Get The App

દિવાળી ટાણે સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, ગાજવીજ સાથે 7 ઈંચ વરસાદ ખાબકતાં ખેડૂતોને નુકસાન

Updated: Oct 21st, 2024


Google NewsGoogle News
દિવાળી ટાણે સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, ગાજવીજ સાથે 7 ઈંચ વરસાદ ખાબકતાં ખેડૂતોને નુકસાન 1 - image


Saurashtra Rain updates |  સૌરાષ્ટ્રમાં દિવાળીને હવે માત્ર ૧૦ દિવસ બાકી છે છતાં મેઘાવી માહોલ વિખેરાતો નથી. છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં પ્રચંડ ગાજવીજ સાથે સાત ઇંચ સુધીનો વરસાદ વરસી ગયો હતો. જેમાં કાલાવડ, ગોંડલ અને લોધિકા પંથકમાં ૫ થી ૭ ઇંચ વરસાદે ખેતીપાકનો સોંથ વાળી દીધો હતો. ગિરનાર, મેંદરડા, માળિયા હાટિનામાં પણ ચાર ઇંચ વરસાદે જળ બંબાકાર સર્જી દીધો હતો. રાજકોટ શહેરમાં બપોરે કરાં જેવા મોટા છાંટા સાથે વરસેલા ત્રણ ઇંચ વરસાદથી માર્ગો પાણીમાં ગરકાવ થઇ ગયા હતાં.

રાજકોટ શહેર-જિલ્લાને આજે ગાજવીજ સાથેના વરસાદે જળબંબોળ કરી દીધા હતા. સૌથી વધુ લોધિકા અને સુલતાનપુરમાં ધુંઆધાર પાંચ ઇંચ વરસાદથી જળબંબાકાર થઇ ગયો હતો. રાજકોટ શહેરમાં પણ બપોરે બે વાગ્યે ધોધમાર વરસાદ ચાલુ થયો હતો અને બે કલાકમાં ત્રણ ઇંચ વરસી જતાં માર્ગો જળબંબોળ થઇ ગયા હતા. આજે કોટડા સાંગાણીમાં બપોરે ત્રણ વાગ્યાથી એક કલાકમાં મુશળધાર બે ઇંચ વરસાદ તુટી પડયો હતો. જેથી ગોંડલ નદી અને વાછપરી નદીમાં પૂર આવ્યું હતું. ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે આજે સાંજે ૪ થી ૫-૩૦ વાગ્યાની વચ્ચે આભ ફાટયું હોય એમ દોઢ કલાકમાં જ સુપડાધારે પાંચ ઇંચ વરસાદ વરસી જતા ગ્રામજનો ફફડી ગયા હતા. ભારે વરસાદથી ૧૦૦૦ એકરમાં વાવેલી મગફળીનાં કાઢેલા પાથરા તણાઇ ગયા હતા. ધોરાજી અને જસદણમાં એક ઇંચ, મોટી મારડમાં અઢી ઇંચ, જેતપુર, ઉપલેટા, જામકંડોરણા, પડધરીમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.

જૂનાગઢ જિલ્લામાં આજે ૪ ઇંચ સુધીનું માવઠું વરસ્યું હતું. ગિરનાર પર્વત ઉપરાંત માળિયા હાટીના, મેંદરડા અને વિસાવદરના મોટી મોણપરી ગામે સાંબેલાધારે ચાર ઇંચ વરસાદથી સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઇ હતી. ગિરનાર પરથી પાણીનો ધોધ વહી નીકળ્યો હતો. આજે જૂનાગઢમાં અઢી અને વંથલીમાં દોઢ, કેશોદ અને વિસાવદરમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. માણાવદરમાં અડધો ઇંચ, પણ ગ્રામ્યમાં ૩ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. એ જ રીતે આજે ગીર સોમનાથ જિલ્લામાં કોડીનારના ડોળાસામાં બે ઇંચ તથા તાલાલા અને ઉનામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.

અમરેલી જિલ્લામાં આજે પણ ધોધમાર વરસાદ વરસી પડયો હતો. સૌથી વધુ વડિયામાં સાંબેલાધારે ત્રણ ઇંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો. એ જ રીતે ખાંભા અને સાવરકુંડલામાં દોઢ ઇંચ તથા લીલીયા અને અમરેલીમાં ધોધમાર એક ઇંચ વરસાદે સર્વત્ર પાણી-પાણી કરી નાખ્યું હતું. આ ઉપરાંત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ ૩ થી ૪ ઇંચ જેવા વરસાદથી નદીઓમાં પૂર આવ્યા હતા અને જળાશયો છલકાયા હતા. ગાજવીજ સાથેના તોફાની વરસાદથી મગફળી, કપાસ, સોયાબીન સહિતનાં ખેતીપાકને નુકશાન થયું છે.

