રાજુલા તાલુકાના 72 ગામોના નાગરિકો આધારકાર્ડથી વંચિત

Updated: Apr 20th, 2024


Google NewsGoogle News
રાજુલા તાલુકાના 72 ગામોના નાગરિકો આધારકાર્ડથી વંચિત 1 - image


- 4 મહિનાથી આધાર કાર્ડની કચેરી બંધ હોય અરજદારો પરેશાન 

- એસ.બી.આઈ.માં નવા કાર્ડ નિકળતા નથી, માત્ર સુધારા વધારા થતા હોય લોકોમાં રોષ

રાજુલા : રાજુલા તાલુકાના ૭૨ ગામના લોકો માટે આધારકાર્ડ કાઢવાની કામગીરીનો વહિવટ મામલતદાર કચેરી દ્વારા કરવામાં આવતો હતો પરંતુ છેલ્લા ચાર મહિનાથી આધાર કાર્ડની કચેરી સંપૂર્ણ બંધ છે આ અંગે તપાસ કરતા એવું જાણવા મળ્યું હતુ કે, જે ઓપરેટર આધાર કાર્ડની કામગીરી કરતા હતા તેઓની ક્ષતિ રહી જવાથી અથવા આધારકાર્ડમાં ભૂલ કે જન્મતારીખમાં ભૂલ આવતા આ ઓપરેટરોને ચાર મહિનાથી છૂટા કરી દંડ ફટકારાયો છે. 

આ અંગે મામલતદારએ જણાવ્યું હતુ કે, આધાર કાર્ડમાં હવે ટ્રેનિંગ લીધેલા કર્મચારીઓને જ લેવામાં આવશે. બીજી તરફ ટ્રેનીંગ લીધેલા કર્મચારીઓ મળતા નથી પરંતુ ૧૫ થી ૨૦ દિવસમાં અહીંથી ટ્રેનિંગ લેવા ગયેલા છે તેઓની તાલીમ પૂર્ણ થાય કે તરત જ આધાર કાર્ડની કાર્યવાહી શરૂ કરાશે. બીજી તરફ પ્રાઇવેટમાં આધાર કાર્ડ કાઢવાની મંજૂરી એસ.બી.આઈ.બેન્કમાં આપેલી છે પરંતુ ત્યાં માત્ર નવું કાર્ડ નીકળતું નથી, સુધારા-વધારા થઈ શકે છે તેથી સ્થાનિકો કાર્ડ સુધારવા માટે દરરોજ રાજુલા કચેરીએ ધરમધક્કા ખાય છે પરંતુ આધાર કાર્ડની કામગીરી બંધ હોવાથી અહી ખાતા ખોલવા હોય તો પણ બેંકમાં આ વિસ્તારના આધાર કાર્ડનો આગ્રહ બેંકો રાખે છે. જેથી અહીં નોકરીએ આવતા કર્મચારીઓના પણ ખાતા ખુલતા નથી કેમ કે, બહારથી આવેલા કર્મચારીઓ પાસે અહીં લાઈટનું બિલ કે સ્થાનિક કુપન કે અહીંનો એડ્રેસ પુરાવો માંગે જે હોતો નથી ત્યારે જે તે કંપનીમાં કામ કરતા હોય છે તેનો આધાર માન્ય રખાતો નથી જેથી અહીં ખાતા બેંકમાં ન ખુલતા પરપ્રાંતના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. સુધારા-વધારા માટેના આધાર કાર્ડમાં પણ સરપંચના રહેણાંકનો દાખલો મંગાવાય છે ત્યારે પોલીસનો દાખલો લેતા આવો તેમ કહી સરપંચ દાખલા આપતા નથી. જયારે બીજી તરફ ચૂંટણી હોવાથી અધિકારીઓ કામગીરીમાં વ્યસ્ત હોય છે ત્યારે આ કામગીરી સાકાર કરવા માટે કલેક્ટર અને મામલતદાર દ્વારા આ અંગે યોગ્ય કરે તેવી લોકમાંગ ઉઠવા પામેલ છે.


Google NewsGoogle News