ખંભાળિયાના આલ્કોહોલ યુક્ત આયુર્વેદિક સીરપ પ્રકરણમાં આઠ શખ્સોની અટકાયત

Updated: Jul 3rd, 2024


Google NewsGoogle News
ખંભાળિયાના આલ્કોહોલ યુક્ત આયુર્વેદિક સીરપ પ્રકરણમાં આઠ શખ્સોની અટકાયત 1 - image


પોલીસ દ્વારા રિમાન્ડ માટે તજવીજ

ખંભાળિયા, ભાવનગર, રાજકોટ, વડોદરા, મુંબઇ અને વાપીથી દબોચી લઇ સીરપની વધુ ૯૦ બોટલ કબજે કરી

જામખંભાળીયા: ખંભાળિયામાંથી થોડા દિવસો પૂર્વે ઝડપાયેલો નુકસાનકર્તા એવી આયુર્વેદિક સીરપની બોટલો સંદર્ભેના પ્રકરણમાં જિલ્લા પોલીસે કડક હાથે કાર્યવાહી કરીને ખંભાળિયા, ભાવનગર, રાજકોટ, વડોદરા, મુંબઈ અને વાપીના કુલ આઠ શખ્સોની અટકાયત કરી, રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

ખંભાળિયામાં રહેતા પ્રકાશ કિશોરભાઈ આચાર્ય નામના શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે વડોદરાની કંપનીની ચોક્કસ નામની આયુર્વેદિક સીરપનો જથ્થો કબજે કર્યો હતો. જે સંદર્ભે પોલીસે ઉપરોક્ત મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે કબજે લઈ અને આ બોટલના પૃથક્કરણ અર્થે મોકલવામાં આવી હતી.

આ વચ્ચે ઉલ્લેખનીય છે કે ખંભાળિયા સહિત જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી સ્થાનિક પોલીસ તેમજ એલસીબી પોલીસે થોડા સમય પૂર્વે લાખો રૂપિયાની કિંમતની સ્વાસ્થ્યને નુકસાનકર્તા એવી આલ્કોહોલ યુક્ત આયુર્વેદિક સીરપના કાળા કારોબાર પરથી પડદો ઊંચકાવીને આ પ્રકારના પીણાની ફેક્ટરીના મૂળ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. જે અંતર્ગત આગળની કાર્યવાહીમાં સીરપની બોટલમાં આઇસોપ્રોપાઈલ તથા ઇથેનોલ આલ્કોહોલની ટકાવારી કાયદાકીય રીતે નિયત કરતા વધુ પ્રમાણમાં હોવાનું જાહેર થયું હતું. જે સંદર્ભે ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં તપાસનીસ અધિકારી પી.આઈ. તુષાર પટેલ દ્વારા મુખ્ય આરોપી પ્રકાશ કિશોરભાઈ આચાર્ય સાથે ખંભાળિયાના રહીશ ગઢવી સામત ખીમા જામ, ભાવનગરના રહીશ લગધીરસિંહ ઊર્ફે લખધીરસિંહ કાળુભા જાડેજા, રાજકોટના મેહુલ અરવિંદભાઈ જસાણી અને ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ નટવરલાલ ડોડિયા, વડોદરાના નીતિન અજીતભાઈ કોટવાણી, મુંબઈના તૌફીક હાસીમ મુકાદમ અને વાપીના આમોદ અનિલભાઈ ભાવે નામના કુલ આઠ શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં પોલીસે ચોક્કસ કંપનીની સીરપની ૯૦ બોટલ કબજે લીધી છે.

રાજ્યમાં નશાબંધીની બદીમાં વૃદ્ધિ કરનાર સેલવાસ ખાતેની એમ.એ.બી. તથા હર્બોગ્લોબલ કંપનીના માલિકો તથા તેમના મળતીયાઓ તેમજ વડોદરાની કંપનીના માલિકો વિગેરે દ્વારા સમાજમાં વ્હાઈટ કોલર બુટલેગરો તરીકેની ભૂમિકા જણાઈ આવી હતી. તેઓ વિરુદ્ધ અગાઉ પણ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં આ પ્રકારના આયુર્વેદિક દવાની આડમાં નશાયુક્ત પીણા અંગેના વિવિધ ગુનાઓ નોંધાયા હોવાનું પણ જાહેર થયું છે.  દ્વારકા પોલીસે આરોપીઓની અટકાયત કરી, વિવિધ દિશાઓમાં તપાસ જારી રાખી છે. આ પ્રકરણ સંદર્ભે પોલીસે આરોપીઓના રિમાન્ડ અંગેની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News