પેશાબની સમસ્યા અને આયુર્વેદ
- આરોગ્ય સંજીવની- જ્હાનવીબેન ભટ્ટ
પેશાબને લગતા રોગોને આપણે મૂત્રરોગો તરીકે ઓળખીએ છીએ. મૂત્રરોગોની સમસ્યા સમાજમાં મોટાભાગે વડીલ વયનાં લોકોમાં વધારે જોવા મળે છે. જેમ જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય છે, તેમ તેમ મૂત્રમાર્ગની તકલીફોની શરૂઆત થવા લાગે છે, અને યોગ્ય સારવાર સમયસર રીતે ન મળે તો આ સમસ્યાઓ ગંભીરરૂપ ધારણ કરી લે છે. મૂત્રમાર્ગને લગતી સમસ્યાઓમાં તુરંત દવા ચાલુ કરવી જોઇએ.
આ પેશાબની સમસ્યાઓમાં મૂત્રત્યાગ વખતે અતિશય કષ્ટ થવો, મૂત્ર અટકી જવું, મૂત્ર ટીપે-ટીપે આવવું, મૂત્રમાર્ગનું સંકોચન થઇ જવું, મૂત્રાશયમાં અર્બુદ (ગાંઠ) થવી, મૂત્રાશયમાં પથરી થવી, પ્રોસ્ટેટ વૃધ્ધિ થવી વગેરે મુખ્ય રૂપે જોવા મળતી તકલીફો છે. ઘણીવાર પેશાબ અટકી જવાથી આફરો, બેચેની, શ્વાસ, ગભરામણ વગેરે જેવી ફરિયાદો પણ થતી જોવા મળતી હોય છે. મૂત્રનાં અટકવાથી પેશાબ માર્ગનાં ગંભીર રોગો થવાની શક્યતા વધી જાય છે.
મૂત્રગત રોગોમાં મૂત્રાશય ગત શોથ (સોજો), મૂત્રાશયમાં પથરી, મૂત્રાશયમાં ગાંઠ, મૂત્રમાં અધિક અમ્લતા વગેરેનાં કારણે પણ મૂત્ર કષ્ટતાપૂર્વક થતો હોય છે. આ ઉપરાંત અતિશય અધિક વ્યાયામ, અતિ પ્રમાણમાં આલ્કોહોલનું કે દારૂનું સેવન, ઘોડેસવારી, અજીર્ણમાં ભોજન વગેરેથી પણ દોષો દૂષિત થઇ મૂત્રમાર્ગમાં સંકોચ ઉત્પન્ન કરે છે. તો ક્યારેક આ દોષો મૂત્રાશય પર દબાણ વધારે છે. જેથી મૂત્રત્યાગનાં સમયે કષ્ટતા - તકલીફ થાય છે. આયુર્વેદની ભાષામાં આ રોગને ''મૂત્રકૃચ્છ'' (Dysuria)કહે છે. એ જ રીતે જ્યારે મૂત્ર મૂત્રાશયમાંથી બહાર ન આવે એટલે કે, પેશાબ રોકાઇ જાય કે અટકી જાય તેને આયુર્વેદની ભાષામાં ''મૂત્રાઘાત'' નામનો વ્યાધિ કહે છે. જે વ્યક્તિઓને મૂત્રને રોકવાની કુટેવ હોય તેમને આ રોગ થવાની સંભાવના વધુમાં વધુ રહે છે. આ ઉપરાંત ઘડપણ આવવાથી જેમ સ્વાભાવિક રીતે વાળ સફેદ થાય જ છે, તેવી જ રીતે વૃધ્ધાવસ્થામાં મોટે ભાગે પુરુષોમાં પૌરુષગ્રંથિ (પ્રોસ્ટેટ)ની વૃધ્ધિ થતી જોવા મળે છે, જેનું કારણ આધુનિક સાયન્સમાં હોર્મોનલ ઈમ્બેલેન્સ માનવામાં આવે છે.
આ રોગમાં મોટા ભાગે રોગનાં સમયે મૂત્રપ્રવૃત્તિ અધિક થાય છે. રોગીએ રાત્રિમાં જ ૩ થી ૪ વખત પેશાબ માટે ઊઠવું પડે છે, તથા પેશાબ માટે જોર લગાવવા છતાં ઘણીવાર પેશાબ આવતો નથી, અથવા ટીપે-ટીપે આવે છે, અને પૌરુષગ્રંથિ આકારમાં પણ વધેલી દેખાય છે. મૂત્રમાર્ગની સમસ્યાઓ અનેક ગંભીર સ્થિતિનું નિર્માણ કરી શકે છે. જેથી આજનાં અંકમાં મૂત્રમાર્ગની સમસ્યાઓ માટે કેટલાંક સરળ, ઘરગથ્થુ અને આયુર્વેદીક ઉપચારો સૂચવું છું. કેટલીકવાર આ ઉપચારો સામાન્ય હોવા છતાં કાળજી કરવામાં આવે તો ચમત્કારિક પરિણામ આપી જાય છે. એક સમયે ૧ થી ૨ પ્રયોગ કરી શકાશે.
