ભાવનગર પોલીસની જોહુકમીઃ રાજકોટ અગ્નિકાંડની વાસ્તવિકતા રજૂ કરતાં ફ્લોટ્સમાંથી પોસ્ટર્સ હટાવ્યા

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
ભાવનગર પોલીસની જોહુકમીઃ રાજકોટ અગ્નિકાંડની વાસ્તવિકતા રજૂ કરતાં ફ્લોટ્સમાંથી પોસ્ટર્સ હટાવ્યા 1 - image


- 'રાજકોટની આગમાં ભારતનું ભવિષ્ય ભ્રષ્ટાચારની આગમાં ભડથું થયું' વિધાન સાથેનો ફલોટ્સ યાત્રામાં જોડાયો હતો 

- પોસ્ટર્સને ઉતારી લેવા સાથે પોલીસે ટ્રકને થંભાવી દેતાં માહોલ ગરમાયો, થોડા સમય બાદ પોસ્ટર્સ સિવાયનો ટ્રક મુક્ત કરાતાં ફરી યાત્રામાં જોડાયો 

ભાવનગર : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની ચકચારી દૂર્ઘટનાના પડઘાં હજુ શમ્યા નથી. તેવામાં આજે શહેરમાં નિકળેલી રથયાત્રામા જલદ્ વિધાન સાથે અગ્નિકાંડની દૂર્ઘટનાને હૂબહુ રજૂ કરતાં ફ્લોટસવાળો ટ્રકના આયોજકો સાથે પોલીસે જોહુકમી કરી કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.પોલીસે જલદ્ વિધાનો લખેલાં પોસ્ટર્સને ઉતરી કબ્જે કર ટ્રકને થંભાવી દેતાં માહોલ ગરમાયો હતો. જો કે, આયોજકોએ રથયાત્રા સમિતિમાં વાત કરાવતાં પોલીસે આખરે પોસ્ટર્સ વગર ટ્રકને મુક્ત કરતાં તે ફરી યાત્રામાં જોડાયો હતો.

ભાવનગર શહેરના રાજમાર્ગો પર આજે પરંપરાગત રીતે નિકળેલી ભગવાન જગન્નાથજીની ૩૯મી રથયાત્રામાં સવારના સમયે શહેરના સર્જાયેલાં હાઈ-વૉલ્ટેજ ડ્રામાની વિગત એવી છે કે, શહેરના બોરતળાવ સ્થિત ઘોબીઘાટમાં આવેલી બાળગોપાલ રામદેવપીર મિત્ર મંડળે રાજકોટ અગ્નિકાંડની ઘટનાનું વર્ણન તથા મૃતકોને શ્રધ્ધાંજલિ સાથે સદ્ગતના મોત માટે જવાબદારો અંગે ટિપ્પણી રજૂ કરતો ફલોટ્સ રથયાત્રામાં જોડ્યો હતો. જે ટ્રકને રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા ૪૪મો નંબર આપવામાં આવ્યો હતો.શહેરના સુભાષનગરથી પ્રસ્થાન પામેલી રથયાત્રામાં આ ફલોટ્સ સાથેનો ટ્રક જોડાયો હતો. જો કે, અંદાજે ત્રણેક કિ.મી. દૂર સરદારનગર પાસે પહોંચતાં પોલીસના અમુક કર્મચારીઓએ તેને અટકાવ્યો હતો. અને ટ્રકની બન્ને બાજૂ લાગવેલાં વિવિધ પોસ્ટર્સને ઉતરાવી કબ્જે લીધા હતા. એટલું જ નહીં, ફ્લોટ્સ સાથેના ટ્રકને પણ યાત્રાના રૂટમાંથી કિનારે લાવી એક સ્થળે થંભાવી દેવામાં આવ્યો હતો. જે મામલે ફલોટ્સના આયોજકો અને પોલીસ વચ્ચે શાબ્દિક તકરાર પણ થઈ હતી. 

ઘટના અંગે આયોજક અજયભાઈ ખસિયાએ જણાવ્યું કે, રાજકોટની ચકચારી ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડની દૂર્ઘટના અને તેમાં નિર્દોષના થયેલાં મૃત્યુની ઘટનાને વર્ણવી હતી. ફલોટ્સ ફરતે પોસ્ટર્સ પણ લગાવવામાં આવ્યા હતા. જેમાં 'રાજકોટની આગમાં ભારતનું ભવિષ્ય ભ્રષ્ટાચારની આગમાં ભડથું થયું' તેવું વિધાન લખવામાં આવ્યું હતું. ઉપરાંત, મૃતકોને શ્રધ્ધાંજલિ આપવાની સાથે જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ તેવી પણ માંગ ઉચ્ચારતું બેનર લગાવવામાં આવ્યું હતું. જેને લઈ પોલીસે તેમના આ જલદ્ લખાણવાળા પોસ્ટર્સ ઉતરાવી લીધા હતા. જો કે, રથયાત્રા સમિતિમાં વાત કરતાં આખરે પોસ્ટર્સ લઈ પોલીસે ટ્રકને યાત્રામાં જોડવા મુક્ત કર્યો હતો. 

જ્યારે, આ ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતાં આ બનાવ શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. જ્યારે, આ ઘટનામાં સરકારી બાબૂઓની વરવી ભૂમિકા સામે આવી રહી છે. તેવામાં ભ્રષ્ટાચારીઓના પાપે બનેલી આ ઘટનાને વાચા આપતાં ફલોટસ પર પોલીસની જોહુકમીની પણ ચારેકોરથી ટિકા થઈ રહી છે.  


Google NewsGoogle News