રાજકોટમાં હાર્ટએટેકથી 33 વર્ષના વેપારીનું મોત
- પત્ની હાલ ગર્ભવતી છે
- મૂળ પોરબંદરના યુવાનની મોડી રાત્રે ગરબામાં ગયેલી પત્ની સાથે વાત થયા બાદ તબીયત લથડી હતી
રાજકોટ : રાજયભરમાં ખાસ કરીને યુવાનોના હાર્ટએટેકથી મોતના બનાવોનો સિલસીલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. જૂના એરપોર્ટ પરની ગીતગુર્જરી સોસાયટી-પમાં રહેતા રાજકુમાર ગંગાધરભાઈ આહુજા (ઉ.વ.૩૩)નું ગઈકાલે મોડી રાત્રે ઘરે હાર્ટએટેકથી મોત નિપજતાં તેના પરિવારના સભ્યો આઘાતથી સ્તબ્ધ થઈ ગયા હતા.
મૂળ પોરબંદરનો રાજકુમાર ત્રિકોણબાગ નજીક ઈલેકટ્રોનિકસ આઈટમોની દુકાન ધરાવતો હતો. તેના લગ્ન ચારેક વર્ષ પહેલાં થયા હતા. તેની પત્ની હેમાબેન હાલ સર્ગભા છે. ગઈકાલે હેમાબેન વિરાણી ચોકમાં આવેલા ગરબાના કાર્યક્રમમાં બહેનપણીઓ સાથે ગયા હતા. રાત્રે એકાદ વાગે પતિ રાજકુમારે તેને કોલ કરી કયાં પહોંચી તેમ પૂછયું હતું. તે વખતે હેમાબેને નીકળી ગયાનું કહી, થોડીક વારમાં ઘરે પહોંચી જશે તેમ કહ્યું હતું.
પત્નીને કોલ કર્યા બાદ અચાનક રાજકુમારની તબીયત લથડતા બાથરૂમ ગયો હતો. જયાં બેભાન થઈ પડી ગયો હતો. પત્ની હેમાબેન ઘરે પહોંચ્યા ત્યારે જાણ થતાં તત્કાળ સિવીલ લઈ આવ્યા હતા. જયાં તબીબોએ મૃત જાહેર કર્યા હતા. જાણ થતાં રાજકુમારના માતા-પિતા સહિતના પરિવારજનો પોરબંદરથી રાજકોટ દોડી આવ્યા હતા. જુવાનજોધ પુત્રના મોતથી પરિવારમાં કલ્પાંત મચી ગયો હતો. ગાંધીગ્રામ પોલીસે હાર્ટએટેકથી મોત થયાનું જણાવ્યું હતું.