રાજપરા જવાના માર્ગે બાઇક સ્લીપ થતા યુવાનનું મોત
નસીતપુરના બે યુવાનોને વાડીએ જતા નડયો અકસ્માત
બે યુવાનો મોટરસાયકલ લઈને વાડીએ જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો
ભાવનગર: વલભીપુર તાલુકાના નસિતપુર ખાતે રહેતા બે યુવાનો મોટરસાયકલ લઈને વાડીએ જઈ રહ્યા હતા ત્યારે નસિતપુર થી રાજપરા રોડ પર યુવાને પોતાના મોટરસાયકલ પર કાબૂ ગુમાવતા મોટરસાયકલ પલ્ટી ખાઈ જતાં મોટરસાયકલ પર જઈ રહેલ બંને યુવાનોને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવમાં આવ્યા હતા.જ્યાં એક યુવાનનું મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર વલભીપુર તાલુકાના નસિતપુર ખાતે રહેતા ભાવેશભાઈ ભરતભાઈ વાઘેલાએ પોલીસ મથકના એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે ભાવેશભાઈનાં કાકા વિનુભાઈ વિરાભાઈ વાઘેલા ઉ.વ.-૩૭ (રહે. નસિતપુર તા.વલ્લભીપુર ) મોટરસાયકલ નં.જીજે ૦૪ એડી ૮૭૫૧ લઇ જયેશભાઇ ત્રીકમભાઈ વાઘેલા સાથે લઈને વાડીએ જતા હતા. તે દરમિયાન નસિતપુર થી રાજપરા રોડ પર વિનુભાઈએ મોટર સાયકલ પર અચાનક કાબુ ગુમાવી દેતા મોટર સાઇકલ સ્લીપ ખાઇ જતા જયેશભાઇને સામાન્ય ઇજા થઇ તથા વિનુભાઇને શરીરે તથા માથાના ભાગે ગંભીર ઈજા થતાં ગંભીર હાલતે વલભીપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.આ સંદર્ભે મૃતકના ભત્રીજાએ વલભીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.