લગ્નના 15 દિવસ પહેલા યુવાનની ગળાફાંસો ખાઈ લઈ આત્મહત્યા

Updated: Apr 6th, 2024


Google NewsGoogle News
લગ્નના 15 દિવસ પહેલા યુવાનની ગળાફાંસો ખાઈ લઈ આત્મહત્યા 1 - image


બે બહેનના એકલૌતો નાનોભાઈ હતો

જસદણની યુવતી સાથે આગામી ૧૮મીએ લગ્ન લેવાયા હતાં ઃ પરિવારનાં આધાર સ્તંભ પુત્રના મોતથી શોક

રાજકોટ: માડાડુંગર પાસે મહિકા રોડ ઉપર આવેલી માધવ વાટીકામાં રહેતાં નારાયણ  લાલદાસભાઈ દાણીધારીયા (ઉ.વ.૨૩) એ ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. 

કરૂણતા એ છે કે, મૃતકનાં પખવાડીયા બાદ લગ્ન હતાં, જે ઘરમાં લગ્ન ગીતો અને ઢોલ શરણાઈ વાગવાની હતી તે ઘરેથી યુવાન પુત્રની અર્થી ઉઠતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, માધવ વાટીકા સોસાયટી શેરી નં. ૫ માં રહેતો નારયણ સંતકબીર રોડ નજીક તેના સંબંધી સાથે સર્વિસ સ્ટેશનમાં કામ કરતો હતો. તેની જસદણની યુવતી સાથે સગાઈ થઈ હતી અને આગામી તા.૧૮ એપ્રીલ લગ્ન નક્કિ કરાયા હતાં. જેને લઈ બે બહેનો ઉપરાંત પરિવારજનો લગ્નની તૈયારી અને ખરીદીમાં લાગી ગયાં હતાં.

પરંતુ ગઈકાલે રાત્રે નારાયણે કામેથી આવ્યા બાદ તેના રૂમમાં જઈ પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો તે મોડે સુધી બહાર નહી આવતા તેના પરિવારજનો બોલાવવા ગયા હતાં. દરવાજો ખટખટાવવા છતા નહી ખોલતાં દરવાજો તોડીને જોતા તે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં તત્કાલ તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

જાણ થતા આજીડેમ પોલીસ મથકમાં જમાદાર હેમંતભાઈ ધરજીપાસે હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસે જણાવ્યું કે, મૃતક બે બહેનનો એકલૌતો નાનો ભાઈ હતો. પિતા અગાઉ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતાં. હાલ અકસ્માત નડયો હોવાથી તે પથારી વસ છે. જે ઘરે લગ્નના ગીતો ગવાતા હોય તે ઘરે યુવાન આધારસ્તંભ પુત્રની અરથી ઉઠતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. હાલ બનાવ પાછળનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ જારી રાખી છે.



Google NewsGoogle News