પુત્રના વિયોગમાં પતિ - પત્નીનો ગળાફાંસો ખાઈ કારમો આપઘાત
- એકાદ માસ પહેલા 5 વર્ષના પુત્રનું ખુરશી પરથી પટકાતા મોત નિપજ્યું હતું
- મહુવાના નુતનગર વિસ્તારમાં બનેલા બનાવને લઈ અરેરાટી છવાઈ, એકલતાનો લાભ લઈ દંપતિએ અંતિમ પગલુ ભર્યું
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર મહુવા શહેરના નુતનનગર વિસ્તારમાં આવેલ શાળા નંબર ૧૨ની પાછળના ભાગે વાલ્મિકીનગરમાં રહેતા મુકેશભાઈ મનજીભાઈ મહિડા (ઉ.વ. ૩૫)નો પાંચ વર્ષીય પુત્ર એકાદ માસ પહેલા પોતાના ઘરે રમતો હતો તે વેળાએ અકસ્માતે ખુરશી પરથી પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું મૃત્યુ નિપજવા પામ્યુ હતુ. પુત્રના મૃત્યુ પર્યાત માતા અને પિતા પર વજ્રધાત પડયો હતો.
દરમિયાન ગઈકાલે શુક્રવારે સાંજના ૭.૦૦ કલાકના અરસા દરમિયાન પુત્રના વિરહ અને આઘાતમાં મુકેશભાઈ મનજીભાઈ મહિડા અને તેમના પત્ની છાયાબેન મુકેશભાઈ મહિડાને જીવતર દોહલુ લાગતા પોતાના ઘરે કોઈ ન હોય તે વેળાએ પંખાના હુક સાથે દોરડુ બાંધી બન્નેએ સજોડે ગળાફાંસો ખાઈ કારમો આપઘાત વ્હોરી લીધો હતો. દંપતિના મૃત્યુના પગલે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉમટી પડયા હતા. અને ભારે અરેરાટી સાથે આધાતની લાગણી છવાઈ જવા પામી હતી. જ્યારે બનાવની જાણ થતા મહુવા પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. અને મૃતક દંપતિનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ અર્થે મહુવા સરકારી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. ઉક્ત બનાવ અનુસંધાને કાળીબેન મનજીભાઈ મહિડા (ઉ.વ. ૫૫ રે. વાલ્મિકીવાસ, નુતનનગર, મહુવા)એ મહુવા પોલીસમાં જાણ કરતા પોલીસે અકસ્માત મોત સંદર્ભે કેસ કાગળ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.