ક.પરામાં હુમલામાં ઘવાયેલ યુવકનું મૃત્યુ : બનાવ હત્યામાં પરિણમ્યો

Updated: Mar 21st, 2024


Google NewsGoogle News
ક.પરામાં હુમલામાં ઘવાયેલ યુવકનું મૃત્યુ : બનાવ હત્યામાં પરિણમ્યો 1 - image


- લગ્નમાં ડીજે વગાડવા મામલે થયેલી બોલાચાલીની દાઝ રાખી થયો હતો હુમલો

- યુવકે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા : બે શખ્સને પોલીસે ઝડપી લીધા

ભાવનગર : ભાવનગર શહેરના કરચલીયાપરા વિસ્તારમાં ડી.જે. વગાડવા બાબતે થયેલી બોલાચાલીની દાઝ રાખી ત્રણ શખ્સે યુવક ઉપર છરી અને લોખંડના પાઇપ વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં યુવકનું સારવાર દરમિયાન મોત નીપજતા મારમારીનો બનાવ હત્યામાં પરિણમ્યો હતો. મૃતકને બે નાના બાળકો છે.  

આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ ગત ૧૪મીના રોજ ભાવનગરના કરચલીયાપરા, વાઘેલા ફળી, શારદા સોડાવાળા ખાંચામાં રહેતા કિશનભાઇ ઉર્ફે ગેરી અનંતભાઈ ચૌહાણને રાત્રે તેમના કુટુંબી સાગરભાઇ ચૌહાણના ઘરે લગ્ન પ્રસંગમાં ડી.જે. વગાડવા બાબતે આલોક નામના શખ્સ સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો.આ બનાવ બાદ આલોક, દિનેશ ડાભી અને રોહિત કિશનભાઇના ઘર પાસે આવીને ગાળો બોલતા હોય, કિશનભાઇના ભાઈ વિશાલભાઈએ ઘરેથી બહાર જઈને ગાળો બોલવાની ના કહેતા ઉશ્કેરાઈ ગયેલા આલોકે તેની પાસે રહેલી છરીનો એક ઘા વિશાલભાઈના પડખામાં ઝીંકી દીધો હતો, જ્યારે રોહિતે લોખંડના પાઈપનો એક ઘા માથાના ભાગે ઝીંકી ત્રણેય શખ્સ ફરાર થઈ ગયા હતા. આ બનાવમાં ઇજાગ્રસ્ત વિશાલભાઈને સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે કિશનભાઇ અનંતભાઈ ચૌહાણે આલોક, દિનેશ ડાભી અને રોહિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ગંગાજળિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.  દરમિયાનમાં, હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વિશાલ અનંતરાય ચૌહાણનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આમ, મારામારીનો બનાવ હત્યામાં પરિણમ્યો હતો. જોકે, પોલીસે ત્રણ હુમલાખોરો પૈકી રોહિત અને આલોકની ધરપકડ કરી લીધી છે. 


Google NewsGoogle News