ગોંડલ નજીક 80 ફૂટ ઊંડા કૂવામાં ઝંપલાવી પ્રેમી યુગલનો આપઘાત
- કમર ફરતે ચૂંદડી બાંધી ભેટેલી હાલતમાં પડતું મુક્યું
- બે વર્ષ પૂર્વે યુવતીનાં લગ્ન અન્યત્ર થઇ જતાં એક થવું શક્ય ન હોવાથી માવતરને ત્યાં આણંુ કરવા આવી ત્યારે પ્રેમી સાથે ભરેલું અંતિમ પગલું
ગોંડલ : ગત રાત્રે ગોંડલનાં ઉમવાડા રોડ પર આવેલી વાડીનાં કૂવામાં ઝંપલાવી પ્રેમી યુગલે આપઘાત કર્યો હતો. બનાવના પગલે દોડી ગયેલી પોલીસે પાણી ભરેલા એંસી ફૂટ ઊંડા કૂવામાંથી બન્નેના મૃતદેહ બહાર કાઢી ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. યુવતીનાં લગ્ન બે વર્ષ પૂર્વે અન્યત્ર થઇ ગયા હોઇ હાલ માવતરને ત્યાં આણુ કરવા આવી હતી ત્યારે આ જન્મમાં એક થવું શક્ય ન હોવાનું વિચારી પ્રેમી સાથે અંતિમ પગલું ભરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.
આ જન્મમાં એક થવુ શક્ય નથી એ જાણી પ્રેમી યુવક- યુવતીએ ગત રાતે કૂવામાં પડી આત્મહત્યા કર્યાના બનાવની પ્રાપ્ત વિગત મુજબ, લાખાભાઇ ઉર્ફ સાજન વાલાભાઇ ધાનોયા (ઉ.વ.૨૨) તથા કડવી ઉર્ફ માલીબેન ભોજાભાઇ ગુજરીયા (ઉ.વ.૧૯)એ ગત મોડી રાત્રીના એકમેકને ભેટેલી હાલતમાં કમર ફરતે ચુંદડી બાંધી ઉમવાડા રોડ પર આવેલી યોગેશભાઈ રૈયાણીની વાડીના કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. આ અંગે પોલીસ તથા ફાયર બ્રિગેડને જાણ કરાતા બન્નેના મૃતદેહ પાણી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
મૃતક લાખાભાઇ ઉર્ફ સાજનભાઇ ઉમવાડા રોડ પર રમણીકભાઇ ગજેરાની વાડીની ગૌશાળામાં પરિવાર સાથે રહેતા હતા. ત્રણ ભાઇઓ તથા એક બહેનના પરીવારમા મોટા હતા. તેમનો પરિવાર ગૌશાળાની સંભાળ રાખતો હતો, જ્યારે મૃતક કડવી ઉર્ફ માલીબેન મૂળ વિસાવદર તાલુકાનાં કાશીયા નેસ અને હાલ બીલીયાળામાં યોગેશભાઈ રાદડીયાની વાડીમા ં માતા પિતા અને છ ભાઇ-બહેનના પરિવાર સાથે રહેતા હતા. માલીબેનના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા અને ચાર માસથી પિયર બીલીયાળા આણુ કરવા આવ્યા હતા. ગત રાતે પરિવારને સુતો મુકી માલીબેન ચુપચાપ ઘરેથી નીકળી ગયા હતા. બીજી બાજુ લાખાભાઇ રાત્રે દૂધના લગવા ભરી પરત ફર્યા ના હોવાથી વાડી માલિક રમણીકભાઇ તથા અન્ય લોકોએ શોધખોળ કરતા સવારે યોગેશભાઈની વાડી નજીક તેનું મોટરસાયકલ તથા દૂધનાં કેન મળી આવતા વાડીમાં તપાસ કરતા કૂવા પાસે તેના ચપ્પલ પડયા હતા, કૂવામાં નજર કરતા મૃતદેહ તરતા નજરે પડયા હતા. બનાવ અંગે ગોંડલ બી ડિવિઝનના મદનસિહ ચૌહાણે તપાસ હાથ ધરી છે.