ભાવનગરમાં પાણીનો પોકાર, મનપાએ બે માસમાં 1825 પાણીના ટેન્કર દોડાવ્યા

Updated: Apr 10th, 2024


Google NewsGoogle News
ભાવનગરમાં પાણીનો પોકાર, મનપાએ બે માસમાં 1825 પાણીના ટેન્કર દોડાવ્યા 1 - image


- મનપાના વોટર વર્કસ વિભાગના સબ સલામતના દાવા પરંતુ પાણીની સમસ્યા યથાવત 

- શહેરના જુદા જુદા વિસ્તારમાં નગરસેવકો સહિતની સુચનાથી રોજ આશરે 30 થી 40 પાણીના ટેન્કર મોકલવામાં આવતા હોવાનો દાવો 

ભાવનગર : શીયાળો પૂર્ણ થતા અને ઉનાળાની ગરમીની શરૂઆત થતા પાણીની માંગ વધી જતી હોય છે તેથી પાણીનો પોકાર શરૂ થઈ જતો હોય છે. પાણીનો પોકાર શરૂ થતા ભાવનગર મહાપાલિકાએ પાણીના ટેન્કર દોડાવવા પડતા હોય છે. મનપાના વોટર વર્કસ વિભાગ દ્વારા સબ સલામતના દાવા કરવામાં આવે છે પરંતુ કેટલાક વિસ્તારમાં પાણી સમસ્યા યથાવત હોવાનુ જણાય રહ્યુ છે, જેના કારણે આશરે છેલ્લા બે માસમાં મનપાના ફિલ્ટર વિભાગે આશરે ૧,૮રપ પાણીના ટેન્કર દોડાવ્યા હતા અને લોકોને પાણી પુરૂ પાડયુ હતું. 

ગત વર્ષે સારો વરસાદ થતા ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ભરેલ છે, બોરતળાવ, ખોડીયાર ડેમ પણ ભરેલ છે. મહીપરીએજનુ પાણી પણ ભાવનગરને મળે છે તેથી પાણીનો જથ્થો પુરતો છે. પાણીનો જથ્થો પુરતો હોવાના કારણે દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે પાણીની સમસ્યા ઓછી જોવા મળી હતી પુરતુ પાણી હોવા છતા આયોજનના અભાવે, પાવરકાપ, ડ્રેનેજ ભળી જવી વગેરે પ્રશ્નનોના કારણે લોકોએ પાણીના ટેન્કર મંગાવ્યા હતાં. નગરસેવક, પદાધિકારીઓ, વોટર વર્કસ વિભાગને પણ પાણીની ફરિયાદ મળતા તેઓ પણ ફિલ્ટર વિભાગને જે તે વિસ્તારમાં પાણીના ટેન્કર મોકલવા જણાવતા હોય છે, જેના પગલે ગત ફેબુ્રઆરીથી ચાલુ માર્ચ માસ દરમિયાન મનપાના ફિલ્ટર વિભાગે આશરે ૧૮રપ પાણીના ટેન્કર શહેરના જુદા જુદા વિસ્તારમાં મોકલ્યા હતાં. આ અંગે ફિલ્ટર વિભાગના અધિકારીએ જણાવ્યુ હતુ કે, શીયાળા અને ચોમાસાની સરખામણીએ ઉનાળામાં પાણીની માંગ વધતા રોજ ૩૦ થી ૪૦ પાણીના ટેન્કર જુદા જુદા વિસ્તારમાં મોકલવામાં આવતા હોય છે. કેટલાક સ્લમ વિસ્તારમાં તેમજ ઉંચાણવાળા વિસ્તારમાં પાણીની સમસ્યા રહેતી હોય છે. આ ઉપરાંત નળ કનેકશન ન હોય તેવા વિસ્તારમાં પાણીની જરૂરીયાત વધુ રહેતી હોય છે. 

