રાણાવાવમાં ભીખ માંગી ભટકતું જીવન ગુજારતા વૃધ્ધાની ભત્રીજા દ્વારા હત્યા
મોટા પથ્થરના ઘા ઝીંકી જીવ લઈ લીધો
નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવતાં પોલીસ દ્વારા તપાસ
પોરબંદર: પોરબંદર નજીકના રાણાવાવ ગામે ભીખ માંગીને રખડતું ભટકતું જીવન ગુજારતા એક વૃધ્ધાની તેના સગા ભત્રીજાએ પથ્થરના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી છે. આ વૃધ્ધાની લાશ નગ્ન અવસ્થામાં મળી હોવાથી હત્યા અંગેના રહસ્યના અનેક તાણાવાણા સર્જાયા છે.
રાણાવાવ ગામે નગરપાલિકાના બગીચા પાછળ ઝુંપડપટ્ટીમાં રહેતા અને છુટક મજુરી કરી ગુજરાન ચલાવતા દેવશી વિસાભાઈ વાઘેલા નામના ૨૦ વર્ષના યુવાને એવી પોલીસ ફરીયાદ નોંધાવી છે કે તેનો મોટો ભાઈ નાથો કરછમાં તેના પરિવાર સાથે છુટક મજુરીકામ કરે છે, માતા લીલાબેન (ઉ.વ.૬૦) રાણાવાવમાં રખડતું ભટકતું જીવન જીવીને ભીખ માંગીને ગુજરાન ચલાવતા હતા અને ગમે ત્યાં સુઈ જતા હતા,પિતા વિસાભાઈ વાઘેલા ૧૦ વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા,માતા લીલાબેન રાણાવાવમાં જ્યાં હોય ત્યાં તેને જમવાનું આપી આવતો હતો. ગતરાત્રે ૧૦ વાગ્યે દેવશી તેની માતા લીલાબેનને શોધતો શોધતો રાણાવાવના બસ ડેપોમાં આવ્યો હતો પરંતુ ત્યાં તેની માતા ક્યાય નજરે ચડયા ન હતા, આથી બસ સ્ટેશનમાં એક અજાણી વ્યક્તિને દેવશીએ તેની માતા વિષે પુછતા તેણે એવું જણાવ્યું હતું કે, એક અજાણ્યો છોકરો ડોશીમાંને લઈને બસ સ્ટેશનની પાછળ ગયો છે. આથી દેવશી બસ ડેપોની પાછળ માતાને શોધવા જતા તેના મામાનો દિકરો રાણાવાવના મફતિયાપરામાં રહેતો ભાવેશ બાબુભાઈ દશનામી અંધારામાં દોડીને ભાગી ગયો હતો, આથી દેવશીએ ત્યાં અંધારામાં જઈને જોતા ઘાસમાં તેની માતા લીલાબેન લોહીલુહાણ અને બેભાન હાલતમાં પડયા હતા, અને તેના શરીર ઉપર કપડા ન હતા.
તે તાત્કાલિક દોડીને નજીકમાં રહેતા મામા છગન શાંતિલાલના ઘરે ગયો હતો અને તુરંત જ મામા છગનભાઈ, માસીની દીકરી રેખા અને દેવશી વગેરે તાત્કાલિક બસ સ્ટેશન ખાતે આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસ આવી જતા લીલાબેનને રીક્ષામાં રાણાવાવની સરકારી હોસ્પિટલ ખાતે પહોચાડયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા.
હત્યાના આ બનાવમાં દેવશી વાઘેલાએ તેના મામાના દીકરા ભાવેશ બાબુભાઈ દશનામી વિરુદ્ધ માતાનું મોત નિપજાવ્યાનો ગુનો નોંધાવ્યો છે જેમાં મોટા પથ્થરના ઘા મારીને ખૂન કર્યાનું જણાવ્યું છે ત્યારે રાણાવાવ પોલીસે આ બનાવમાં આગળની તપાસ હાથ ધરી છે.
રેપ વિથ મર્ડરની શક્યતા વિષે પણ પોલીસે હાથ ધરી તપાસ
લાશ નગ્ન હાલતમાં મળી આવી હોવાથી હત્યાનો આ બનાવ રેપ વિથ મર્ડરનો તો નથી ને? તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે અને પોસ્ટમોર્ટમ સહિત મેડિકલ રીપોર્ટના આધારે હકીકત બહાર આવે તેમ જણાઈ રહ્યું છે.