For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચૂંટણીના અંતિમ દિવસે સોશિયલ મીડિયા પર પ્રચારનો ધમધમાટ

Updated: May 7th, 2024

ચૂંટણીના અંતિમ દિવસે સોશિયલ મીડિયા પર પ્રચારનો ધમધમાટ

- આચારસંહિતાનો ભંગ ના થાય તે રીતે પ્રચાર કામગીરી શરૂ 

- સોશીયલ મીડિયામાં આક્ષેપોનો મારો ચાલ્યો : રાજકીય, સામાજીક, જ્ઞાતીના આગેવાનો સાથે બંધ બારણે બેઠકો ગોઠવાઈ 

ભાવનગર : ભાવનગર લોકસભા બેઠક માટે આવતીકાલે મંગળવારે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં આચારસંહિતાના પગલે ગત રવિવારે સાંજે પ્રચાર પડઘમ શાંત થઈ ગયો હતો. જોરશોરથી પ્રચાર પર પ્રતિબંધ હોવાથી આજે સોમવારે ચૂંટણીના અંતિમ દિવસે સોશીયલ મીડિયા પર પ્રચારનો ધમધમાટ શરૂ રહ્યો હતો. આચારસંહિતાનો ભંગ ના થાય તે રીતે પ્રચાર કામગીરી શરૂ રહી હોવાનુ ચર્ચાય રહ્યુ છે. 

લોકસભાની સામાન્ય ચૂંટણી આગામી તા. ૭ મેને મંગળવારે યોજાનાર છે. ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણી માટે ગઈકાલ રવિવાર સુધી રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા હતાં. આચારસંહિતાનો અમલ શરૂ થતા જ પ્રચાર પડઘમ શાંત થઈ ગયા હતાં. ચૂંટણીના ૪૮ કલાક અગાઉ આચારસંહિતાના પગલે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી શકતા નથી. જાહેરસભા કરી શકતા નથી, માઈક પર પ્રચાર કરી શકતા નથી. આજે સોમવારે આચારસંહિતાનો ભંગ ના થાય તે રીતે કેટલાક ઉમેદવારો અને રાજકીય પક્ષોએ શાંતીથી પ્રચાર કાર્ય શરૂ રાખ્ય હોવાનુ ચર્ચાય રહ્યુ છે. સોશીયલ મીડિયા પર આજે ખુબ જ પ્રચાર જોવા મળ્યો હતો. કાર્યકરોએ ઉમેદવાર અને રાજકીય પાર્ટીના ચિહ્ન મુકી મત આપવા પોસ્ટ મુકી હતી. આ ઉપરાંત કેટલાક સુત્રો મુકવામાં આવ્યા હતા, કેટલીક પોસ્ટમાં યોજનાઓની વાતો તો કેટલીક પોસ્ટમાં ટીકાઓ પણ કરવામાં આવી હતી. મોંઘવારી, બેકારી, વિકાસ, ખેડૂતના પ્રશ્નો વગેરે મુદ્દે સોશીયલ મીડિયામાં પ્રચાર અને ટીકા થઈ હોવાનુ જાણવા મળેલ છે. 

ચૂંટણીના એક દિવસ પૂર્વે રાજકીય પક્ષો અને ઉમેદવારો ઘણી ગોઠવણ કરતા હોય છે તેથી આજે રાજકીય પક્ષો તેમજ ઉમેદવારો માટે મહત્વનો બની રહ્યો હતો. કેટલાક જ્ઞાાતીના આગેવાન, સામાજીક આગેવાન, રાજકીય આગેવાનોની બંધ બારણે બેઠકો કરી હોવાનુ કહેવાય છે. રાજકીય પાર્ટી અને ઉમેદવારોએ પોતાની તરફેણમાં મતદાન થાય તે માટે આયોજન કર્યા હતાં. આજે આખો દિવસ રાજકીય ગોઠવણોનો ધમધમાટ જણાય રહ્યો હતો.

Gujarat