રાજકોટમાં પૂર્વ પ્રેમીએ યુવતીની સગાઇ તોડાવી નાખી

Updated: Jan 28th, 2024


Google NewsGoogle News
રાજકોટમાં પૂર્વ પ્રેમીએ યુવતીની સગાઇ તોડાવી નાખી 1 - image


યુવતીની જ્યાં સગાઇ થઇ હતી તે પરિવારને ફોટા મોકલી આપ્યાની ફરિયાદમાં શંકા દર્શાવાઇ

રાજકોટ :  પ્રેમીકાની સગાઇ થઇ ગયા પછી પણ તેનો પીછો કરી હેરાનગતિ કરી, સગાઇ તોડાવી નાખવા અંગે પરસાણાનગરમાં રહેતા આયુષ સુરેશ સોલંકી સામે પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

ભોગ બનનાર યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ત્રણેક વર્ષ પહેલા તેને આયુષ સાથે પ્રેમસબંધ હતો. તે વખતે આયુષ તેની સાથે લગ્ન માટે જીદ કરતો હતો. તેના પિતાને આ સબંધની જાણ થતાં આયુષના ઘરે જઇ તેના વાલીઓને સમજાવવાનું કહ્યું હતું. વડીલોએ વચ્ચે રહી સમાધાન કરાવી આપ્યુ હતું.

ત્યારબાદ તેની સગાઇ થઇ હતી. જેની જાણ આયુષને થતાં ગીન્નાયો હતો. તે જ્યારે કોલેજે જતી ત્યારે આયુષ બાઇક લઇ તેનો પીછો કરતો. એટલું જ નહીં તેનો હાથ પકડી બાઇકમાં બેસી જવા માટે કહેતો હતો. એમ પણ કહેતો કે તું સગાઇ નહીં તોડી નાખ તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશ.

જે વખતે તેને પ્રેમસબંધ હતો ત્યારે આયુષ અવાર-નવાર તેની મરજી વિરુધ્ધ શારિરીક અડપલા કરતો હતો. એટલું જ નહીં તેના મોબાઇલ ફોનમાં બંનેના ફોટા પણ પાડી લીધા હતાં. જે ફોટા વાયરલ કરવાની અને તેની જ્યાં સગાઇ થઇ છે તે પરિવારને બતાવવાની ધમકી આપતો હતો. જે-તે વખતે તે ડરી જતાં પરિવારના સભ્યોને આ વાત કરી ન હતી. પરંતુ આયુષનો ત્રાસ વધી જતાં આખરે પરિવારને જાણ કરી હતી.

થોડા દિવસો પહેલી તેની જ્યાં સગાઇ થઇ છે તે પરિવારના તમામ સભ્યોના મોબાઇલ ફોન સ્વીચ ઓફ આવતા હતાં. જેથી તેના માતા-પિતા ત્યાં મળવા ગયા હતા. તે વખતે તેમણે જણાવ્યું કે અગાઉ તમારી પુત્રીને આયુષ નામના યુવક સાથે પ્રેમસબંધ હતો પરંતુ આ બાબત તમે અમને જણાવી નથી. બાદમાં સગાઇ તોડી નાખી હતી. આ સ્થિતિમાં આયુષે તેના ફોટા તેની જ્યાં સગાઇ થઇ તે પરિવારને મોકલી આપ્યાની શંકા ફરિયાદમાં દર્શાવાઇ છે. પ્ર.નગર પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૃ કરી છે.

rajkotfir

Google NewsGoogle News