તાલાલામાં યુવાન દ્વારા માતાના પ્રેમીની છરીના ઘા ઝીંકી હત્યા
- ઘરમાં માતા અને તેના પ્રેમીની પ્રેમલીલા જોઈ જતા
તાલાલા : તાલાલા ગીરમાં સિદીવાડા વિસ્તારમાં ઘરમાં માતાની તેના પ્રેમી સાથેની પ્રેમલીલા જોઈ જતાં યુવાન પુત્રએ માતાની નજર સામે તેમના પ્રેમીને માર મારી અને છરીનો એક જ જીવલેણ ઘા મારી પતાવી નાખ્યાનો બનાવ તાલાલા પોલીસ સ્ટેશનમાં નોંધાતા ભારે ચકચાર ફેલાયેલ છે.
રાત્રે સાડાત્રણ વાગ્યે યુવાન પુત્ર ઘેર આવી જતા ઢીકાપાટુનો માર મારી છરીનો એક ઘા છાતીમાં ઝીંકી દેતા ત્રણ દિકરી સહિત ચાર સંતાનનો પિતા એવો માતાનો પ્રેમી ઢળી પડયોઃ સિદીવાડાનો બનાવ
તાલાલા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે તાલાલાનાં સિદી બાદશાહ સૈયદભાઈ યાકુબભાઈ મકવાણા (ઉ.વ.૪૭) ને સિદીવાડા માં કુમાર છાત્રાલય પાછળ રહેતા આશુબેન હુસેનભાઇ મકવાણા સાથે પ્રેમ સંબંધ હતો.ગત મોડી રાત્રીના તેમના ઘરે ગયેલ આ દરમ્યાન રાત્રે સાડા ત્રણ વાગ્યા આસપાસ આશુબેન નો પુત્ર જાહિદ (ઉ.વ.૨૫) આવી ગયો હતો.જેની ખબર પડી જતાં સૈયદને બીક લાગતાં તે ઘરમાં સંતાઈ ગયો હતો.થોડીવાર પછી સૈયદ ઘરની બહાર નીકળતા જાહિદે ઢીકાપાટુનો માર મારી તું ઘણા સમયથી મારા ધ્યાનમાં છો. આજે તને પતાવી દેવો છે તેમ કહી ઘરમાંથી છરી લાવી સૈયદને છરીનો ઘા જમણી બાજુ છાતીના ભાગે મારતા સૈયદને લોહી નીકળવા શરૂ થઈ ગયું હતું.
વધુ મારથી બચવા સૈયદ દોડી બહાર ભાગવા લાગ્યો હતો.ભાગતા ભાગતા પીપળવા રોડ ઉપર પડી ગયો હતો ત્યારબાદ સૈયદને તાલાલા હોસ્પિટલે લાવેલ જ્યાં ફરજ પરના તબીબ પ્રાથમિક સારવાર આપી વેરાવળ રીફર કર્યો હતો જ્યાં રસ્તામાં સૈયદે અંતિમ શ્વાસ લીધા હતા.મૃતક ડ્રાઈવિંગ નો વ્યવસાય કરતો હતો તેમને સંતાનમાં ત્રણ દિકરી અને એક દિકરો છે.આ બનાવ અંગે પોલીસે મૃતક ના ભાઈ ઉકાભાઈ યાકુબભાઈ મકવાણા (ઉ.વ.૫૭) ની ફરીયાદ લઈ આરોપી જાહિદ હુસેન મકવાણા (ઉ.વ.૨૫) સામે હત્યાનો ગુનો દાખલ કરી પી.એસ.આઈ.આકાશસિંહ સિંધવે વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવે શહેરમાં ભારે ચકચાર જગાવી છે.