તાલાલા તાલુકાના રામપરા ગામના સરપંચના ઘરમાં દીપડો ઘૂસ્યો

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
તાલાલા તાલુકાના રામપરા ગામના સરપંચના ઘરમાં દીપડો ઘૂસ્યો 1 - image


માળીયા ઉપર ચડી ગયેલા દીપડાને બેભાન બનાવી ઝડપી લેવાયો

વેરાવળના ઉકડીયા ગામે ૪ વર્ષના બાળકને ફાડી ખાનારી દીપડી અંતે પાંજરે પૂરાઇ

તાલાલા, પ્રભાસ :  ગીર સોમનાથમાં દીપડા વિવિધ ગામોમાં ઘૂસી આતંક મચાવી રહ્યાં છે. તાલાલાનાં રામપરા ગામના સરપંચનાં ઘરમાં દીપડો ઘૂસી ગયો હતો. વાછરડાનું મારણ કરી માળીયા ઉપર ચડી જતા તેને બેભાન બનાવી ઝડપી લેવાયો હતો.જ્યારે વેરાવળના ઉકડીયા ગામે બાળકને ફાડી ખાનાર દીપડો અંતે પાંજરે પૂરાયો હતો.

જંગલમાંથી આવી ચડેલ ખુંખાર હિંસક દિપડો તાલાલા તાલુકાનાં રામપરા ગામના સરપંચ જગદીશભાઈ તળાવીયા ના ઘરે વહેલી સવારે ઘુસી જઈ ઘરના ફળીયામાં બાંધેલા વાછરડાનું મારણ કરતા પરિવારજનો ભયભીત થઈ ગયા હતા.

આ બનાવની જાણ થતાં રેસ્કયુ સામગ્રી લઇ તાલાલા આર.એફ.ઓ. કે. એન. ખેર, વનપાલ પ્રવિણભાઈ વાળા, ગાર્ડ, ટ્રેકર ની ટીમ સાથે બનાવનાં સ્થળે દોડી ગયા હતા.વનવિભાગની દોઢ કલાકની જહેમત બાદ વાછરડાનું મારણ કરી પડતર મકાનના માળીયા ઉપર ચડી ગયેલ દિપડાને વેટરનરી ડો.વાઢેર દ્રારા બેભાન કરી પકડી પાડતાં ગ્રામજનોએ રાહત અનુભવી હતી.વનવિભાગે પકડાયેલ દિપડાને સાસણ ગીર ખાતે એનિમલ કેર સેન્ટરમાં મોકલી આપ્યો હતો.તાલાલા વિસ્તારમાં માનવવસ્તી તરફ હિંસક દિપડાનું વધી ગયેલ પરિભ્રમણ સામે વનવિભાગ ઘનિ પેટ્રોલિંગ સાથે ઠોંસ કાર્યવાહી કરી ભયભીત ગ્રામીણ પ્રજા તથા ખેડૂતોનો ભય દુર કરે તેવી પ્રબળ લોક માંગણી ઉઠી છે.

વેરાવળના ઉકડીયા ગામે ચાર દિવસ પૂર્વે જ ૪ વર્ષના બાળકને ફાડી ખાનાર દીપડાને પકડવા વન વિભાગે પાંજરા મૂક્યા હતાં. બનાવના સ્થળેથી ૫૦૦ મીટર દૂર હસનાવદર ગામની સીમમાં મૂકેલા પાંજરામાં દીપડો પાંજરે પૂરાયો હતો. વન અધિકારી કે.ડી. પંપાણીયાએ જણાવ્યું હતું કે પાંજરામાં ૩થી ૫ વર્ષની દીપડી પૂરાઇ છે. તેને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલાઈ છે.


Google NewsGoogle News