2 કલાકમાં સૌરાષ્ટ્ર તરબતોળ: લોધિકા 5.50, મેંદરડા 5 અને ધોરાજીમાં 4 ઇંચ, વિજળી પડતાં 3ના મોત

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
2 કલાકમાં સૌરાષ્ટ્ર તરબતોળ: લોધિકા 5.50, મેંદરડા 5 અને ધોરાજીમાં 4 ઇંચ, વિજળી પડતાં 3ના મોત 1 - image


- વરસાદ પડયો ત્યાં તીવ્ર વેગથી, લોધિકા,વેરાવળમાં બે કલાકમાં 4 ઈંચ,ધોરાજીમાં બે કલાકમાં અઢી ઈંચ, બગસરા, લાઠી, તલાલા, મેંદરડામાં 2 કલાકમાં બે ઈંચ 

- સૌરાષ્ટ્રમાં 119 વિજ થાંભલાને નુકસાન, 20 ગામોમાં વિજપૂરવઠો ખોરવાયો, 20 ટ્રાન્સફોર્મર ઉડયાઃ ઠેરઠેર જળબંબાકારથી રસ્તા બંધ 

Rain in Saurashtra : હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની કોઈ આગાહી કરી ન્હોતી પરંતુ, દક્ષિણ ગુજરાત  ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત સીસ્ટમ સક્રિય બનતા મેઘરાજાનું જોર એકદમ વધી ગયું હતું. સૌરાષ્ટ્ર ઉપર મંગળવારે બપોર પછી ધોધમાર વરસાદ વરસાવ્યો હતો. અગાઉ વ્યાપક વરસાદમાં વાવણી થયા બાદ કેટલાક દિવસના એકંદરે વિરામ બાદ  વરસાદથી ખેડૂતોમાં રાહતની લાગણી પ્રસરી હતી. રાજ્યના 140 તાલુકામાં રાત્રિ સુધીમાં વરસાદ વરસ્યો છે તેમાં સૌથી વધુ રાજકોટ નજીકના લોધિકા તાલુકામાં સાડા પાંચ ઈંચ જેટલું પાણી વરસી જતા ધસમસતા પાણી વહેતા થયા હતા. સાંજે ચારથી છ બે કલાકમાં જ ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. 

બે કલાકમાં ચાર ઇંચ વરસાદ

જ્યારે પાટણ-વેરાવળમાં સાંજે 6 સુધી માત્ર અડધો ઈંચ વરસાદ બાદ 6થી 8 બે કલાકમાં જ સવા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. અમરેલીના લાઠીમાં પણ સાંજે 4થી 8 દરમિયાન ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ, બગસરામાં બે કલાકમાં બે ઈંચ સહિત 3 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.  મેંદરડા અને તળાજામાં પણ બે કલાકમાં રાત્રે આઠ સુધીમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. આમ, બપોર પછી જ્યાં વરસાદ વરસ્યો ત્યાં એકસામટો વરસતા ઠેરઠેર જળબંબાકાર સર્જાયા હતા. 

વિજળીએ 3 લોકોનો લીધો ભોગ

વરસાદ સાથે વિજળીના પ્રચંડ કડાકા ભડાકા થયા હતા અને જામનગર પંથકમાં વિજળીએ બે ખેડૂત અને એક મહિલા સહિત ત્રણનો જીવ લીધો હતો. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના બુટાવદર ગામે રહેતા અને ખેતીકામ કરતા કિરીટસિંહ બચુભા ઝાલા (ઉ.વ.55) પોતાની વાડીએ બપોરના સાડાચારેક વાગ્યે હતા ત્યારે વિજળી પડતા તાત્કાલિક મૃત્યુ નીપજ્યું હતું. આજ તાલુકાના નરમાણા ગામમાં દેવરખીભાઈ અરજણભાઈ ડાંગર નામના ખેડૂત યુવાન ઉપર પણ વિજળી પડતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. મામલતદાર સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી  ગયો હતો. 

આ ઉપરાંત જામનગર તાલુકાના દોઢિયા ગામે રહેતા અને ખેતીકામ કરતા મનીષાબેન નામની શ્રમજીવી મહિલા ઉપર વિજળી પડવાથી તેનું મોત નીપજ્યું હતું જ્યારે ખેતીકામ કરતા અલ્પેશ નામના 18 વર્ષનો યુવાન વિજળીથી ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલે ખસેડાયેલ છે. પોલીસે તપાસ હાથ ધરી હતી. જામનગરના લાલપુરના પ્રવેશદ્વાર પર વિજળી ત્રાટકી હતી પણ સદભાગ્યે ત્યાં કોઈને ઈજા ન્હોતી પહોંચી. 

20 ગામોમાં વિજળી ડૂલ

સૌરાષ્ટ્રમાં અચાનક આવેલા ભારે વરસાદથી 192 વિજથાંભલાઓને નુક્શાન થયું હતું અને 20થી વધુ ગામોમાં વિજ પૂરવઠો ખોરવાઈ ગયો હતો. ખેતીવાડીના 47 સહિત 55 ફીડરમાં ફોલ્ટ સર્જાયો હતો. જેમાં સૌથી વધુ જામનગરમાં 70, જુનાગઢ જિલ્લાના 58, ભાવનગરના 37, પોરબંદરના 16 સહિત 192 વિજથાંભલાને નુકસાન થયું છે અને  20 ટ્રાન્સફોર્મર પણ ડેમેજ થયા હતા. 

