ચોમાસામાં સંબંધોનું ગળતર અટકાવીને લીકપ્રૂફ બનાવો
- સંબંધો સાચવવા દગો, છેતરપિંડી અને ખોટું બોલવાથી બચવું. સંબંધોનો પાયો વિશ્વાસ અને સત્યની જમીનમાં જ ટકી શકે છે.
ભીની મોસમમાં સંબંધોની ગરમાહટ વધુ સોહામણી લાગે છે, પણ વખત જતા સંબંધો ઠંડા પડે છે અને તેમાં રહેલી હૂંફ ગાયબ થઈ જાય છે. તો પછી વરસાદની આ મોસમમાં સંબંધોમાંથી ગાયબ થયેલી હૂંફ પાછી લાવવાનો પ્રયાસ કરીએ અને તેને વધુ લીકપ્રૂફ બનાવીએ જેથી ગમે તેવા તોફાનમાં પણ તેમાંથી હૂંફ અને ઉષ્માનું ગળતર ન થાય અને વધુ મજબૂત અને ટકાઉ બને.
અહં અને ઈગોમાં સંબંધોને ડૂબતા બચાવીએ
સંબંધોમાં હંમેશા પ્રેમ અને પોતીકાપણુ જરૂરી હોય છે, પણ આપણે આપણા અહંને કારણે તેને ખોખલા અને નબળા બનાવીએ છીએ. સંબંધો લીકપ્રૂફ ત્યારે જ બને જ્યારે આપણે નમીને ચાલીએ. પોતાનાની ખાતર ઝૂકવામાં શરમ શેની? પોતાનાને ક્યારેક થેન્ક યુ કહી દેવાથી તેમના ચહેરા પર સ્મિત આવી જતું હોય તો આવું કહી દેવામાં જ ભલાઈ છે. અહં તમને અહંકારી બનાવીને એકલા પાડશે. બહેતર છે કે અહંને સંબંધોમાં પાંગરવાની તક જ ન આપીએ.
સંબંધોમાંથી અહંને દૂર રાખવા શું કરવું? અન્યોની ખૂશીમાં ખૂશ થઈને જુઓ. જીવન હળવું અને આસાન બની જશે. પોતાને સૌથી શ્રેષ્ઠ અને બીજાને ઓછા આંકવાનો ભ્રમ ક્યારે પણ ન પાળશો. માનવીય નબળાઈ અને ખામી સૌમાં હોય છે અને તમે તેમજ તમારા પોતાના પણ આમાં અપવાદ નથી. હંમેશા મારી જ વાત સાચી, હું જ કહું તે ફાઈનલ એવા વિચારોનો ઉદ્ભવ જ ન થવા દેવો. બીજાના વિચાર, બીજાના નિર્ણયને પણ મહત્વ આપો.
ક્રોધની આંધીમાંથી સંબંધોને બચાવો
ક્રોધ માનવીના સ્વભાવનો હિસ્સો છે અને તે સ્વાભાવિક પણ છે. કહેવત છે કે ક્રોધ તેના જન્મદાતાને જ ખાય છે. ક્રોધ કરનાર અને તેની સાથે સંબંધ ધરાવનાર તમામને નુકસાન પહોંચાડે છે. ક્રોધથી પોતાના સંબંધ ન બગડે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. ક્યારે પણ વાદવિવાદમાં એવી વાત ન કહેવી જેનાથી સામેની વ્યક્તિને દુ:ખ લાગે. ગુસ્સામાં કહી દીધેલી વાત ક્યારેક કાયમ માટે મનમાં ઘર કરી જાય છે. સમય વિતતા આવી જ નાની વાતો મોટી સમસ્યા બની જતી હોય છે અને સંબંધોમાં મોટી તિરાડ ઊભી કરી શકે છે. આથી ગુસ્સાની તિરાડથી સંબંધોને લીક થતા બચાવવા. ગુસ્સામાં એવા શબ્દોનો ક્યારે પણ પ્રયોગ ન કરવો કે ગુસ્સો શાંત થતા આપણને જ તેની શરમ આવે.
આથી ગુસ્સો આવે અથવા ઝઘડો થાય કે વિવાદ થાય ત્યારે મગજ શાંત રાખવું અને પોતાના પરથી નિયંત્રણ ન ગુમાવવું. ગુસ્સો આવે ત્યારે ઓછું બોલવું અને પોતાનું ધ્યાન અન્ય કામ પર કેન્દ્રિત કરવું. જ્યારે મન શાંત થાય ત્યારે વિવાદોનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો. ક્રોધમાં પરિસ્થિતિ અલગ દેખાય છે જે સત્યથી માઈલો દૂર હોય છે. મગજ શાંત ત્યારે અહેસાસ થાય છે કે આ તો નાનકડી વાત હતી અને આપણે વિના કારણ કોપાયમાન થઈ ગયા હતા.
અવિશ્વાસની હવાને હાવી ન થવા દો
કોઈપણ બાબતે અવિશ્વાસ થાય તો તેને તાત્કાલિક દૂર કરવો કારણ કે એક વાર આ અવિશ્વાસ મનમાં સ્થાન બનાવી લેશે તો શંકામાં પરિવર્તિત થશે અને શંકાનો કોઈ ઈલાજ નથી હોતો. આથી બહેતર એ જ છે કે અવિશ્વાસને પાંગરવા ન દેવો અને વિશ્વાસનું વાતાવરણ બનાવી રાખવું.
અવિશ્વાસની લાગણીથી દૂર રહેવા પાર્ટનર સાથે વાત કરવી અને એક જ દિશામાં પોતાના વિચારો ન દોડાવવા, પણ તેને શેર કરવા કારણ કે કહેવત છે કે શેયરિંગથી કેયરિંગ વધે છે અને શંકાઓ દૂર થાય છે.
દગાના તોફાનથી સંબંધો ખરાબ ન કરવા
કહેવત છે કે દગો કોઈનો સગો નથી. દગો પોતાના અને પારકા વચ્ચે ભેદ નથી કરતો. દગો કોઈપણ પ્રકારનો હોઈ શકે. જરૂરી નથી કે કાયમ લગ્નેત્તર સંબંધ જ હોય, પૈસા માટે પણ અથવા ખોટું બોલવું પણ એક પ્રકારનો દગો જ કહેવાય. સંબંધોમાં છેતરપિંડીને કોઈ સ્થાન નથી હોતું. સંબંધો સાચવવા દગો, છેતરપિંડી અને ખોટું બોલવાથી બચવું. સંબંધોનો પાયો વિશ્વાસ અને સત્યની જમીનમાં જ ટકી શકે છે. સત્ય ભલે ગમે તેટલું કડવું હોય, પણ સંબંધોમાં * વરસાદની મોસમમાં વરસાદ સંબંધિત ગીતો સાંભળવા અને સંભળાવવા. વરસાદના ગીતો પર અંતાક્ષરી પણ રમી શકાય.
* પત્ની સિવાયના અન્ય સંબંધો પ્રત્યે પણ કેયરિંગનો ડોઝ વધારવો અને તેમને પણ ગળતરપ્રૂફ બનાવવા.
આમ ચોમાસામાં ઘરમાં ગળતરને અટકાવવાની સાથે ઘરમાં રહેતી વ્યક્તિઓ સાથેના સંબંધોમાંથી પણ પ્રેમ અને ઉષ્માનું ગળતર થતું અટકાવવું. એના માટે કોઈ રોકેટ સાયન્સ નહિ પણ માત્ર પ્રેમ અને લાગણીની જરૂર છે.