- જ્યારે દર્દીને પેશાબમાર્ગની સમસ્યાઓ હોય અને પેશાબ અટકી ગયો હોય ત્યારે કૂંતરિયા ઘાસનાં બી અડધો તોલો છાશમાં આપવાં. - આ પ્રયોગથી દર્દીનો રોકાઇ ગયેલો પેશાબ છૂટે છે, અથવા આ ઘાસનું શરબત નીચે પ્રમાણે બનાવીને દર્દીને આપવું. આ ઘાસનો રસ કાઢી તેમાં ૫ થી ૧૦ ગ્રામ જેટલી સાકર અને થોડીક ઈલાયચી નાખવી જેથી શરબત તૈયાર થઇ જશે. આ શરબતને ગરમ કરવું નહીં. આ શરબત લાંબો સમય રહે છે. બગડતું નથી.
- ૨ થી ૩ ગ્રામ જેટલી પ્રવાલપિષ્ટી તેટલી જ એલચી સાથે ગરમ દૂધમાં લેવાથી પેશાબની છૂટ થાય છે.
- વળી, ઈન્દ્રવરણાનું મૂળ પાણીમાં ઘસીને દર્દીને પીવડાવવાથી પણ ઝાડા અને પેશાબની છૂટ થાય છે.
- પેશાબ જ્યારે ખૂબ અટકી ગયો હોય ત્યારે ''ગળી'' નામની વનસ્પતિનો રસ પેઢુ ઉપર ચોપડવો, તેનાથી પણ પેશાબનો ભરાવો નીકળી જાય છે.
- ગોખરુ ચૂર્ણને દૂધમાં પકવી તેની ખીર બનાવી ખડી સાકર નાખી પીવાથી પેશાબ માર્ગની તમામ સમસ્યાઓમાં રાહત થાય છે, અને પેશાબની છૂટ થાય છે.
- કેસુડાનાં પાન અને કેળાની છાલનું ચૂર્ણ અડધો તોલો લઇ તેને ૧૦૦ ગ્રામ પાણીમાં પલાળવું. રાત્રે આ ચૂર્ણ પલાળી સવારે મસળીને ગાળી લઇ આ પાણી પીવાથી બંધ પેશાબ ઝડપથી છૂટે છે.
- પેશાબમાં બળતરા થતી હોય તો લૂણીની ભાજીનો રસ પાંચ તોલા અને સાકરનું શરબત બનાવી પીવું, જેથી, તરત જ પેશાબ માર્ગમાં થતી બળતરા બંધ થાય છે.
- ઘણીવાર મૂત્રમાર્ગનું સંકોચન થવાણી પણ પેશાબ છૂટથી આવી શકતો નથી. આવા સમયે કેળનું પાણી પાંચ તોલા અને તળેલું ઘી પાંચ તોલો મિક્સ કરી પીવાથી બંધ થઇ ગયેલો પેશાબ તરત જ છૂટો થાય છે. અને આ રીતે પીધેલું યઘી પણ છૂટું પડી પેશાબ વાટે નીકળી જાય છે, તે પેશાબનાં રસ્તાને પણ ખુલ્લો કરી દે છે.
ઘણીવાર પેશાબ ટીપે-ટીપે આવે છે જેથી પેશાબ ટપકતો રહેતો હોય ત્યારે નીચે બતાવેલાં સામાન્ય ઉપાયોથી પણ આ ફરિયાદમાં ઘણો જ ફાયદો થાય છે.
- જેમાં લાલ કોળાનો રસ ૨-૨ તોલા સવાર-સાંજ પીવાથી ટપકતો પેશાબ બંધ થાય છે.
- આદુનો રસ ખડી સાકરમાં મેળવીને પીવાથી પણ ટપકતાં પેશાબની સમસ્યામાંથી છૂટકારો મળી શકે છે.
આયુર્વેદિક ઔષધોમાં ગોક્ષુર, શિલાજીત, પુર્નનવા, ભોંયરીંગણી, ત્રિફળા, આમળા વગેરે મૂત્રરોગોમાં સારું પરિણામ આપે છે. આ ઔષધોનો ઉપયોગ નિષ્ણાંતની સલાહ મુજબ કરી શકાય છે. યોગ્ય સમયે કરેલો ઔષધ પ્રયોગ આ રોગમાં ઘણો જ ફાયદાકરાક સાબિત થાય છે, તે વાતમાં બે મત નથી.