મહુવામાં સ્માર્ટ મીટર લાગશે તો કોંગ્રેસ આક્રમક વિરોધ કરશે

Updated: Jun 16th, 2024


Google NewsGoogle News
મહુવામાં સ્માર્ટ મીટર લાગશે તો કોંગ્રેસ આક્રમક વિરોધ કરશે 1 - image


- સ્માર્ટ મીટર, ખેડૂતોને વીજળી સહિતના પ્રશ્ને પીજીવીસીએલને રજૂઆત

- હનુમંત ફીડરમાંથી રહેણાંકી અને જીઆઈડીસી વિસ્તાર અલગ કરવા, મુખ્ય રોડ પર અડચણરૂપ વીજપોલ હટાવવા રજૂઆત

મહુવા : મહુવામાં સ્માર્ટ મીટર, ખેડૂતોને ચોમાસામાં વીજળી, મુખ્ય માર્ગો પર અડચણરૂપ વીજપોલ સ્થળાંતરિત કરવા સહિતના મુદ્દે મહુવા યુથ કોંગ્રેસના પ્રમુખ દ્વારા મહુવા પીજીવીસીએલના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરવામાં આવી છે, સાથે જ તેમણે રજૂઆતમાં જણાવ્યું છે કે, મહુવાના લોકો આવા કોઈ સ્માર્ટ મીટર ઈચ્છતા નથી અને જો બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તો જનતાવતી કોંગ્રેસ પક્ષ પીજીવીસીએલ સામે આક્રમક આંદોલન કરશે.

પીજીવીસીએલ દ્વારા રાજ્યમાં ઘણાં સ્થળોએ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યાં છે ત્યારે મહુવામાં સ્માર્ટ મીટર સહિત ખેડૂતોને ચોમાસામાં પુરતી વીજળી મળે, હનુમંત ફીડરમાંથી રહેણાંકી અને જીઆઈડીસી વિસ્તાર અલગ કરવામાં આવે તથા મુખ્ય રોડ પર અડચણરૂપ વીજપોલ હટાવવા અંગેની રજૂઆતમાં મહુવા યુથ કોંગ્રેસના પ્રમુખ વિજય બારૈયા દ્વારા કરવામાં આવી છે જેમાં તેેમણે જણાવ્યું કે, મહુવાના લોકો આવા કોઈ સ્માર્ટ મીટરને ઈચ્છતા નથી. જો બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તો જનતાવતી કોંગ્રેસ પક્ષ પીજીવીસીએલ સામે આક્રમક આંદોલન કરશે. ઉપરાંત ગામડામાં ખેડૂતો મોટે ભાગે વાડી વિસ્તારમાં રહે છે અને ચોમાસામાં વરસાદમાં વીજ પુરવઠો ખોરવાઈ જાય છે અને સાત-આઠ કલાક સુધી લાઈટ આવતી નથી જેના કારણે ખેડૂતોની સાથે મૂંગા પશુઓ પણ હેરાન થાય છે. આ અંગે અનેકવાર જાણ કરવા છતાં વીજતંત્ર દ્વારા કોઈ હેલ્પર કે મદદ મળતી નથી આથી, ચોમાસામાં ખેડૂતોને શક્ય એટલો સહકાર આપવામાં આવે. આ સિવાય મહુવામાં આવેલા હનુમંત ફીડરમાં મહુવા જીઆઈડીસી અને સોસાયટી વિસ્તારમાં પાવર આપવામાં આવે છે. જેમાં સોસાયટી વિસ્તારમાં ઘણી હોસ્પિટલો પણ આવે છે. રહેણાંકી વિસ્તારમાં અચાનક પાવર કટ થવાથી લોકો હેરાન થાય છે તેથી હનુમંત ફીડરમાંથી સોસાયટી વિસ્તાર અને જીઆઈડીસી વિસ્તારને અલગ કરવામાં આવે તથા મહુવા એસટી ડેપોથી હાઈવે સુધીના માર્ગ પર સાઈડમાં આવેલા અડચણરૂપ વીજપોલ છે તેનું વહેલીતકે સ્થળાંતર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

સર્વે ચાલે છે હજુ ક્યાંય સ્માર્ટ મીટર લાગ્યા નથી

આ મુદ્દે કાર્યપાલક ઈજનેર, મહુવા પીજીવીસીએલ એચ.પી.દુધાત્રાએ જણાવ્યું કે, આજે રજૂઆત આવી છે સ્માર્ટ મીટર પ્રોજેક્ટ સર્વેના તબક્કામાં છે હજુ ક્યાંય સ્માર્ટ મીટર લાગ્યા નથી. તેમજ ખેડૂતોને વીજળી મળે છે પરંતુ વરસાદના લીધે ચોમાસામાં વીજ પુરવઠામાં વિક્ષેપ થાય છે. ઉપરાંત હનુમંત ફીડરની બાયફર્ગેશનની પ્રપોઝલ તૈયાર કરી લીધી છે. આ ફીડરમાં રેલવે ક્રોસિંગ આવે છે રેલવે ક્રોસિંગની મંજુરી મળ્યા બાદ હનુમંત ફીડરમાંથી રહેણાંક અને જીઆઈડીસી કનેક્શન અલગ થઈ જશે. તેમજ મુખ્ય રોડ પર અડચણરૂપ વીજપોલ સ્થળાંતર બાબતે તેમને સાથે રાખીને સર્વે કર્યો છે.


Google NewsGoogle News