Get The App

નેત્ર ચિકિત્સા આયુર્વેદ સાથે .

Updated: Apr 21st, 2025

GS TEAM


Google News
Google News
નેત્ર ચિકિત્સા આયુર્વેદ સાથે                                        . 1 - image


- આરોગ્ય સંજીવની

આજના લેખમાં આંખોની સુરક્ષા આયુર્વેદ જ દ્રષ્ટીએ કેવી રીતે કરવી તે વિશેની ચર્ચા કરીશું જેમાં સૌ પ્રથમ ગર્ભવતી માતાઓ પોતાના ગર્ભસ્થ શિશુને આંખોની તકલીફોમાંથી બચાવવા આ ઉપાયો કરવા :

(૧) સવારે ૧ ગ્લાસ લીલા શાકભાજી જેવા કે પાલક, કોથમીર, ટામેટાનો રસ

(૨) લીલા આમળાની સીઝન હોય તો સવારે ૪થી ૫ નંગ આમળાનો રસ પીવો અથવા ચાવીને ખાવા

(૩) ત્રિફળાચૂર્ણ ૧/૪થી ૧ ચમચી પેટને અનુકુળ પડે તેટલા પ્રમાણમાં અને ૧ ચમચી જેઠીમધનું ચૂર્ણ મિક્સ કરી તેમાં ગાયનું ઘી અને મધ વધઘટ પ્રમાણે મેળવી રાત્રે સુતા વખતે લેવું.

(૪) ખોરાકમાં શક્ય હોય તો ગાયના જ ઘી દૂધ વાપરવા.

(૫) આંખોથી ગ્રીનરી નિહાળવી અને ખુલ્લા પગે લીલી લોનમાં ચાલવું.

(૬) આંખો ઠંડા પાણીએ ધોઈ પગ પણ ઠંડા પાણીએ ધોવા.

૧. જન્મથી બાળક ૫ વર્ષનું થાય ત્યાં સુધી તેના પગના તળિયામાં ગાયના ઘીની માલિશ કરવી.

૨. આંખ લાલ થઇ હોય કે દુખવા આવી હોય તો ચપટી ત્રિફળા ચૂર્ણ ૨ ચમચી પાણીમાં ગરમ કરી ચોખ્ખા કપડાથી ગાળી ઠંડુ થાય એટલે તેના ટીપાં બાળકની આંખમાં સવાર સાંજ મુકવા બે દિવસમાં જ આંખની ગરમી લાલાશ અને પીડા મટી જશે.

૩. જમતા બાળકોને લીલા ધાણાની (કોથમીર) ચટણી બનાવી ખવડાવવી તથા મહિને ૧ વખત શુધ્ધ મધનું અંજન કરવું.

૪. જે બાળકોને રાત્રે જોવામાં તકલીફ હોય તેમને ડોડીની ભાજી બાફી તેનું પાણી રોજ સવાર સાંજ નરણે કોઠે પંદર દિવસ સુધી પીવડાવવા અને ભાજીને મસાલા નાખી બનાવવી અને ખવડાવવી.

(૪) આ પ્રયોગથી રાત્રીના સમયે જોવાની સમસ્યામાં ઘણો જ ફાયદો થાય છે.

આંખોની નાની મોટી તકલીફોના ઉપાયો :

(૧) ધાણા-સાકર અને વરિયાળીનું સમભાગ ચૂર્ણને માખણ સાથે અથવા પાણી સાથે લેવાથી આંખોની લાલાશ-બળતરા પાણી ઝરવું વગેરે સમસ્યાઓ મટે છે, અને આંખોનું તેજ વધે છે.

(૨) અધેડાનાં મૂળનું ચૂર્ણ દૂધ સાથે પીવાથી રાત્રિ સમયે જોવાની તકલીફમાં ઘણો જ ફાયદો થાય છે.

આ સિવાય આયુર્વેદમાં આંખોની સુરક્ષા તેમજ આંખોની તકલીફો માટે તર્પણ ચિકિત્સા બતાવવામાં આવેલા છે આ ચિકિત્સા નિષ્ણાતોની વૈદ્યની સલાહ મુજબ કરાવવામાં આવે તો આંખોની દરેક સમસ્યાથી તેમજ બાળકોને આંખના નંબરોની સમસ્યાથી પણ છૂટકારો મળી શકે છે, તથા આંખોનું તેજ પણ વધી શકે છે, આંખોમાં અલ્પ દોષોમાં એક દિવસમા મધ્યમ દોષોમાં ત્રણ દિવસ તથા પ્રબળ દોષોનાં પાંચ દિવસ સુધી તર્પણ કરવું જોઇએ. 

નેત્રનું તર્પણ શાસ્ત્રોક્તવિધિથી થાય તો નેત્રમાં લઘુતા અને નિર્મળતા પેદા થાય છે, રોગીને સુખપૂર્વક નિદ્રા આવે છે તેમજ વ્યાધિ શાંત થાય છે.

નેત્ર તર્પણ વાદળવાળા હવામાનમાં તેમજ અતિશય ગરમ વાતાવરણમાં કરવું ઉચીત નથી. તર્પણ વિધિ પૂર્ણ થાય બાદ જે ધૃત વધે તેને દર્દી કાસાની વાટકીથી પગના તળિયે ઘસવું જોઇએ, પગના તળિયામાં તે મોટી શીરાઓ આવેલી હોય છે જે ઉપર મસ્તક સુધી પહોંચે છે, અને નેત્રમાં જઇ અનેક શાખા પ્રશાખાઓમાં વહેંચાઈ જાય છે. એટલા માટે પગમાં ઘસવામાં આવતા આ ધૃતનો પ્રભાવ નેત્ર સુધી સીધો પહોંચે છે. આ સિવાય નેત્ર રોગના દર્દીએ આહારમાં પણ સાવધ રહેવું જોઇએ. 

ત્રિફળા મધ, સાકર, ગાયનું ઘી, ઘઉં ચોખા, મગ, સિંધવ, દ્રાક્ષ, જાયફળ વગેરે દ્રવ્યોને નેત્રરોગમાં હિતકર બતાવ્યા છે. સાવધાની અને સમજપૂર્વક ઔષધોપચાર કરવામાં આવે તો આંખ જેવા શરીરના અમૂલ્ય રત્નનું સફળતાથી રક્ષણ કરી શકાય છે.

- જ્હાનવીબેન ભટ્ટ

Tags :