ગઢડામાં ખખડધજ રસ્તાઓ અને રખડતા પશુઓથી લોકો ત્રાહિમામ
- લોકોની પરેશાની તાકીદે દૂર કરવા રજૂઆત
- ચોમાસાની ઋુતુમાં પાણીના ખાડાઓ ભરાઈ જવાથી પ્રાણઘાતક અકસ્માત થવાની શકયતા
તીર્થનગરી ગઢડામાં ખાસ કરીને એમ.એમ. હાઈસ્કુલ ચોકડીથી સામા કાંઠે ઢસા તરફ જવાની ચોકડી સુધીનો રસ્તો ખુબ જ જર્જરીત થઈ ગયેલ છે. તેમજ આ મહત્વના રસ્તાઓ ઉપર રખડતા ઢોરો દ્વારા કબજો કરી લેવામાં આવે છે. જેના કારણે વાહનચાલકો સહિત લોકો ખુબ જ પરેશાન થઈ રહ્યા છે. તેમ છતાં આ ગંભીર બાબતે સ્થાનિક જવાબદાર વિભાગ દ્વારા કોઈ પ્રકારની નકકર કામગીરી કરવામાં નહી આવતા લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ બિસ્માર રસ્તાઓનું મરામત કરાવવા તથા રખડતા ઢોરથી છુટકારો અપાવવા બાબતે જરૂરી વિભાગ ગઢડા નગરપાલીકા, પાંજરાપોળ વિભાગ, આર.એન્ડ બી., બોટાદ તથા આર. એન્ડ બી.(સ્ટેટ), બોટાદ સહિત જવાબદાર ઓથોરીટી દ્વારા હાલમાં ચોમાસાની તુમાં પાણીના ખાડાઓ ભરાઈ જવાથી ખાડાઓ કેટલા ઉંડા છે તે બાબતે કોઈ અંદાજ નહી આવતા વાહનો તથા રાહદારીઓ માટે જીવલેણ અકસ્માત થાય તેવી ભીતિ જોવા મળી રહી છે. ત્યારે જેટલી બને તેટલી ઝડપી સંતોષજનક કામગીરી પુર્ણ કરી નિંભર તંત્ર ચોકસાઈપૂર્વક સઘન કાર્યવાહી હાથ ધરે તેવુ ગઢડા શહેરના લોકો ઇચ્છી રહ્યા છે.