જૂનાગઢની આગની ઘટનામાં પુત્ર બાદ પિતાનું મોત, પત્ની ગંભીર
ખરાબ રસ્તાઓ પર ચાલતા-ચાલતા ડાઘુઓ થઈ ગયા ત્રસ્ત
ચાર દિવસ પહેલાં ગેસ લીક થયા બાદ સ્વિચ ચાલુ કરતા ફાટી નીકળેલી આગમાં એક જ પરિવારના ચાર લોકો બન્યા હતા ઈજાગ્રસ્ત
ગત તા.પ સપ્ટેમ્બરે કાનજીભાઈ માવજીભાઈ કટારીયાના ઘરમાં ઘેસ
લીકેજ થયો હતો. તેમાં સ્વિચ ચાલુ કરતા અચાનક ધડાકા સાથે આગ લાગી ગઈ હતી. જેમાં
કાનજીભાઈ, તેમનો
પુત્ર વિજયભાઈ, વિજયભાઈનો પુત્ર દત્ત અને વિજયભાઈના પત્ની મનિષાબેન ગંભીર
રીતે દાઝી ગયા હતા. જેમાં દત્તનું સારવાર
દરમ્યાન મૃત્યું થયું હતું જ્યારે વિજયભાઈ,
તેમના પિતા અને પત્ની સારવાર માટે રાજકોટ છે. સારવાર દરમ્યાન વિજયભાઈનું
મૃત્યું થતા આજે તેમની અંતિમ યાત્રા યોજાઈ હતી. જ્યારે વિજયભાઈના પત્ની મનિષાબેન
હજુ પણ જીવન-મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે.
મૃતક વિજયભાઈની અંતિમ યાત્રા યોજાઈ ત્યારે ગણેશનગર
વિસ્તારના લોકો અને તેમના સબંધીઓ જોડાયા હતા. ગણેશનગરના સ્થાનિકોએ રસ્તા મુદ્દે
રોષભેર જણાવ્યું હતું કે,
સ્મશાન યાત્રા દરમ્યાન લોકોને ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. અનેકવાર
રજુઆત કરવા છતાં ભૂગર્ભ ગટરના કારણે તોડેલા રસ્તાઓ રિપેરીંગ કરવામાં આવતા નથી.
ચેમ્બરના ઢાંકણાઓ રસ્તાથી ઉંચા છે. રસ્તામાં ચોતરફ કિચકાણ છે. આજે સ્મશાન યાત્રા
દરમ્યાન લોકોને હાલાકી ભોગવવાનો વારો આવતા મનપા પર લોકોએ ફીટકાર વરસાવ્યો હતો.
શહેરમાં આડેધડ ખોદવામાં આવેલા રસ્તાઓથી લોકો ત્રસ્ત બની ગયા છે. ગિરનાર દરવાજા
નજીક આવેલા ગણેશનગર વિસ્તારમાં બે-અઢી મહિના પહેલા રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા
હતા. ત્યારબાદ કોઈ જાતનું ધ્યાન દેવામાં ન આવ્યું જેના લીધે ચાલી શકાય તેવી પણ
સ્થિતિ રહી નથી.
બોક્સ....
આગ વખતે ૧૦૮ પણ ખરાબ રસ્તાને લીધે ઘર સુધી પહોંચી શકી નહોતી
જ્યારે આગની ઘટના બની ત્યારે ૧૦૮ પણ ઘર સુધી ખરાબ રસ્તાઓના
કારણે પહોંચી શકી ન હતી. અગાઉ પણ એક વ્યક્તિને સારવાર માટે ૧૦૮ની જરૃર પડતા બોલાવી
હતી. ૧૦૮ પણ ખુંચી જતા સ્થાનિકોએ બે કલાક સુધી ધક્કા મારી બહાર કાઢવી પડી હતી.
તેવા સમયે સારવારની રાહ જોઈ રહેલા વ્યક્તિને અન્ય વાહનમાં હોસ્પિટલે પહોંચાડવા
પડયા હતા. હાલમાં શાળાના વાહનો,
શાકભાજીના ધંધાર્થીઓ,
દૂધવાળા કે અન્ય કોઈ વ્યક્તિઓ ગણેશનગરમાં ખરાબ રસ્તાઓને લીધે આવતા નથી. આવી
બદતર હાલત હોવા છતાં મનપાના પેટનું પાણી હલતું નથી.