સર ટી.હોસ્પિટલમાં યુવકની ગળાફાંસો ખાઈ આત્મહત્યા
- આત્મહત્યાનું કારણ અકબંધ, પોલીસે તપાસ આદરી
- કેન્સર વોર્ડની બિલ્ડીંગના બીજા માળે જઈ અંતિમ પગલું ભર્યું, સિક્યુરીટી વ્યવસ્થા ઉપર ઉઠતા સવાલ
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરની તખ્તસિંહજી હોસ્પિટલના કેન્સર વોર્ડની બિલ્ડીંગના બીજા માળે સ્ટાફ રૂમમાં આજે વહેલી સવારે ૭-૦૦ વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા યુવકે કોઈ અગમ્ય કારણોસર પંખા સાથે વાયર બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતકની ઓળખ અંગે તપાસ કરતા આત્મહત્યા વ્હોરી લેનાર યુવકનું નામ અજયભાઈ દેવજીભાઈ બારૈયા (ઉ.વ.આ.૪૦, રહે, ચાવડીગેટ) હોવાનું ખુલ્યું હતું. બનાવ અંગે નિલમબાગ પોલીસે અકસ્માતે મોતની એન્ટ્રી કરી આગળની તપાસ હાથ ધરી છે. જો કે, ઘટનાને ૧૨ કલાકથી પણ વધુ સમય થવા છતાં યુવકની આત્મહત્યાનું કારણ અકબંધ રહ્યું હોય, પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદનો લેવા સહિતની દિશામાં તપાસ આદરી છે.