ગ્રા.પં.ના બે સભ્યોના ત્રાસથી સરપંચના સસરાનો આપઘાત

Updated: Nov 28th, 2023


Google NewsGoogle News
ગ્રા.પં.ના બે સભ્યોના ત્રાસથી સરપંચના સસરાનો આપઘાત 1 - image


ઉના તાલુકાનાં મેણ ગામનો બનાવ 

જવાબદારો સામે કાર્યવાહીની માંગ સાથે મૃતદેહ સ્વીકારવા ઈન્કાર, આખરે બંને સામે ગુનો દાખલ કરાતાં મામલો થાળે 

ઉના: ઉના તાલુકાના મેણ ગામના સરપંચના સસરાએ ગ્રામ પંચાયતના બે સભ્યોના ત્રાસથી ઝેરી દવા પી જીંદગી ટૂંકાવી લીધી હતી. પરિવારે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે મૃતદેહ સ્વીકારવા ઈન્કાર કર્યો હતો. બાદમાં, એસ.પી.એ સૂચના આપતાં આરોપીઓ સામે મરવા મજબુર કર્યાની કલમ મુજબ ગુનો દાખલ કરી બંને સભ્યોની ધરપકડ કરવામાં આવતા મામલો થાળે પડયો હતો.

આ અંગેની વધુ વિગત મુજબ, ઉના તાલુકાના મેણ ગામમાં રહેતા મહિલા સરપંચના સસરા લાલજીભાઈ હમીરભાઈ સાખટ(ઉ.વ.૬પ)એ તા.ર૦ના ગ્રામ પંચાયતના સભ્ય મુન્ના બાબુ મકવાણા અને ધીરૂ હરસિંહ સોલંકીના માનસિક ત્રાસથી  ઝેરી દવા પી લીધી હતી. લાલજીભાઈને ઉના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં મામલતદાર દ્વારા તેનું ડીડી લેવામાં આવતા તેઓએ મુન્ના બાબુ મકવાણા અને ધીરૂ હરસિંહ સોલંકીના ત્રાસથી ઝેરી દવા પીધાનું જણાવ્યું હતું. 

તેઓ પંચાયતમાં ઈમાનદારી પુર્વક કામ કરતા હતા જે આ લોકોને પસંદ ન આવતા અવાર-નવાર ત્રાસ આપતા હતા. ગત રાત્રિના લાલજીભાઈનું સારવાર દરમ્યાન મોત થયું હતું. તેના પુત્ર દિલીપભાઈએ ઉના પીઆઈને જાણ કરી હતી. પીઆઈએ 'મને ડિસ્ટર્બ કરવો  નહી, જો ડીઓ આવશે તો અમે આવશું.' આ અંગે દિલીપભાઈએ એસ.પી.ને ફરિયાદ કરી હતી અને જવાબદારો સામે ગુનો દાખલ કરવાની માંગ સાથે મૃતદેહ સ્વીકારવા ઈન્કાર કર્યો હતો. બાદમાં આગેવાનોની સમજાવટના અંતે એસ.પી.ની સુચનાથી આઈપીસી ૩૦૬ મુજબ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ મામલો થાળે પડયો હતો.



Google NewsGoogle News