બુરાનપૂરના પાટીયા પાસે ટ્રક પલ્ટી જતા આધેડનું મોત
ધોલેરા-વટામણ રોડ પર
આધેડ ટ્રક લઇ ભાવનગરથી ગોજારીયા મહેસાણા તરફ જતા હતા ત્યારે અકસ્માત
ભાવનગર: બાવળા ખાતે રહેતા આધેડ ટ્રાન્સપોર્ટનો ટ્રક લઈને ભાવનગર થી ગોજારીયા મહેસાણા તરફ જઈ રહ્યા હતા ત્યારે બુરાનપૂરના પાટીયા પાસે આધેડે ટ્રક પર કાબુ ગુમાવી દેતા ટ્રક પલ્ટી ખાઈ ગયો હતો. ટ્રક ચાલકને ગંભીર ઈજા થતાં સારવાર માટે ધોલેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર, ધંધુકા તાલુકાના ધોળી ગામના વતની અને હાલ ભાવનગર શહેરના ઘોઘા જકાતનાકા પાસે આવેલ ચંદ્રમૌલી સોસાયટી ખાતે રહેતા બાબુભાઈ વિઠ્ઠલભાઈ ગામીએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, બાબુભાઈના ભાઈ ભરતભાઈ વિઠ્ઠલભાઈ ગામી (રહે.બાવળા) ટ્રાન્સપોર્ટ નો ટ્રક નંબર જીજે ૦૧ જેટી ૬૪૪૧ લઈને ભાવનગર થી ગોજારીયા મેસાણા તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન ધોલેરા વટામણ રોડ પર આવેલ બુરાનપુરના પાટિયા પાસે ઉર ઝડપે અને ગાફલત ભરી રીતે ચલાવી રોંગ સાઈડ એ રોડની ધરમાં પલ્ટી ખાઈ ગયો હતો. ટ્રકમાં સવાર ભરતભાઈ ને ગંભીર ઇજાઓ થતા ધંધુકા ની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત થયું હતું આ બનાવ અંગે મૃતકના ભાઈ એ ધંધુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.