પાલિતાણામાં દિક્ષા લેનાર 30 મુમુક્ષુઓ પધારતા જૈન સમાજમાં હર્ષ છવાયો
- 3 હજાર ભાવીકો દ્વારા પ્રક્ષાલપૂજા કરાઈ
- 250 સાધુ અને સાધ્વીજીઓએ ચતુર્વિધ સંઘ સાથે સિધ્ધ ગિરિરાજની સ્પર્શના,પૂજન, દર્શન, વંદના કરી
યાત્રાધામ પાલિતાણામાં એકીસાથે ૩૦ જેટલા મુમુક્ષુઓ પધાર્યા હતા.આ અવસરે આ ૩૦ મુમુક્ષુઓ સાથે પાલિતાણામાં બિરાજમાન રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શ્રમણ શ્રમણી ભગવંતોની સાથે ચતુર્વિધ સંઘની હાજરીમાં ભવ્ય વર્ષીદાન યાત્રા તળેટી રોડ પર નંદપ્રભા-સલોત ભવનથી નિકળી હતી. ત્યારબાદ નંદપ્રભામાં પધારનાર મુમુક્ષુઓને આચાર્ય દિવ્યકીર્તીસૂરીશ્વરજી મ.સા. તથા આ. પુણ્યકિર્તીસૂરીશ્વરજી મ.સા.એ હિતશિક્ષા આપી હતી. રાત્રીના આ મુમુક્ષુઓનું જયંતિલાલ ડી.અજબાણી પરિવાર, નંદ પ્રભા પરિવાર, સલોત ભવનના ટ્રસ્ટી દિવ્યકાંત સલોત પરિવાર તથા અન્ય શ્રેષ્ઠિઓએ કર્યુ હતુ. તાજેતરમાં ૨૫૦ જેટલા સાધુ, સાધ્વીજીઓ તથા ચતુર્વિધ સંઘ સાથે સિધ્ધગિરિરાજની સ્પર્શના નવટુંકમાં બિરાજમાન પાંચ પાંડવોની દેરીએ પુજન, દર્શન, વંદન તથા ગિરિરાજ ઉપર બિરાજમાન પ્રથમ તીર્થંકર આદેશ્વરદાદાની પ્રક્ષાલ પુજા ભારતભરના આશરે બે થી ત્રણ હજાર ભાવિકોએ ભાવ અને ભકિતમય માહોલમાં પુર્ણ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે વિધિ પરિવાર, દિક્ષિત પરિવાર, દાતા પરિવારે જહેમત ઉઠાવી હતી.