મૂળ માધવપુરમાં તૂટેલા જીવંત વીજ વાયરને સ્પર્શી જતાં તરૂણનું મોત
પોતાની વાડીએથી ચાલીને ફૂવાની વાડીએ જતો હતો ત્યારે
રાણાવાવ રેલવે ફાટક નજીક ટ્રક ચાલકે પગપાળા જતાં વૃધ્ધાને હડફેટે લેતાં મોત
પોરબંદર: પોરબંદરના મુળ માધવપુરના વાડી વિસ્તારમાં વીજ શોકથી વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે.રાણાવાવના રેલવે ફાટક નજીક ટ્રકચાલકે ઠોકર મારતા વૃધ્ધાનું મોત થતા અમરદળ ગામના ટ્રકચાલક વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મુળ માધવપુર ગામે રહેતા અને ખેતીકામ કરતાહીરાભાઈ મેરૂભાઈ ભરડા નામના યુવાને માધવપુર પોલીસ સ્ટેશનમાં એવું જાહેર કર્યું છે કે,તેનો પુત્ર પંકજ (ઉ.વ.૧૫) તેની વાડીએથી પગપાળા ચાલીને તેના ફુઆની વાડીએ જતો હતો ત્યારે યોગેશભાઈ ઉકાભાઈ કરગટીયાના ખેતર વિસ્તારમાં લોખંડની કાંટાળી વાડમાં પી.જી.વી.સી.એલ.નો વીજ વાયર તુટીને પડયો હતો અને પંકજને વીજશોક લાગતા મૃત્યુ થયું હતું.
રાણાવાવમાં રહેતા દિલીપ કરશનભાઇ ભોગેસરા નામના યુવાને એવી પોલીસ ફરીયાદ નોંધાવી છે કે, તેના માતા ભરમીબેન (ઉ.વ.૬૨) રાણાવાવના રેલ્વે ફાટક નજીક અમરદળ ગામ તરફ જતા રસ્તે પગપાળા જતા હતા ત્યારે અમરદળ ગામના ટ્રકચાલક રાહુલ ચનાભાઈ કેશવાલાએ બેફિકરાઈથી ટ્રક ચલાવીને ભરમીબેનને હડફેટે લઇ લેતા તેમને ગંભીર ઈજાઓ થઇ હતી અને તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવમાં રાહુલ કેશવાલા સામે રાણાવાવ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.