કોળિયાકના દરિયા કિનારે સુવિધાના નામે મીંડુ
- લોકો દરિયામાં ડુબે નહીં તે માટે પગલા લેવા જરૂરી
- દરિયામાં ડુબી જવાથી અનેક લોકોના મોત છતાં સત્તાધિશો નિષ્ક્રીય
ભાવનગર, તા. 20 ઓક્ટોમ્બર 2020, મંગળવાર
અવાર-નવાર કોળિયાક ખાતે આવેલ મહાદેવના ઓટા (સરકપાટલી) પાસે બહારગામથી આવતા લોકોને ખબર હોતી નથી કે ઘોઘા, કુડા, કોળિયાક, હાથબના દરિયામાં દરિયાઇ કરંટ (વમળ) વધારે પ્રમાણમાં પેદા થાય છે. જેથી ઓછા પાણીમાં પણ તણાઇ જવાની ઘટના બને છે. આજ સુધીમાં અસંખ્ય બહારગામના યાત્રાળુઓ તણાઇ ગયાના અને ડુબી જવાથી મૃત્યુ પામ્યાના બનાવો બનેલા છે પણ આજદીન સુધી સત્તાધિશો દ્વારા કોઇપણ અગમચેતીના પગલા લેવામાં આવ્યા નથી.
કુડા ગામના દરિયા કિનારે, નિષ્કલંક મહાદેવના દરિયા કિનારે, ધાવડી માના દરિયા કિનારે અગમચેતીના ભાગરૂપે લોકોને દેખાય તે રીતે મોટા અક્ષરોમાં હોર્ડીંગ્ઝ 'દરિયામાં નહાવા ન પડવું' તે મતલબના લખાણો અને અન્ય સાવચેતીની સુચનાઓ આ હોર્ડીંગ્ઝમાં લખવી અને દરિયામાં તણાતા હોય તેવા ચિત્રો પણ મુકવા જેથી કરીને બહારગામથી આવતા લોકોને ખબર પડે કે આ દરિયામાં ઉંડા પાણીમાં નહાવા ન જવાય. ભરતી અને ઓટ વચ્ચે માઇક દ્વારા સતત અગમચેતીના પગલા તેમજ દરિયાઇ પર્યાવરણને નુકશાન ન થાય તેની સુચનાઓ માઇક દ્વારા સતત અપાતી રહેવી જોઇએ જેથી કરીને ફરવા આવતા લોકોને ખબર પડે કે ઉંડા પાણીમાં નહાવા ન પડાય.
અમાસ, પુનમ, રવિવાર તથા જાહેર રજાના દિવસે કુડા, નિષ્કલંક મહાદેવ, ધાવડી માના મંદિરની સામેના દરિયા કિનારે, હાથબના દરિયા કિનારે પુરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત અને તરવૈયાની ટીમ તહેનાત રાખવી જોઇએ. સ્થાનિક લોકો તેમજ તરવૈયા માછીમાર ભાઇઓની સલાહ લઇને સમુદ્ર કિનારે સાંકળ નાખી અને સ્નાન તેમજ ધાર્મીક વિધિ પુજાની જગ્યા નક્કી કરવી જેથી કરીને જીવલેણ અકસ્માતો ઓછા થાય. દરિયા કિનારે રાત્રિના સમયે લાઇટની વ્યવસ્થા નથી તો લાઇટ અને બેસવાના બાકડાની વ્યવસ્થા ઉભી કરવા વિરાંગના ઝલકારીબાઇ સેવા સંઘના પ્રમુખ ઉદય મકવાણાની માગણી છે અને આ અમલવારી કરવા માટે જે-તે કક્ષાએથી પગલા ભરવા અનુરોધ છે જેથી કરીને કોઇના પિતા, કોઇનો દિકરો, કોઇની બહેન, કોઇની માતા આ ગોઝારા દરિયામાં તણાઇને ડુબી જવાથી મૃત્યુ ન પામે તે જરૂરી છે.