ખેડામાં પ્રેમલગ્નના મામલે બે પરિવારો વચ્ચે મારામારી
ધમકી આપી, અપશબ્દો બોલતા મામલો ઉગ્ર બન્યો
પથ્થર અને ઘરવખરીના છૂટ્ટા ઘા કરાતા સાત વિરૂદ્ધ ફરિયાદ
નડિયાદ: ખેડા સરદાર માર્કેટ એક વાસમાં બે પરિવારો વચ્ચે નજીવી બાબતે ઝઘડો થયો હતો. આ અંગે બંને પક્ષોએ સામ-સામે ફરિયાદ નોંધાવતા ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ખેડાના એક વાસમાં રહેતા વિજયભાઈ રમણભાઈ વાઘેલા અને પરિવારજનો ઘરે બેઠા હતા. ત્યારે ફળિયામાં રહેતા દર્શનભાઈ કાંતિભાઈ વાઘેલા તથા ભારતીબેન ઉમેદભાઈ વાઘેલા અપશબ્દો બોલતા બોલતા આવીને કહેલું કે અમે આજે જોઈએ છીએ કે તમોને કોણ ફળિયામાં રહેવાની ના પાડે છે, ના પાડે તેનું મર્ડર કરી નાખજે કહી અપશબ્દો બોલતા બોલતા બીજા માળે તેમના મકાનમાં જતા રહ્યા હતા.
ત્યારબાદ ગેલેરીમાં ઊભા રહી અપશબ્દો બોલતા હોવાથી સંતોષભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતા અનિલભાઈએ ઉશ્કેરાઈ જઈ ગેલેરીમાંથી વોશ બેસીન નીચે નાખતા તેના ટુકડા ઉડીને મિતેશભાઇને વાગતા ઈજા થઈ હતી. જ્યારે દર્શનભાઈ, રેણુકાબેન તથા ભારતીબેન વાઘેલા પાણીનો જગ તથા છૂટા પથ્થરો મારવા લાગ્યા હતા.
જેથી ફળિયાના માણસોએ ઝઘડો શાંત કરાવ્યો હતો. આ અંગે વિજયભાઈ રમણભાઈ વાઘેલાની ફરિયાદ આધારે અનિલભાઈ કાંતિભાઈ વાઘેલા, દર્શન કાંતિભાઈ વાઘેલા, રેણુકાબેન અનિલભાઈ તથા ભારતીબેન ઉમેદભાઈ વાઘેલા સામે ગુનો નોંધ્યો હતો. જ્યારે સામા પક્ષે અનિલભાઈ કાંતિભાઈ વાઘેલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તા.૧૮ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ તેમનો મોટો દીકરો પંકજ ફળિયામાં રહેતા વિજયભાઈ વાઘેલાની દીકરી સાથે પ્રેમસંબંધ હોવાથી લઈ ભાગી ગયો હતો. તેની શોધખોળ કરેલી પરંતુ મળી આવેલો નહીં. ત્યારબાદ તા.૨ ઓક્ટોબરના રોજ પંકજ યુવતી સાથે ખેડા પોલીસ સ્ટેશન હાજર થયો હતો. ત્યાંથી દીકરો અને તેની પ્રેમિકા પત્નીને પરિવારજનો નડિયાદમાં ફોઈને ઘરે મુકી ગઈ બુધવારે બપોરે ખેડા ઘરે આવ્યા હતા. ત્યારે વિજયભાઈ રમણભાઈ વાઘેલા, દર્શન તથા વિપુલ વાઘેલા તથા અશોક વાઘેલા ફળિયામાં અનિલ વાઘેલાના ઘર આગળ આવી અપશબ્દો બોલી છૂટો પથ્થર મારો કરતા ચિરાગને ઈજા થઈ હતી. તેમજ ચારેય શખ્સોએ ગડદાપાટુ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે અનિલભાઈની ફરિયાદના આધારે ખેડા ટાઉન પોલીસે વિજયભાઇ રમણભાઈ વાઘેલા, દર્શન વાઘેલા, વિપુલ તેમજ અશોક છોટાભાઈ વાઘેલા સામે ગુનો નોંધ્યો હતો.