શહેરમાં પાણીની ઓછી સમસ્યા છે છતા આટલા બધા પાણીના ટેન્કર જુદા જુદા વિસ્તારમાં મોકલવામાં આવે છે જો વધુ ફરિયાદ હોય તો સ્થિતી કફોડી થઈ શકે તેમ ચર્ચાય રહ્યુ છે. છેલ્લા કેટલાક વર્ષથી ચોમાસામાં સારો વરસાદ પડે છે તેથી લોકોને પુરતુ પાણી મળે રહે છે પરંતુ વરસાદ ઓછો થાય તો પાણીની સમસ્યા વધી શકે છે ત્યારે લોકોએ પાણીનો બગાડ ઓછો કરવો જરૂરી છે. 

પાણીની ફરિયાદ વધુ હોય તે વિસ્તારમાં ધ્યાન આપવુ જરૂરી 

ભાવનગર મહાપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં રોજ નિયમીત પાણી વિતરણ કરવામાં આવે છે તેમ છતા પાણી સમસ્યા જોવા મળી રહી છે અને પાણીના ટેન્કરો મંગાવવામાં આવી રહ્યા છે. પાણીનો પુરતો જથ્થો હોવા છતા અને નિયમીત પાણી આપવા છતા પાણીના ટેન્કર મોકલવા પડે એ મહાપાલિકાના વોટર વર્કસ વિભાગની નબળાઈ કહી શકાય ત્યારે પાણીની ફરિયાદ વધુ હોય તે વિસ્તારમાં ખાસ ધ્યાન આપવુ જરૂરી છે. 

હજુ આગામી દિવસોમાં પાણીના ટેન્કરની સંખ્યા વધશે 

ભાવનગર શહેરમાં ગત ફેબુ્રઆરી અને માર્ચ માસમાં થોડી ઓછી ગરમી પડી હતી તેથી પાણીની જરૂરીયાત પણ ઓછી રહી છે. હાલ એપ્રિલ માસમાં ગરમી વધી છે અને આગામી મે માસમાં પણ ગરમીનુ જોર રહેશે તેથી પાણીના ટેન્કરની સંખ્યા વધે તો નવાઈ નહી તેમ ચર્ચાય રહ્યુ છે. 

દરેક નગરસેવક એક માસમાં પાણીના 15  ટેન્કર મંગાવી શકે છે 

ભાવનગર મહાપાલિકામાં પર નગરસેવક છે અને આ તમામ નગરસેવકો દર માસે પાણીના ૧પ ટેન્કર મંગાવી શકે છે તેવો નિયમ મહાપાલિકામાં છે. ઉનાળાની ગરમીના દિવસોમાં પાણીની સમસ્યાના પગલે કેટલાક વોર્ડના નગરસેવકોને ૧પ ટેન્કર પણ ઓછા પડતા હોય છે. તાજેતરમાં જ આવુ કરચલીયા પરા વોર્ડમાં બન્યુ હતુ અને ત્યારબાદ નગરસેવકોએ વધુ પાણીના ટેન્કર માટે સ્ટેન્ડીંગ ચેરમેનને રજૂઆત કરી હતી. 

ખાનગી ટેન્કરવાળા પાણી માટે રૂ. 700 વસુલતા હોવાની ચર્ચા 

ભાવનગર શહેરમાં કેટલાક ખાનગી ટેન્કર ચાલકો પણ પાણી પુરૂ પાડવાની કામગીરી કરતા હોય છે અને આ ટેન્કર ચાલકો એક પાણીના ટેન્કરના આશરે રૂ. ૬૦૦થી રૂ. ૭૦૦નો ભાવ વસુલતા હોવાનુ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. આ પાણીના ટેન્કરો લોકોને મોંઘા પડતા હોય છે પરંતુ પાણીની સમસ્યા જે વિસ્તારમાં હોય છે અને પાણીની જરૂરીયાત વધુ હોય છે તે વિસ્તારના લોકોને ના છુટકે મોંઘા ભાવના પાણીના ટેન્કર મંગાવવા પડી રહ્યા છે, જે ગંભીર બાબત છે ત્યારે મહાપાલિકાએ લોકોને પુરતુ પાણી મળી રહે તે માટે તત્કાલ યોગ્ય આયોજન કરવુ જરૂરી છે.   


Google NewsGoogle News