ભાવનગર જિલ્લામાં તહેવારમાં હથિયાર લઈ ફરનાર શખ્સો સામે કાર્યવાહી કરાશે

Updated: Feb 6th, 2024


Google NewsGoogle News
ભાવનગર જિલ્લામાં તહેવારમાં હથિયાર લઈ ફરનાર શખ્સો સામે કાર્યવાહી કરાશે 1 - image


- તહેવારોના દિવસોમાં કાયદો-વ્યવસ્થા જાળવવા તંત્ર એલર્ટ 

- ખોડિયર જ્યંતિ, વિશ્વકર્મા જ્યંતિ સહિતના તહેવારમાં છરી, તલવાર સહિતના હથિયાર લઈને ફરવા પર પ્રતિબંધ 

ભાવનગર : ભાવનગર જિલ્લામાં ચાલુ ફેબૂ્રઆરી અને આગામી માર્ચ-૨૦૨૪નાં માસ દરમિયાન તહેવારનો પગલે તિક્ષ્ણ હથિયાર લઈ જાહેરમાં ફરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે અને આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. 

જિલ્લામાં આગામી તા. ૧૨ ફેબૂ્રઆરીએ તિલકુંદ ચતુર્થી, તા. ૧૪મીએ વસંત પંચમી, તા. ૧૭મીએ શ્રી ખોડિયાર જ્યંતિ, તા. ૨૨મીએ વિશ્વકર્મા જયંતિ, તા. ૨૯મીએ મોરારજી દેસાઇ જયંતિ તથા તા. ૦૩ માર્ચે કાલાષ્ટમી વગેરે તહેવારો ઉજવનારા છે. આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમિયાન સુલેહ-શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીનાં પગલાં લેવા અનિવાર્ય જણાતાં સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથિયારો જેવા કે છરી, કુંહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડનાં પાઈપ, ભાલા વગેરે જેવા પ્રાણઘાતક હથિયારો લઈને હરે ફરે નહિ તે માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવા પોલીસ અધિક્ષક, ભાવનગરનાં પત્રથી દરખાસ્ત રજુ થયેલ છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા આથી જાહેર શાંતિ અને સલામતી જાળવવા સારૂ ફરમાવેલ છે કે કોઈએ તા. ૦૫ માર્ચ-૨૦૨૪ સુધી કોઈ વ્યક્તિ કે વ્યક્તિનાં સમુહ દ્વારા જાહેરમાં તિક્ષ્ણ હથિયારો જેવા કે છરી, કુંહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડનાં પાઈપ, ભાલા તથા દંડા, બંદુક, લાઠી અથવા શારીરીક ઈજા પહોંચાડી શકાય તેવી બીજી કોઈ ચીજવસ્તુઓ કે હથિયારો જાહેરમાં લઈ જવા નહિ. 

કોઈ પણ જાહેર જગ્યામાં લોકોને શારીરીક નુકશાન કરે તેવા પદાર્થો તથા લાયસન્સ/પરમીટ વગર સ્ફોટક પદાર્થ લઈ જવા, લાવવા નહિ. પથ્થરો અથવા બીજા શો અથવા ફેંકી શકાય તેવા કોઈ સાધન સામગ્રી કે યંત્રો જાહેરમાં એકઠા કરવા/તૈયાર કરવા તેમજ સભા/સરઘસની મંજુરી આપનાર સક્ષમ અધિકારીની મંજુરી લીધા વગર સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલ લઈ જવી નહિ. વ્યક્તિ કે વ્યક્તિના જુથ દ્વારા કોઈ અન્ય વ્યક્તિ કે વ્યક્તિના સમુહના શબ અથવા આકૃતિઓ કે પુતળા જાહેરમાં દેખાડવા નહિ. આ હુકમ સરકારી નોકરી કે કામ કરતી કોઈ વ્યક્તિને જો ત્યાંના ઉપરી અધિકારીએ આવું કોઈપણ હથિયાર લઈ જવાનું ફરમાવ્યું હોય અથવા આવું કોઈપણ હથિયાર લઈ જવાની તેની ફરજ હોય, પોલીસ અધિક્ષક અથવા તેણે અધિકૃત કરેલ પોલીસ અધિકારી કે જેને શારીરીક અશક્તિને કારણે લાકડી અથવા લાઠી લઈ જવાની પરવાનગી આપી હોય તે વ્યક્તિને, જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ આ અર્થે ખાસ અધિકૃત કરે તેવી બીજી કોઈ વ્યક્તિને લાગુ પડશે નહિ. આ જાહેરનામું ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે. 


Google NewsGoogle News