માતા ત્રણ વર્ષ પૂર્વે ઘર છોડી ચાલ્યા જતાં ઉદાસ રહેતા પુત્રએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

Updated: Feb 27th, 2024


Google NewsGoogle News
માતા ત્રણ વર્ષ પૂર્વે ઘર છોડી ચાલ્યા જતાં ઉદાસ રહેતા પુત્રએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું 1 - image


મોરબી પંથકમાં આપઘાતના ત્રણ બનાવ

જાંબુડિયા ગામે ૧૯ વર્ષની પરિણીતાએ ગળાફાંસો ખાધોઃ વિજય નગરમાં માનસિક બીમારીથી કંટાળી મહિલાએ એસીડ પી લેતાં મોત

મોરબી: મોરબી નજીક કારખાનામાં રહીને મજુરી કરતા ૧૯ વર્ષના યુવાનના માતા ઘર છોડી જતા રહ્યા હોવાથી વિરહમાં ઉદાસ રહેતા યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.મોરબીના જાંબુડિયા ગામે ધર્મસિદ્ધિ સોસાયટીના રહેવાસી ૧૯ વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જ્યારે મોરબીના રવાપર રોડ પર વિજયનગરમાં રહેતા ૪૫ વર્ષીય પરિણીતાએ પોતાના ઘરે એસીડ પી લેતા મોત થયું હતું.

મૂળ બનાસકાંઠાજિલ્લાના વતની અને હાલ ઉંચી માંડલની સીમમાં ક્રીશાઝ ફાર્માસ્યુટીકલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહીને મજુરી કરતા અલ્પેશ હેમસંગજી ઠાકોર (ઉ.વ.૧૯) નામના યુવાને કારખાનાના લેબર કવાર્ટરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક અલ્પેશભાઈ ઠાકોર પોતાની માતા નર્મદાબેનને ખુબ પ્રેમ કરતો હતો.પણ માતા ત્રણ વર્ષ પહેલા ઘર છોડીને જતા રહ્યા હતા .જેથી યુવાન ઉદાસ રહેતો હતો.અને કેટલાક સમયથી ઘરે જતો ના હતો.ઉદાસ રહેતા યુવાનને મનમાં લાગી આવતાગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું ખુલ્યું છે.મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે 

જાંબુડિયા ગામે ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા મમતાબેન હિરેનભાઈ રાઠોડ (ઉ.વ.૧૯) નામની પરિણીતાએ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક પરિણીતાનો લગ્નગાળો દોઢ વર્ષનો છે. જેને કોઈ સંતાન નથી. જોકે પરિણીતાએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે સ્પષ્ટ થયું નથી.મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.

મોરબીના વિજયનગરમાં રહેતા ધમષ્ઠાબેન ધર્મેન્દ્રભાઈ કુણાપરા (ઉ.વ.૪૫) એ પોતાની જાતે એસીડની બાટલીમાંથી અજાણી માત્રામાં એસીડ પી લેતા મોત થયું હતું. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક પરિણીતા માનસિક તકલીફની બીમારીથી પીડાતા હોય જેથી કંટાળી આવું પગલું ભર્યાનું ખુલ્યું છે.એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News