જામનગર જિલ્લામાં આજે વાદળ-છાંયા વાતાવરણ વચ્ચે કાલાવડમાં ધોધમાર બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે  કાલાવડ તાલુકાના મોટા ભાડુકીયા ગામમાં આજે સાંજે અચાનક પડેલા ધોધમાર વરસાદે ગામના ખેડૂતોને ભારે મુશ્કેલીમાં મુકી દીધા છે. સરપંચ જીગ્નેશભાઈ કમાણીના જણાવ્યા અનુસાર, આજે સાંજે ચાર વાગ્યાથી લઈને છ વાગ્યા સુધીમાં ગામમાં લગભગ ૭ ઇંચ જેટલો વરસાદ પડયો હતો. ધોધમાર વરસાદને કારણે નદી બે કાંઠે વહી નિકળી  હતી. અને રસ્તાઓ, સેલા અને વોંકળાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ખાસ કરીને, મગફળીની મોસમ ચાલી રહી હોવાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ઘણા ખેડૂતોની મગફળીના પાથરા ધોવાઈ ગયા છે અને તણાઈ ગયા હતા. ગામના રસ્તાઓ બંધ થઈ જવાથી વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. આ સાથે આજે ધ્રોલમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી અવિરત રીતે જુદા જુદા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે કલ્યાણપુર તાલુકામાં સવા બે ઈંચ અને ખંભાળિયા તાલુકામાં દોઢ ઈંચથી વધુ વરસાદ વરસી જવા પામ્યો છે.  કલ્યાણપુર પંથકમાં આજે બપોરે ૧૨ થી ૨ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન સવા બે ઈંચ (૫૫ મી.મી.) વરસાદ વરસી જતા ઠેર ઠેર પૂર જેવા પાણી જોવા મળ્યા હતા. જેમાં કલ્યાણપુર, પટેલકા, પાનેલી વિગેરે ગામોમાં ખેતરો પાણીથી તરબતર બન્યા હતા. જેના કારણે ખેતરમાં રહેલા પાક પાણીમાં તરતા જોવા મળ્યા હતા. ખંભાળિયા પંથકમાં પણ આજે દિવસ દરમિયાન અવિરત રીતે વરસાદી માહોલ વચ્ચે દોઢ ઈંચ (૪૦ મી.મી.) પાણી પડી ગયું હતું. જેમાં દ્વારકા પટ્ટીના ગામોમાં ભારે વરસાદ વરસ્યો હતો. તાલુકાના વડત્રા ગામે કેટલાક ખેતરો જાણે નદી બની ગયા હતા.

મોરબી જિલ્લામાં સાંજે ૬ વાગ્યા સુધીમાં ટંકારામાં અડધો ઇંચ અને વાંકાનેરમાં બે ઇંચ વરસાદ જયારે મોરબીમાં સાડાત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. શહેરના સાવસર પ્લોટ, શનાળા રોડ, નગર દરવાજા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાઈ ગયા હતા. જ્યારે વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારોમાં દોઢથી બે ઇંચ વરસાદ પડયો હતો.

પોરબંદરના રાણાવાવ તથા આજુબાજુના વિસ્તારમાં રવિવારે સાંજે એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો તો પોરબંદર તથા કુતિયાણામાં ઝાપટા વરસ્યા છે. રવિવારે સાંજે રાણાવાવ તથા આજુબાજુના બિલેશ્વર સુધીના ડુંગરાળ વિસ્તારમાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. પાંચ થી છ વાગ્યા દરમિયાન આ વરસાદ એકીધારો વરસ્યો હતો. જેના કારણે રાણાવાવ સહિત આજુબાજુના વિસ્તારમાં ફરી પાણી ભરાઈ ગયા હતા. નજીકના બિલેશ્વર તથા સહિતના બરડા ડુંગર વિસ્તારમાં પણ ઠેર ઠેર હળવા ભારે ઝાપટાઓ પડયા હતા. ફોદાળા અને ખંભાળા ડેમ ઉપર પણ વરસાદ વરસ્યો છે. એ જ રીતે પોરબંદર શહેર અને તેના આજુબાજુના અમુક વિસ્તારોમાં રવિવારે સાંજે વરસાદ વરસી રહ્યો છે. રાણા કંડોરણા કુતિયાણા સહિતના આજુબાજુના વિસ્તારમાં પણ હળવા ભારે ઝાપટા વરસ્યા છે.રાણાવાવમાં ચારથી પાંચ વાગ્યા દરમ્યાન ૨૩ મિલી મીટર જ્યારે કુતિયાણામાં આઠ મીલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે.

વાછોડા ગામે વીજળી પડતા પરપ્રાંતિય મજૂરનું મોત

પોરબંદરના બગવદર નજીક આવેલા વાછોડા ગામે ખેત મજૂરી કરવા આવેલી યુવાનનું વીજળી પડતા મોત નિપજ્યું હતું. મધ્ય પ્રદેશનો સુરેશ કુંવરસિંહ બામણીયા નામનો ૨૫ વર્ષનો યુવાન હાલ વાછોડા ગામે આતીયાભાઇ વિશાણાની વાડીએ રહેતો હતો અને ખેત મજુરી કરવા આવ્યો હતો. ગઇકાલે સાંજે વાડીના ઝુપડા બહારે ઉભો હતો અને વરસાદ ચાલુ હતો એ દરમિયાન અચાનક તેની આજુબાજુમાં બે વખત વીજળી પડતા સુરેશ વીજળીના સંપર્કમાં આવ્યો હતો અને તેનું મોત થયું હતું.

rajkotrain

Google NewsGoogle News