સૌરાષ્ટ્રના 50 તાલુકામાં વરસાદ

સત્તાવાર સૂત્રો અનુસાર સૌરાષ્ટ્રમાં 50થી વધુ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. જેમાં રાજકોટ જિ.ના ધોરાજીમાં બપોર પછી 2થી 4 વચ્ચે બે કલાકમાં અઢી ઈંચ સાથે આશરે સાડાત્રણ ઈંચ , લાઠીમાં સાંજે 4થી 8 ચાર કલાકમાં સાડાત્રણથી ચાર ઈંચ, બગસરામાં અઢી ઈંચ, તાલાલામાં સાંજ સુધી હળવા ઝાપટાં બાદ બે કલાકમાં બે સહિત અઢી ઈંચ, જુનાગઢના વિસાવદર,મેંદરડામાં અઢી ઈંચ, કુંકાવાવ વડિયા, ગોંડલ, માળિયા હાટીના, સૂત્રાપાડા સહિત વિસ્તારોમાં દોઢથી બે ઈંચ વરસાદ વરસ્યો હતો.

રાજકોટ શહેરમાં દોઢ ઈંચ વરસાદથી માધાપર ચોક સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે મૂશ્કેલી વેઠવી પડી હતી. સાંજના સમયે લોકોની અવરજવર વધારે રહેતી હોય છે ત્યારે જ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

જુનાગઢ-રાજકોટ આસપાસના વિસ્તારોમાં વરસાદ 

આમરણ વિસ્તારમાં રાત્રિના એક કલાકમાં વિજળીના કડાકાભડાકા સાથે બે ઈંચ પાણી વરસી ગયું હતું.  ઉપરાંત રાણવાવ, માળિયા મિયાણા, ઉના, જેતપુર, જાફરાબાદ, ગીર ગઢડા, કલ્યાણપુરમાં એકથી દોઢ ઈંચ તેમજ ભાણવડ, થાનગઢ, વાંકાનેર, લાલપુર, અમરેલી, ધ્રોલ, બાબરા, કોડીનાર, ઉપલેટા, કેશોદ, ચોટીલા, લિલીયા, જોડિયા, બોટાદ, સાયલા, જામનગર, જુનાગઢ શહેર સહિત વિસ્તારોમાં અડધાથી એક ઈંચ સહિત વ્યાપક વરસાદ રહ્યો હતો જે મુજબ આગાહી ન્હોતી. 

વરસાદના લીધે નદીઓમાં ઘોડાપૂર

સૌરાષ્ટ્રમાંથી અહેવાલો મૂજબ ચિત્તલ,જસવંતગઢ વિસ્તારમાં વાવણી પછી આજે એકથી દોઢ ઈંચ વરસાદ વરસી જતા ખેડૂતોમાં રાહતની લાગણી પ્રસરી હતી. અમરેલી જિલ્લામાં સૌથી વધુ વરસાદ લાઠીમાં સાડા ત્રણ,બગસરામાં અઢી, કુંકાવાવમાં 2 ઈંચ અને અન્ય તાલુકામાં ઝાપટાંથી એક ઈંચ વરસાદ વરસ્યો હતો.  અમરેલીના  અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા, ખેતરો જળથી તરબતર થયા હતા. સોરઠના ગડુ પંથકમાં પણ એક સપ્તાહના વિરામ બાદ આજે બે ઈંચ વરસાદ વરસી ગયો હતો. ગોંડલ પંથકમાં અઢી ઈંચ સુધી શ્રીકાર વરસાદથી ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. 

વરસાદથી સોરઠ પંથક જળબંબાકાર

જુનાગઢમાં રાત્રે આઠ વાગ્યા પછી પણ વરસાદનું જોર વધ્યું હતું અને રાત્રિના 10 સુધીમાં માળિયા હાટીના 4 ઈંચ, મેંદરડા તાલુકામાં 4.50થી પાંચ ઈંચ, કેશોદમાં 3 ઈંચ, માંગરોળ અને માણાવદરમાં અઢી ઈંચ, જુનાગઢમાં દોઢ ઈંચ  વરસાદથી સોરઠ પંથક વધુ એક વાર જળબંબાકાર થયો હતો. આ પહેલા પણ ત્યાં ભારે વરસાદ વરસ્યો છે.  મોરબી જિલ્લામાં ગત મોડી રાત્રે અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો અને મચ્છુ-3 ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. 

ખંભાળિયા જિલ્લામાં સપ્તાહના વિરામ બાદ મેઘરાજા વરસ્યા હતા અને કેટલાક ગામોમાં ત્રણ ઈંચ સુધી વરસાદ વરસ્યાના અહેવાલો છે. વરસાદની સાથે તીવ્ર પવન ફૂંકાયો હતો. તો રાજકોટના ધોરાજી તાલુકામાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. 


Google NewsGoogle News