો રાજકોટ મનપાએ કોલેરાથી બચવા માર્ગદર્શિકા જારી કર્યા બાદ આજે ફૂડ ચેકીંગ શરુ કરીને ૪૪ કિલો અખાદ્ય છતાં બજારમાં વેચાતો જોવા મળેલ ચીજોનો નાશ કરેલ છે.
ઉપલેટાથી અહેવાલ મૂજબ ચાર બાળકોના મોત પછી તંત્ર દ્વારા આ વિસ્તારની મુલાકાત લેવાઈ હતી અને કલેક્ટરે ૧૦ કિ.મી.ના વિસ્તારને ગંભીર રોગના ખતરાવાળો વિસ્તાર જાહેર કર્યો છે જેના અમલ માટે ઉપલેટા મામલતાદર નિયુક્ત કરાયા છે. ગઈકાલે મામલતદાર દ્વારા સંસ્કાર પોલીમર્સ, અર્ચન હીરા મોતી આશ્રય,ઘનશ્યામ પોલીમર્સ, ખોડીયાર પોલ ફેક્ટરી એમ છ કારકાનાઓ સીલ કર્યા હતા.
રાજકોટ મનપાના ફૂડ વિભાગે કાલાવડ રોડ વિસ્તારમાં દિલખુશ પાણીપૂરી, બાલા ચાઈનીઝ, જયશ્રી રામ ચાઈનીઝ, હર હર મહાદેવ ચાઈનીઝ, માહિર મદ્રાસ કાફે અને ચાઈનીઝ પંજાબી, પીઠડ ચાઈનીઝ, યશ ફાસ્ટફૂડ, શ્રીનાથજી ભેળ પાણીપૂરી, ભોલા ફાસ્ટફૂડ અને રૂહી વેજ મોમઝમાંથી ૪૪ કિલો અખાદ્ય પનીર,આજીનો મોટો, બાંધેલો લોટ, નૂડલ્સ, ગ્રેવી, વગેરે ચીજોનો નાશ કર્યો હતો.
પાણીજન્ય રોગચાળાનો ખતરો સૌરાષ્ટ્રભૂરમાં છે ત્યારે દરેક સ્થળે, હાઈવે પર ફૂડનું કડક ચેકીંગ શરુ કરવાની જરૂર છે.