2023 ના વર્ષના અંતિમ તહેવાર નાતાલની આજે ઉજવણી કરાશે

Updated: Dec 25th, 2023


Google NewsGoogle News
2023 ના વર્ષના અંતિમ તહેવાર નાતાલની આજે ઉજવણી કરાશે 1 - image


- ચર્ચમાં માસ પ્રેયર સહિતના કાર્યક્રમોનું આયોજન

- શહેરની મુખ્ય બજારોમાં ગીફટ સહિત ક્રિસમસ સંબંધિત અઢળક એસેસરીઝની ખ્રિસ્તી પરિવારો દ્વારા ધૂમ ખરીદી કરાઈ 

ભાવનગર : ગોહિલવાડમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આવતીકાલ તા.૨૫ ડિસેમ્બરને સોમવારે પ્રેમ, દયા, ક્ષમા અને શાંતિના દૂત ખ્રીસ્તી ધર્મના આદ્ય સ્થાપક ભગવાન ઈસુના જન્મ દિવસ નાતાલના તહેવારની પરંપરાગત રીતે હર્ષોલ્લાસપુર્ણ ઉજવણી કરાશે. આ અવસરે ભાવનગર શહેર અને જિલ્લાભરના ચર્ચમાં માસ પ્રેયર અને ગેટ ટુ ગેધર સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયેલ  છે. આ નિમીત્તે ખ્રિસ્તી સમુદાયની વસાહતો, સીએનઆઈ ચર્ચમાં ચિત્તાકર્ષક સુશોભન અને રોશની કરાઈ છે. 

ભાવનગર શહેર અને જિલ્લાભરમાં આવતીકાલે તા.૨૫-૧૨ને સોમવારે ક્ષમાના મહાપર્વ નાતાલની મેરી ક્રિસમસ ૫ર ક્રિસમસ ટ્રી, પ્રેયર કેન્ડલ, સિતારોની રોશની સ્ટાર ઘંટારવનો નાદ અને કલાત્મક સજાવટ ગીત સંગીત સાથે હર્ષોલ્લાસભેર ઉજવણી કરાશે. સ્થાનિક ખ્રિસ્તી સમુદાય દ્વારા રવિવારે રાત્રીના ૧૨ ના ટકોરે ભગવાન ઈશુ ખ્રિસ્તના પ્રાગટયોત્સવના હરખભેર વધામણા કરાયા હતા.અને સોમવારથી નાતાલ પર્વની આગામી એક સપ્તાહ સુધી અલગ અલગ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરાશે.નાતાલના પર્વે સી.એન.આઈ.ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભા યોજાશે. જેમાં  ખ્રિસ્તી સમુદાય એકત્ર થશે જયાં ખાસ પ્રાર્થના બાદ સૌ કોઈ પરસ્પર નાતાલની શુભેચ્છા તેમજ ભેટ-સોગાદની આપ-લે કરાશે અને ત્યાંથી ફાધરના મેસેજ અને નાતાલના સોંગ્સનું ફેસબુક, ઈન્સ્ટાગ્રામ સહિતના સોશ્યલ મિડીયામાં જીવંત પ્રસારણ કરી ધાર્મિક અને સામાજિક પરંપરા નિભાવાશે. એટલુ જ નહી ક્રિસમસની ઉજવણી અને વધામણી માટેના અનોખા અને કર્ણપ્રિય કેરોલ સોંગ્સનું ઘેર ઘેર ભાવભેર ગાન થશે. નાતાલના તહેવારને લઈને ગોહિલવાડની સ્થાનિક અંગ્રેજી માધ્યમની શાળાઓમાં મીની વેકેશનનો પ્રારંભ થયેલ છે. આ મીની વેકેશનને લઈને અનેક પરિવારજનો પ્રાકૃતિક અને પર્યટન સ્થળોએ જવાના આયોજનો ઘડી રહ્યા છે. ક્રિસમસનો તહેવાર નજીક આવતા ભાવનગર શહેરના વાઘાવાડી રોડ, પીરછલ્લા શેરી, એમ.જી.રોડ, વોરાબજાર તેમજ વાઘાવાડી રોડ પર, વિવિધ બ્રાન્ડેડ કંપનીઓના શોરૂમ તેમજ મોલમાંથી ગીફટ સહિત શાંતા કેપ, પ્રાર્થના મીણબત્તી, સિતારોની રોશની સ્ટાર, ઘંટ, ગોગલ્સ તેમજ ટ્રી સહિતની ક્રિસમસ સંબંધિત અઢળક એસેસરીઝનું ખ્રિસ્તી પરિવારો દ્વારા ધૂમ ખરીદી થઈ હતી.


Google NewsGoogle News